રાજકોટને મચ્છરોનો ઝેરીલો ડંખ: ડેંગ્યુ-મેલેરિયા-ચિકનગુનિયા `આઉટ ઑફ કંટ્રોલ’
રોગચાળો અટકવાનો નામ જ લઈ રહ્યો ન હોય તહેવારોમાં જ લોકોમાં ભારે ચિંતા
રાજકોટમાં રોગચાળો જાણે કે આઉટ ઑફ કંટ્રોલ થઈ ગયો હોય તેવી રીતે દિવસેને દિવસે રંગીલા શહેરને મચ્છરો ઝેરીલો ડંખ મારી રહ્યા છે. છેલ્લા ઘણા સપ્તાહોથી શહેરમાં ડેંગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, ટાઈફોઈડ સહિતના ઘાતક રોગોના આંકડા ડરાવી રહ્યા હોય આખરે આ રોગચાળો ક્યારે કાબૂમાં આવશે તેવા પ્રશ્નો લોકો ચિંતા સાથે પૂછી રહ્યા છે. સાથે સાથે તહેવારોમાં જ રોગચાળાનું તીવ્ર આક્રમણ થઈ રહ્યું હોવાથી ગભરાટ પણ જોવા મળી રહ્યો છે.
મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા તા.૨-૧૦થી તા.૮-૧૦ સુધીના સાપ્તાહિક રોગચાળાના જાહેર કરાયેલા આંકડા પ્રમાણે મેલેરિયાના ૨ (વર્ષના ૨૭), ડેંગ્યુના ૧૧ (વર્ષના ૧૦૭), ચિકનગુનિયાના ૪ (વર્ષના ૪૬) કેસ મળી આવ્યા છે. આવી જ રીતે શરદી-ઉધરસના ૬૯૩ (વર્ષના ૧૪૦૩૭), સામાન્ય તાવના ૫૪ (વર્ષના ૧૬૭૭), ઝાડા-ઊલટીના ૧૭૫ (વર્ષના ૪૭૬૫) અને ટાઈફોઈડના ૨ (વર્ષના ૮) દર્દી મળ્યા છે. ડેંગ્યુ-ચિકનગુનિયાની સાથે જ દર સપ્તાહે ટાઈફોઈડના દર્દીઓ નોંધાતાં હોય નવી ચિંતા વ્યાપી રહી છે.
બીજી બાજુ મહાપાલિકા દ્વારા સાત દિવસમાં મચ્છર ઉત્પતિ બદલ ૩૩૬ મકાનો અને ૭૯ કોમર્શિયલ આસામીઓને નોટિસ ફટકારાઈ તો ૬૦ લોકો પાસેથી ૬૨૭૦૦ના દંડની વસૂલાત કરાઈ છે.