રાજકોટ પર રોગચાળાનો કબજો
- ૩ મહિનામાં ૩૯૦૭૬ ઘરમાં ફોગિંગ, ૪૪૦૮ લોકોને નોટિસ, ૧૦,૮૭,૨૧૨ વખત દવા છંટકાવ, ૩૫૨ ખાબોચીયાનું ચેકિંગ છતાં રોગની રફ્તાર ઠેરની ઠેર
- ૧ સપ્તાહમાં ડેંગ્યુ-ચિકનગુનિયાના ૧-૧, શરદી-ઉધરસના ૯૪૧, તાવના ૧૫૯, ઝાડા-ઊલટીના ૧૮૧ દર્દી નોંધાયા
રાજકોટ ઉપર હવે રોગચાળાએ કબજો લઈ લીધો હોય તેવી રીતે દર સપ્તાહે આંકડા ઘટવાનું નામ જ લઈ રહ્યા નથી. તાજેતરમાં જ જનરલ બોર્ડમાં આરોગ્ય શાખાએ એવો એકરાર કર્યો હતો કે ઑક્ટોબરથી ડિસેમ્બર સુધીના ત્રણ મહિનામાં ૩૯૦૭૬ ઘરમાં ફોગિંગ કરવામાં આવ્યું છે તો અલગ-અલગ સ્થળે ૧૦,૮૭,૨૧૨ વખત દવા છંટકાવ, ૩૫૨ ખાબોચીયાનું ચેકિંગ તેમજ મચ્છર ઉપદ્રવ બદલ ૪૪૦૮ લોકોને નોટિસ ફટકારવામાં આવી છે. જો વાસ્તવિક રીતે આટલી કામગીરી કરવામાં આવી હોય તો પછી રોગચાળો આટલો વધવાનું કારણ શું હશે તેવો સવાલ પણ અત્યારે પ્રબુદ્ધ નાગરિકો ઉઠાવી રહ્યા છે.
દરમિયાન તા.૨૨-૧-૨૦૨૪થી તા.૨૮-૧-૨૦૨૪ સુધીના સાત દિવસમાં શહેરમાં ડેંગ્યુનો ૧ (વર્ષના ૬), ચિકગુનિયાનો ૧ (વર્ષના ૫), શરદી-ઉધરસના ૯૪૧ (વર્ષના ૪૯૩૧), સામાન્ય તાવના ૧૫૯ (વર્ષના ૫૮૮) અને ઝાડા-ઊલટીના ૧૮૧ (વર્ષના ૯૨૫) દર્દી નોંધાયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મહાપાલિકા દ્વારા દર સપ્તાહે જે આંકડા જાહેર કરવામાં આવે છે તે તેના હસ્તકના ૨૩ આરોગ્ય કેન્દ્ર, સિવિલ હોસ્પિટલ અને ગણીગાંઠી ખાનગી હોસ્પિટલો પાસેથી એકઠા કરીને જાહેર કરવામાં આવે છે પરંતુ જો તમામ હોસ્પિટલો, દવાખાનાઓ, ક્લિનિકો પાસેથી રોગચાળાના આંકડા લઈને જાહેર કરવામાં આવે તો સ્થિતિ ઘણી જ બિહામણી હોવાનું જાણકારો જણાવી રહ્યા છે.