રાજકોટ કલેકટર ગાંધીનગરમાં, યુએલસી ફાજલ જમીન મામલે મહત્વની બેઠક
ધરોહર લોકમેળાના ઉદઘાટન માટે મુખ્યમંત્રીને રૂબરૂ નિમંત્રણ પાઠવાયું
રાજકોટ : શહેરી જમીન ટોચ મર્યાદા ધારા અન્વયે રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરા જેવા શહેરોમાં લાખો ચોરસ મીટર જમીન ફાજલ થયા બાદ ધણી ધોરી વગરની પડી છે ત્યારે આ જમીન ઉપર જમીન કૌભાંડિયા તત્વો ડોળો જમાવી કૌભાંડો આચરી રહ્યા છે તેવા સમયે જ બુધવારે ગાંધીનગર ખાતે યુએલસી ફાજલ જમીન મામલે મહત્વની બેઠક યોજાઈ હોય જિલ્લા કલેકટર ગાંધીનગર દોડી ગયા હતા. સાથે જ જિલ્લા કલેકટર પ્રભવ જોશી ગાંધીનગર મુલાકાત દરમિયાન રાજકોટના ધરોહર લોકમેળાના ઉદઘાટન માટે મુખ્યમંત્રીને રૂબરૂ આમંત્રણ પણ પાઠવ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
રાજકોટ સહિત રાજ્યના ચાર મુખ્ય શહેર એવા અમદાવાદ, વડોદરા અને સુરત શહેરમાં સરકારના શહેરી જમીન ટોચ મર્યાદા ધારા હેઠળ ફાજલ થયેલી લાખો ચોરસ મીટર જમીન ઉપયોગ વગરની પડી છે ત્યારે જમીન કૌભાંડી તત્વો દ્વારા આવી જમીનોમાં જુના બોગસ દસ્તાવેજ ઉભા કરી હડપ કરવાના કારસા રચવામાં આવી રહ્યા છે ત્યારે રાજકોટમાં આવા ત્રણથી ચારેક કિસ્સા સામે આવવાની સાથે યુએલસી ફાજલ જમીનમાં પેશકદમીનાં કિસ્સા પણ વધ્યા હોય મહેસુલ વિભાગ દ્વારા બુધવારે ગાંધીનગર ખાતે યુએલસી જમીન મામલે મહત્વની બેઠક યોજવામાં આવતા જિલ્લા કલેકટર પ્રભવ જોશી ગાંધીનગર મિટિંગમાં દોડી ગયા હતા.
દરમિયાન આગામી તા.24થી 28 દરમિયાન રાજકોટના રેષકોર્ષ મેદાન ખાતે યોજાનાર ધરોહર લોકમેળાનું મુખ્યમંત્રીના હસ્તે ઉદઘાટન કરવા માટે અગાઉ મુખ્યમંત્રીને નિમંત્રણ પાઠવવામ આવ્યા બાદ બુધવારે જિલ્લા કલેકટર પ્રભવ જોશી દ્વારા મુખ્યમંત્રીને રૂબરૂ નિમંત્રણ પણ આપવામાં આવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.