રાજકોટના લોકમેળામાં ચકડોળ ફરશે જ !
12મી ઓગસ્ટે આઈસ્ક્રીમ, રાઇડ્સ માટે આખરી હરરાજી : ત્રણ ધંધાર્થીઓ નિયમ પાલન સાથે રાઇડ્સ લગાવવા તૈયાર
રાજકોટના ભાતીગળ લોકમેળામાં રાઇડ્સ સંચાલકો અને આઈસ્ક્રીમના ધંધાર્થીઓ દ્વારા હરરાજીનો બહિષ્કાર કરી મેળાને ચકડોળે ચડાવવા પ્રયાસ કર્યા બાદ અંતે રાજકોટ લોકમેળા સમિતિએ આગામી 12મી ઓગસ્ટે યાંત્રિક આઇટમો અને આઈસ્ક્રીમ કેટેગરીમાં આખરી હરરાજી યોજવા નક્કી કર્યું છે, જેમાં જો કોઈ રાઇડ્સ સંચાલકો ભાગ ન લે તો આખરે ત્રણ ધંધાર્થીઓએ તંત્રનો સંપર્ક સાધી રાજ્ય સરકારની એસઓપી મુજબ રાઇડ્સ લગાવવા તૈયારી દર્શાવતા રાજકોટનો લોકમેળો હવે રાઇડ્સ વગરનોન નહીં રહે અને ચકડોળ ફરશે જ તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટના રેષકોર્ષ મેદાન ખાતે આગામી તા.24થી 28 ઓગસ્ટ દરમિયાન યોજાનાર ભાતીગળ લોકમેળામાં રમકડાં અને ખાણીપીણીના સ્ટોલ માટે ડ્રો થઇ ગયા બાદ રાજ્ય સરકારની એસઓપીમાં છૂટછાટની માંગ સાથે હરરાજીનો એક વખત નહીં પણ ચાર ચાર વખત બહિષ્કાર કરી રાઇડ્સ સંચાલકોએ તંત્રને બાનમાં લેવા પ્રાયસ કરતા જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ રાઇડ્સ વગર પણ મેળો યોજવામાં આવશે તેવું સ્પષ્ટ કર્યું હતું. બીજી તરફ આઈસ્ક્રીમના ધંધાર્થીઓએ અપસેટ પ્રાઈઝમાં ભાવ વધારો અને 16ને બદલે આઈસ્ક્રીમના 11 જ ચોકઠાં મેળામાં રાખવાની માંગ સાથે બહિષ્કાર કરી દીધો હતો.
દરમિયાન લોકમેળામાં વર્ષે કુલ 235માંથી 165 સ્ટોલની ફાળવણી થઇ ગયા બાદ આઈસ્ક્રીમના ધંધાર્થીઓ અને રાઇડ્સ સંચાલકોની જીદને કારણે 70 સ્ટોલ ખાલી રહેતા આ મામલે શુક્રવારે સાંજે સીટી પ્રાંત -1 ડો.ચાંદની પરમાર અને જિલ્લા કલેકટર પ્રભવ જોશીની મહત્વપૂર્ણ બેઠક મળી હતી જેમાં આગામી તા.12 ઓગસ્ટના રોજ આઈસ્ક્રીમના ધંધાર્થીઓ અને રાઇડ્સ સંચાલકોને છેલ્લી તક માટે હરરાજી યોજવા નક્કી કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, તંત્ર સરકારની એસઓપી મુજબ એનડીટી રિપોર્ટ, ફાઉન્ડેશન અને સોઈલ રિપોર્ટ ના નિયમમાં ફેરફાર કરવાના મૂડમાં નથી.બીજી તરફ રાજકોટના ત્રણેક ધંધાર્થીઓએ સરકારના તમામ નિયમોના પાલન સાથે મેળામાં રાઇડ્સ લગાવવા માટે તૈયારી દર્શાવી હોય જો રાઇડ્સ સંચાલકો નહીં મને તો ખાનગી પાર્ટીને રાઇડ્સ સોંપવામાં આવશે સાથે જ આઈસ્ક્રીમ કંપનીઓ ડાયરેક્ટ સ્ટોલ લગાવવા પણ ઉત્સુક હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.
