રાજકોટનું ત્રીજું સ્મશાન ગેસ આધારિત બનશે
રૈયા, રામનાથપરા બાદ હવે મોટામવા સ્મશાનમાં ગેસ આધારિત ચીમની મારફતે કરાશે અગ્નિસંસ્કાર: ચૂંટણી બાદ દરખાસ્ત મંજૂર થયે કામ શરૂ થશે
રાજકોટમાં અત્યારે ૯ સ્મશાન કાર્યરત છે જ્યાં ઈલેક્ટ્રિક અને લાકડાં પર મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. જો કે ઈલેક્ટ્રિક ભઠ્ઠીનું બિલ લાખોમાં આવતું હોવાને કારણે મહાપાલિકા તેમજ સ્મશાનનું સંચાલન સંભાળનાર ટ્રસ્ટને આર્થિક ફટકો પડી રહ્યો હોય તેમાં ઘટાડો લાવવા માટે ગેસનો ઉપયોગ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી રૈયા રોડ અને રામનાથપરા સ્મશાનમાં ગેસ આધારિત ચીમનીથી મૃતદેહના અગ્નિ સંસ્કાર કરવામાં આવી રહ્યા હતા. જ્યારે હવે મોટામવા સ્મશાનમાં પણ ગેસ આધારિત ચીમની ફિટ કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ અંગેની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીને કરી દેવામાં આવી છે પરંતુ આચારસંહિતા અમલમાં હોવાને કારણે નિર્ણય લેવાશે નહીં. જો કે જૂન મહિનામાં આચારસંહિતા ઉઠ્યા બાદ આ દરખાસ્તને મંજૂરી મળી જવાની શક્યતા છે ત્યારે મંજૂરી મળ્યે દોઢેક કરોડ રૂપિયાના ખર્ચે ગેસ આધારિત સ્મશાન બનાવવાનું કામ શરૂ કરી દેવામાં આવશે. આ સ્મશાનનું સંચાલન અત્યારે ઓમકાર ટ્રસ્ટ પાસે છે.
ઈલેક્ટ્રિક સ્મશાન હોવાને કારણે મહિને અઢી લાખ રૂપિયા જેટલું લાઈટબિલ આવી રહ્યું છે. બીજી બાજુ ગેસ આધારિત સ્મશાન બની ગયા બાદ ગુજરાત ગેસ દ્વારા સ્મશાન માટે વિનામૂલ્યે ગેસ વિતરણ કરવામાં આવતો હોવાથી તંત્રનો લાખો રૂપિયાનો ખર્ચ બચી જશે.