બીસીએ પેપર લીક મામલે કુલપતિ-રજિસ્ટ્રાર ઉપર નકલી નોટોનો વરસાદ
11 દિવસ વીતવા છતાં નક્કર પગલાં ન લેવાતા એનએસયુઆઇ અને સીવાયએસએસ દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ
રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના સત્તાધીશો દ્વારા બીસીએ સેમેસ્ટર -4નું પેપર લીક થવાની ઘટનામાં 11-11 દિવસ વીતવા છતાં તપાસના નામે એક સભ્યની કમિટી રચી પોલીસ ફરિયાદ ન કરતા મંગળવારે એનએસયુઆઇ અને સીવાયએસએસ દ્વારા કુલપતિ અને રજિસ્ટ્રાર ઉપર નકલી નોટોનો વરસાદ વરસાવી જે તે કોલેજનું નામ ખુલ્લે તે કોલેજનું પરીક્ષા કેન્દ્ર રદ કરી જવાબદારો વિરુદ્ધ કડક પગલાં ભરવા માંગ કરવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા લેવામાં આવેલી બીસીએ સેમેસ્ટર -4ની પરીક્ષામાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે પરીક્ષાના એક કલાક પહેલા જ એક બે નહીં પરંતુ ત્રણ-ત્રણ વિષયોના પેપર ફૂટ્યા હોવાનો આરોપ લગાવી યુનિવર્સીટીના સત્તાધીશો સમક્ષ પુરાવા સાથે રજુઆત કરવા છતાં યુનિવર્સીટીએ પોલીસ ફરિયાદ કરવાને બદલે માત્ર એક નિવૃત જજની કમિટીને તપાસ સોંપતા મંગળવારે એનએસયુઆઇ અને સીવાયએસએસ દ્વારા ઉગ્ર રજુઆત કરવા યુનિવર્સીટી દોડી જતા યુનિવર્સીટીના ગેઇટ બંધ કરી દેવામાં આવ્યા હતા.
બાદમાં યુનિવર્સીટીના ઇન્ચાર્જ કુલપતિ નીલાંબરી દવે અને રજિસ્ટ્રાર આર.જી.પરમાર રજુઆત સાંભળવા નીચે આવતા એનએસયુઆઇ અને સીવાયએસએસના કાર્યકરોએ નકલી ચલણી નોટોનો વરસાદ વરસાવી કટાક્ષ કરવાની સાથે બીસીએ સેમેસ્ટર -4ના પેપર ફોડવા મામલે કોલેજનું નામ ખુલ્લે તે કોલેજનું પરીક્ષા કેન્દ્ર રદ કરી જવાબદારો વિરુદ્ધ કડક પગલાં ભરવા માંગ કરવામાં આવી હતી. આ તકે સીવાયએસએસ પ્રદેશ ઉપપ્રમુખ સુરજ બગડા, એનએસયુઆઇ મંત્રી મયુર ખોખર, રાજકોટ પ્રમુખ બ્રીજરાજસિંહ રાણા, રીયાઝ સુમરા,સીવાયએસએસ રાજકોટ પ્રમુખ પ્રણવ ગઢવી તેમજ સમીર ચૌહાણ, કલાપી વારા, આર્યન કનેરીયા સહિતનાઓએ રજુઆત કરી હતી.