પોરબંદરના મહેશ્વરીબા જાડેજાએ વગાડ્યો ડંકો, એરફોર્સમાં જોડાનાર પ્રથમ અગ્નિવીર મહિલા
નાનપણથી દેશ સેવા માટે ડિફેન્સમાં જોડાવવાનું મહેશ્વરીબાનું સ્વપ્ન સાકાર થયું
બે વર્ષની સખત મહેનત અને સ્પોર્ટ કોચ શાંતિબેનની તાલીમ અંતે રંગ લાવી
ભારત સરકાર દ્વારા અગ્નિવીર યોજના બહાર પાડવામાં આવી છે. આ અગ્નિવીર યોજના થકી અનેક યુવાનો સુરક્ષા દળોમાં જોડાઈ રહ્યા છે. ત્યારે બાળપણથી એરફોર્સમાં જોડાવાની ઈચ્છા ધરાવનાર પોરબંદરની ડો. વી. આર. ગોઢાણીયા મહિલા કોલેજમાં અભ્યાસ કરતા મહેશ્વરીબા ભગીરથસિંહ જાડેજાએ પૂરી મહેનત અને લગન સાથે પોતાનું સપનું સાકાર કર્યું છે.

એસવાય બોકોમના વિધાર્થીની મહેશ્વરીબા ભગીરથસિંહ જાડેજા કે, જેમણે ભારત સરકારની નવી ભરતી યોજના અંતર્ગત અગ્નિવીર એરફોર્સ વિભાગની પ્રથમ લેખિત પરિક્ષા પાસ કરી હતી, અને ત્યારબાદ કોલેજના સ્પોર્ટ્સ કોચ શાંતિબેન ભૂતિયા પાસે દોડની તાલીમ લીધી હતી. આ વિદ્યાર્થિનીએ 1600 મીટર દોડની પરીક્ષા 7: 30 મિનિટમાં પૂર્ણ કરી પાસ થઈ અને મેડિકલ એક્ઝામમાં પણ પાસ થઈ ઓલ ઇન્ડિયામાં 153માં રેન્કિંગ પાસ કરી એરફોર્સમાં જોડાઈ પરિવારની નામ રોશન કર્યું છે. ભારતભરમાંથી કુલ 300 યુવતીઓ એરફોર્સ માટે પસંદગી પામી હતી જેમાં મહેશ્વરીબા ભગીરથસિંહ જાડેજા એરફોર્સમાં જોડાનાર પોરબંદરના પ્રથમ અગ્નિવીર ગર્લ્સ બની ચેન્નઈ તાંબારામ એરફોર્સ સ્ટેશન ખાતે એરફોર્સની તાલીમ મેળવી રહ્યા છે.

મહેશ્વરીબાએ જણાવ્યું હતું કે આ પરીક્ષા માટે સોશિયલ મીડિયામાં દ્વારા મને એરફોર્સની અગ્નિવીર પરીક્ષા અંગે ખ્યાલ આવ્યો અને મેં એ ફોર્મ ભર્યું હતું. 2023માં ગાંધીનગર ખાતે લેખિત પરીક્ષા આપી હતી. જે પાસ થઈ અને ત્યારબાદ જોધપુર રાજસ્થાન ખાતે ફિઝિકલ પરીક્ષા પાસ કરી જેના માટે વી આર ગોઠવણીયા કોલેજના સ્પોર્ટ કોચ શાંતિબેન ભૂતિયાએ મને ખૂબ જ પ્રેક્ટિસ કરાવી. તેમની ટ્રેનિંગના લીધે 4 મહિના બાદ ફિઝિકલ પરીક્ષા પાસ કરી. ત્યારબાદ ગ્રુપ ડિસ્કશન ઇન્ટરવ્યૂ હતું. જેનો ટોપીક ન્યુક્લિયર એનર્જી હતો એ પણ મેં પાસ કર્યું. ત્યારબાદ ગાઝિયાબાદ ખાતે મેડિકલ થયું અને હાલ ચેન્નઈ તાંબારામ એરફોર્સ સ્ટેશન ખાતે એરફોર્સની તાલીમ મેળવી રહી છું.
મહેશ્વરીબા જાડેજાએ જણાવ્યું હતું કે તેમના પિતા પ્રાઇવેટ નોકરી કરે છે અને પરિવારમાં અત્યાર સુધી કોઈ એરફોર્સમાં નથી જોડાયેલા. નાનપણથી દેશ સેવા માટે ડિફેન્સમાં જોડાવવાનું સ્વપ્ન હતું. આ માટે મારી મહેનત અને પરિવારજનોની સહયોગથી એરફોર્સમાં જોડાવાનું સ્વપ્ન સાકાર થયું છે. હવે આગળ જઈ અગ્નિવીરમાં કાયમી નિમણૂંક મેળવી દેશની સેવા કરવાનું ભવિષ્યનો ગોલ છે. અન્ય યુવતીને સંદેશો આપતા મહેશ્વરીબાએ જણાવ્યું કે, અગ્નિવીરની નોકરી માત્ર ચાર વર્ષ પૂરતી છે તેમ નેગેટિવ ન જોઈ પોઝિટિવ લઈ જીવનમાં આગળ વધે.
માં ભોમની રક્ષા કરવીએ તો ક્ષત્રિયના લોહીમાં હોય છે: મહેશ્વરીબા જાડેજા
મહેશ્વરીબાએ એ જણાવ્યું હતું કે, ડિફેન્સમાં જોડાવવાનું સ્વપ્ન સાકાર કરવા માટે છેલ્લા બે વર્ષથી મહેનત કરતી હતી અને નિયમિત ઓનલાઇન કલાસીસ અને સારું વાંચનના કારણે સફળતા મળી છે.
પોરબંદરની પ્રથમ યુવતી મહેશ્વરીબા જાડેજા અગ્નિવીર એરફોર્સની પરીક્ષા પાસ કરી છે અને પોરબંદર અને ક્ષત્રિય સમાજનું અને પરિવારનું ગૌરવ વધાર્યું છે. મહેશ્વરીબા જાડેજાએ જણાવ્યું હતું કે, માં ભોમની રક્ષા કરવીએ તો ક્ષત્રિયના લોહીમાં હોય છે આથી દેશની રક્ષા કાજે એરફોર્સમાં જોડાઈ છું, તેનું મને ગર્વ છે.
યુવતીઓએ સોશિયલ મીડિયાથી દૂર રહી દેશ સેવા માટે વિચારવું જોઈએ: શાંતિબેન ભૂતિયા
પોરબંદરમાં છેલ્લા ઘણા સમયથી એકલવ્ય સ્પોર્ટ્સ અને ફિઝિકલ ટ્રેનિંગ એકેડમી ચલાવતા શાંતિબેન ભૂતિયાએ વોઇસ ઓફ ડે સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આજના યુગમાં દીકરો અને દીકરી બંને સરખા માનવામાં આવે છે.યવતીઓને સંદેશો આપતા તેમણે જણાવ્યું કે, યુવતીઓએ ઇસ્ટાગ્રામ અને રિલ બનાવવા જેવી સોશિયલ મીડિયાની પ્રવુતિથી દૂર રહી ભારતીય સંસ્કૃતિ સાથે પોતાના દેશ અને પરિવાર માટે વિચાર કરવો જોઈએ. યુવતીઓ ધારે તો કોઈ પણ કાર્ય કરી શકે છે.