રાજકોટમાં પ્રિ-સ્કૂલ રજીસ્ટ્રેશન નિયમ અંગે ડીઇઓને કરાઇ રજૂઆત
રજીસ્ટ્રેશન ફી, ફાયર સેફટી, બાલ વાટિકાના વર્ગ સહિતના મુદ્દે આવેદન પત્ર પાઠવ્યું
રાજકોટમાં પ્રિ-સ્કૂલ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા પ્રિ-સ્કૂલ રજીસ્ટ્રેશન માટેના રજૂ કરાયેલા નિયમોમાં કેટલાક પાયા વિહોણા આધારો કે દસ્તાવેજો રજૂ કરવાની માંગણી કરવામાં આવેલી છે. તેવા આક્ષેપ સાથે ૧૦૦થી વધુ પ્રિ-સ્કૂલના સંચાલકોએ ડીઇઓને યોગ્ય ફેરફાર કરવા રજૂઆત કરી હતી.
પ્રિ-સ્કૂલ મેનેજમેન્ટ એસોસિએશનના સંચાલકોએ ડીઇઓને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી અને તેમાં જણાવ્યું હતું કે, તાજેતરમાં પ્રિ-સ્કૂલ રજીસ્ટ્રેશન માટેના નિયમોમાં બીયુપી, ૧૫ વર્ષના લીઝ એગ્રીમેન્ટ, રજીસ્ટ્રેશન ફી, ફાયર સેફટી તેમજ બાલ વાટિકા વર્ગનો સમાવેશ કરવો વગેરે મુદ્દાઓમાં યોગ્ય ફેરફાર કરવો.
એસોસીસેશને કહ્યું હતું કે, સરકારના આ નિયમથી રાજ્યની આશરે ૪૦ હજારથી વધુ પ્રિ-સ્કૂલો કે જે બાળકોના ઘરથી તદ્દન નજીક હોય છે. જેમાં અભ્યાસ કરાવતા ૨ લાખથી વધુ શિક્ષકો અને અંદાજે ૫૫ લાખથી વધુ બાળકોનું ભાવિ અધ્ધરતાલ થવાનું છે. સરકાર દ્વારા બનાવેલા આ નિયમથી રજીસ્ટ્રેશન પ્રક્રિયા માટે કોઈપણ પ્રિ-સ્કૂલને ૭ થી ૮ લાખ જેવો અલગથી ખર્ચ થવાનો છે અને દર વર્ષે વ્યવસાય વેરા તેમજ ફાયર સેફટી સહિતનો ૩ થી ૪ લાખનો ખર્ચ થવાનો છે. જે આડકતરી રીતે વાલીઓના શિરે જ આવશે. આ મુદ્દે આગામી દિવસોમાં રાજ્યની તમામ પ્રિ-સ્કૂલો દ્વારા રાજ્યના મુખ્યમંત્રી, શિક્ષણ સચિવને પત્ર લખી રજૂઆત કરવામાં આવશે.