સર્વેશ્વર ચોક દૂર્ઘટનામાં અંતે નોંધાઈ પોલીસ ફરિયાદ
પેટા: મહાપાલિકાએ ખુદ ફરિયાદી બની ગુનો નોંધાવ્યો: કોને દોષિત ગણવા તે મુદ્દે પોલીસ પણ ગડમથલમાં !
સપ્ટેમ્બર મહિનામાં ઉજવાયેલા ગણેશોત્સવ દરમિયાન સર્વેશ્વર ચોકમાં આવેલા શિવમ કોમ્પલેક્સનો વોંકળા પરનો સ્લેબ ધરાશાયી થઈ જતા ૩૦ જેટલા લોકો ગંદા પાણીમાં ખાબક્યા હતા તો એક વૃદ્ધાનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. એકંદરે આ દૂર્ઘટનાને બબ્બે મહિના વીતી ગયા છતા હજુ સુધી મહાપાલિકા દ્વારા કોઈ જ પ્રકારની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી ન હોય તેના દ્વારા જવાબદારોને બચાવવામાં આવી રહ્યાની છાપ ઉપસ્થિત થઈ રહી હતી. આ અંગે દબાણ વધવા લાગતા આખરે મહાપાલિકાએ ખુદ ફરિયાદી બની એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે મહાપાલિકાની ટાઉનપ્લાનિંગ શાખાના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર મુકેશ રાઠોડ કે જેમણે આ ઘટના બન્યા બાદ પોલીસ તપાસ માટે અરજી આપી હતી તેમણે જ ફરિયાદી બનાવવામાં આવ્યા છે અને તેઓ શુક્રવારે મોડી સાંજે એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા માટે પહોંચ્યા હતા.
બીજી બાજુ આ અંગે ટાઉન પ્લાનિંગ ઑફિસર એમ.ડી.સાગઠિયાનો સંપર્ક સાધવામાં આવતાં તેમણે `વૉઈસ ઑફ ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મહાપાલિકાએ આ ઘટનામાં ફરિયાદી બનીને ફરિયાદ નોંધાવી છે. ગુનો નોંધાઈ ગયા બાદ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે અને ઘટના પાછળ જવાબદાર લોકો સામે ગુનો નોંધવામાં આવશે.