સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદે વીજપોલનો સોથ વાળ્યો: 1012 વીજપોલ ડેમેજ
ભાવનગરના 3 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો: પોરબંદર, જામનગર, જુનાગઢ પંથકમાં વીજપોલને સૌથી વધુ નુકસાન
સૌરાષ્ટ્ર-કચ્છમાં પડેલો ભારે વરસાદ આફત બન્યો છે. પોરબંદર, દ્વારકા જામનગર, જુનાગઢ પંથકમાં પડેલા ભારે વરસાદને કારણે લોકો માટે મુશ્કેલી સર્જાઇ છે. બીજી તરફ પીજીવીસીએલને પણ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્ર-કચ્છમાં 1012 વીજપોલ અને 109 ટીસી ડેમેજ થયા હતા. જ્યારે 3 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.
ભારે વરસાદે સૌરાષ્ટ્ર-કચ્છને ધમરોળી નાખતા તારાજીના દ્રશ્યો સર્જાય છે. પીજીવીસીએલમાંથી જાણવા મળતી વિગતો પ્રમાણે ગુરુવાર સાંજ સુધીમાં જામનગર પંથકમાં 416, પોરબંદરમાં 293, જૂનાગઢમાં 169, ભુજમાં 69, રાજકોટ ગ્રામ્યમાં 30, અમરેલીમાં 27 અને ભાવનગરમાં 8 મળી કુલ 1012 વીજપોલને નુકસાન થયું છે. જ્યારે પોરબંદરમાં 21, જામનગરમાં 65, જૂનાગઢમાં 18, ભુજમાં 3 અને ભાવનગર, અમરેલીમાં 1-1 મળી કુલ 109 ટીસી ડેમેજ થયા હતા.
આ ઉપરાંત વરસાદને કારણે ભાવનગરના 3 ગામમાં વીજપુરવઠો ખોરવાતા અંધારપટ્ટ છવાયો હતો. જ્યારે અમરેલી, જુનાગઢ, ભુજ, જામનગર અને રાજકોટ ગ્રામ્યમાં ખેતીવાડી અને જ્યોતિગ્રામ મળી કુલ 82 ફિડર બંધ થયા હતા. પીજીવીસીએલની ટેકનિકલ ટીમ દ્વારા વીજપુરવઠો પૂર્વવત કરવા અને વીજપોલ રિસ્ટોર કરવા કામગીરી કરવામાં આવી હતી.