સર્વેશ્વર ચોકમાં વોંકળાનું કામ ચોમાસા પછી શરૂ થશે
૪.૯૧ કરોડના ખર્ચે નવો વોંકળો બનશે જેના માટે અમુક રસ્તા કરાશે બંધ: રસ્તા સહિતના કામોને સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી પણ તે પણ વરસાદ બાદ ચાલું થઈ શકશે
૯૭ દિ’ બાદ મળેલી સ્ટેન્ડિંગ કમિટીએ ૧૯૦ કરોડથી વધુના વિકાસકાર્યોની ૬૫ દરખાસ્તને મંજૂરી
ગત વર્ષે સપ્ટેમ્બર માસમાં સર્વેશ્વર ચોકમાં વોંકળા પરનો સ્લેબ તૂટી પડવાની દૂર્ઘટના બાદ મહાપાલિકા દ્વારા અહીં નવો વોંકળો બનાવવાનો નિર્ણય લેવાયો હતો. જો કે કામ શરૂ થાય તે પહેલાં જ લોકસભા ચૂંટણીની ૮૪ દિવસથી વધુની આચારસંહિતા અમલી બની જતાં કામ ત્રણેક મહિના પાછું ઠેલાયું હતું. હવે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા સર્વેશ્વર ચોકમાં ૪.૯૧ કરોડના ખર્ચે નવો વોંકળો બનાવવાની દરખાસ્તને મંજૂરી આપી દેવામાં આવી છે પરંતુ ત્યાં કામ ચોમાસા બાદ જ શરૂ કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઉપરાંત કમિટીએ રસ્તા, પેવર સહિતના કામની દરખાસ્તોને પણ મંજૂરી આપી છે પરંતુ તે કામ પણ વરસાદ બાદ જ ચાલું કરાશે. દરમિયાન મંગળવારે ૯૭ દિવસ બાદ મળેલી સ્ટેન્ડિંગ કમિટીએ અલગ-અલગ વિકાસ કાર્યોની ૧,૯૦,૭૮,૫૦,૨૮૫ રૂપિયાની ૬૫ દરખાસ્તોને મંજૂરીની મ્હોર લગાવી હતી.
પ્લેનેટેરિયમ સંકુલના કોમ્પ્યુટર વિભાગનું સંચાલન ટ્રસ્ટને સોંપવાની દરખાસ્ત પેન્ડીંગ
મહાપાલિકા દ્વારા પ્લેનેટેરિયમ સંકુલના કોમ્પ્યુટર વિભાગનું સંચાલન શ્રી અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટને ત્રણ વર્ષ માટે સોંપવાની દરખાસ્તને પેન્ડીંગ રાખવામાં આવી છે. આ અંગે ચેરમેન ઠાકરે જણાવ્યું કે કમિટી દ્વારા કોર્પોરેટર કેતન પટેલ અને અશ્વિન પાંભરની એક કમિટી બનાવાઈ છે જે ટ્રસ્ટને સંચાલન સોંપવું કે નહીં તેની ખરાઈ કરીને રિપોર્ટ આપશે તે પછી જ નિર્ણય લેવાશે. મનપા દ્વારા દર વર્ષે સંચાલન માટે પાંચેક લાખ રૂપિયા ચૂકવાય છે પરંતુ યોગ્ય સંચાલન થઈ રહ્યું ન હોવાનું ધ્યાન પર આવ્યું છે.
મનપાના તમામ સંકુલોની કમિટીમાં હવે નગરસેવકને પણ સમાવવા ફરજિયાત
સ્ટેન્ડિંગ કમિટી દ્વારા એવો નિર્ણય પણ લેવાયો છે કે મહાપાલિકા હસ્તકના તમામ સંકુલો કે જે ખાનગી સંસ્થાને સંચાલન માટે સોંપવામાં આવે છે તે સંસ્થાની કમિટીમાં હવે બે નગરસેવક ઉપરાંત એક પ્રતિષ્ઠિત નાગરિકને સ્થાન આપવું ફરજિયાત કરવામાં આવશે. આવું એટલા માટે કેમ કે સંસ્થાને સંચાલન સોંપાય એટલે તે પોતે માલિક હોય તેવું વર્તન થઈ રહ્યું હોય હવે એમ નહીં ચાલે…
જે કામ ઝોનલ કોન્ટ્રાક્ટરે ૫ લાખમાં કર્યું તેના માટે કરાઈ’તી ૨૮ લાખની દરખાસ્ત
વોર્ડ નં.૧૫માં આજી ડેમ ફિલ્ટર પ્લાન્ટ પાછળ નેશનલ હાઈ-વેને લાગુ ખુલ્લી જમીનમાં વૃક્ષારોપણને પિયત આપવા પાણીની લાઈનનું નેટવર્ક પૂરું પાડવા લોકસભા ચૂંટણીની આચારસંહિતા પૂર્વે દરખાસ્ત કરાઈ હતી તેના માટે જીએસટી સહિત ૩૦ લાખના ખર્ચનો અંદાજ વ્યક્ત કરાયો હતો. જો કે આચારસંહિતા લાગુ પડી જતાં દરખાસ્ત પેન્ડીંગ રાખી દેવાઈ હતી. આચારસંહિતા હોવા છતાં તંત્રવાહકોએ અત્યંત જરૂરી એવું આ પાણીનું કામ ઝોનલ કોન્ટ્રાક્ટર પાસે કરાવતાં ૩૦ લાખનું કામ ૫ લાખમાં થઈ જતાં આ દરખાસ્તને પણ નામંજૂર કરાઈ છે.