તારીખ પે તારીખ: એઈમ્સમાં દર્દીઓ ૩૦ ડિસેમ્બરથી દાખલ થઈ શકશે
પહેલાં માર્ચ, ત્યારપછી સપ્ટેમ્બર, બાદમાં ઑક્ટોબર અને હવે ડિસેમ્બરથી શરૂ થવાની ધારણા, જો કે તેમાં ફેરફાર થાય તેવી પણ સંભાવના
મુખ્યમંત્રી, કેન્દ્રીય આરોગ્ય મંત્રી, સાંસદો જ્યારે જ્યારે હોસ્પિટલની મુલાકાત લ્યે ત્યારે તેના એક મહિના પછી દાખલ કરવાની સુવિધા શરૂ થશે તેવું જાહેર કરી દેવાયાનો સિલસિલો જળવાયેલો
જો દાખલ કરવાની સુવિધા શરૂ થાય તો નજીવા દરે ગુણવત્તાયુક્ત સારવાર મળી શકે પરંતુ તંત્ર તેમજ સરકારનું ઉદાસીન વલણ એક વર્ષથી લોકોને ટટળાવી રહ્યું છે !
ગુજરાતની સૌથી પહેલી એઈમ્સ રાજકોટને ફાળવવામાં આવી છે. જ્યારે આ હોસ્પિટલ ફાળવાઈ ત્યારે મંત્રીઓથી લઈ કાર્યકરો ઉછળી ઉછળીને એઈમ્સ અમારા શાસનમાં જ આવી છે' તેવા ગીત ગાવામાંથી ઉંચા આવી રહ્યા ન્હોતા. આ પછી ઉતાવળે હોસ્પિટલમાં ઓપીડી સેવા શરૂ કરી દેવામાં આવી હતી જેનો લાભ શહેરીજનો લઈ પણ રહ્યા છે. જો કે એઈમ્સ સુધી પહોંચવા માટે રોડ-રસ્તા ઠીકઠાક હોવાથી લોકોને મુશ્કેલીઓ પણ વેઠવી પડી રહી છે.
દરમિયાન ૩ સપ્ટેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એઈમ્સ હોસ્પિટલની કામગીરીની સમીક્ષા કરી ત્યારે એવી જાહેરાત કરાઈ હતી કે ઑક્ટોબરથી હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવાની સુવિધા શરૂ કરાશે પરંતુ હજુ સુધી શરૂ થઈ શકી નથી. આટઆટલો વિલંબ થવા છતાં હજુ સુધી હોસ્પિટલમાં દર્દીને દાખલ કરી શકાતા નથી ત્યારે હવે એવું નક્કી કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે કે સંભવત: ડિસેમ્બરથી હોસ્પિટલમાં ૨૫૦ બેડ ઉપલબ્ધ બનાવી તેમાં દર્દીઓને દાખલ કરવાનું શરૂ કરવામાં આવશે.
અહીં એ વાત નોંધવી રહી કે જ્યારે જ્યારે મુખ્યમંત્રી, કેન્દ્રીય આરોગ્ય મંત્રી, સાંસદો સહિતના હોસ્પિટલના નિર્માણકાર્યની સમીક્ષા કરવા માટે મુલાકાત લ્યે છે ત્યારે એ જ દિવસે તેના પછીના મહિનાથી હોસ્પિટલનું સત્તાવાર ઉદ્ઘાટન કરવામાં આવશે તેવું જાહેર કરી દેવાય છે પરંતુ ક્યારેય એ જાહેરાત સફળ નિવડી નથી. અગાઉ એવી જાહેરાત કરાઈ હતી કે માર્ચ મહિનાથી હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવાનું શરૂ કરવામાં આવશે.
જે પછી સપ્ટેમ્બરની તારીખ પડી અને સપ્ટેમ્બર બાદ ઑક્ટોબર મહિનાની જાહેરાત કરાઈ પરંતુ ઑક્ટોબર તો ઠીક નવેમ્બર પૂરો થવા આવ્યો ત્યાં સુધી સુવિધા ઉભી કરાઈ નથી ત્યારે હવે છેક ૩૦ ડિસેમ્બરથી આઈપીડી (દર્દીને દાખલ કરવાની સુવિધા) શરૂ કરાશે તેવું બિનસત્તાવાર રીતે જાહેર કરાયું છે ત્યારે તેમાં પણ ફેરફાર થઈ શકે છે તેવી શક્યતા નકારી શકાતી નથી. જો એઈમ્સ હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવાની સુવિધા મળે તો નજીવા દરે ઉચ્ચ ગુણવત્તાની સારવાર મળી શકે પરંતુ તંત્રવાહકોની
આળસ’ લોકોને આ લાભથી વંચિત રાખી રહી છે.
નિર્માણકાર્ય કરતી એજન્સીને કોઈ કશું નથી કહી શકતું !!
કેન્દ્ર સરકાર દ્વારા રાજકોટની એઈમ્સ હોસ્પિટલના નિર્માણ કાર્યની જવાબદારી એચએસી કંપની-દિલ્હીને સોંપવામાં આવી છે ત્યારે આ એજન્સી કામમાં અસહ્ય ઢીલ રાખી રહી હોવા છતાં તેને કોઈ કશું કહી શકતું ન હોય તેવો તાલ સર્જાયો છે. હોસ્પિટલ પાસે તમામ પ્રકારના ઈન્સ્ટુમેન્ટ મતલબ કે સાધનો આવી ગયા છે પરંતુ એજન્સી દ્વારા સમયસર નિર્માણ કરવામાં આવે તો જ તેને નિર્ધારિત જગ્યાએ ફિટ કરી શકાય તેમ છે.