બિલ્ડરે કબજે કરેલો બગીચો એક સપ્તાહમાં પરત લેવા આદેશ
વોઈસ ઓફ ડે' ઈમ્પેક્ટ: લોકોનું લોકોને થશે અર્પણ...!
ગાર્ડન સુપરવાઈઝર હિરપરા અને ઈજનેર કુંતેશ મહેતાને તાત્કાલિક તપાસ કરી સપ્તાહની અંદર રિપોર્ટ રજૂ કરવા સ્ટે.કમિટી ચેરમેન જયમીન ઠાકરનો હુકમ
માત્ર એપાર્ટમેન્ટના લોકો જ નહીં બલ્કે જનતા પણ બગીચામાં બેસી આનંદ માણી શકે તેવી વ્યવસ્થા કરાશે
પહેલાં
રૂડા’ અને ત્યારબાદ મહાપાલિકાની ૧૮૦ કરોડની જમીન ઉપર બિલ્ડરે કબજો બળવાન કરીને કારીગરી' કર્યાનો ધગધગતો તેમજ પૂરાવા સાથેનો અહેવાલ પ્રસિદ્ધ થતાં જ મહાપાલિકા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. એક બાજુ મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈએ આ મુદ્દે તપાસનો આદેશ આપ્યા બાદ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે ખોંખારો ખાઈને કહ્યું હતું કે એક સપ્તાહની અંદર કબજે કરાયેલો આ બગીચો મહાપાલિકા પરત લઈ લેશે સાથે સાથે બિલ્ડરે જો મનપાના બગીચામાં કોઈ પ્રકારની ગેરરીતિ કરી હશે તો નોટિસ સહિતના પગલાં પણ લેવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું કે આ માટે ગાર્ડન સુપરવાઈઝર રાકેશ હિરપરા અને ઈજનેર કુંતેશ મહેતાને તાત્કાલિક તપાસકરી એક સપ્તાહની અંદર રિપોર્ટ રજૂ કરવા માટેની જવાબદારી સોંપવામાં આવી છે.
આ રિપોર્ટ આવી ગયા બાદ તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ બગીચો કોઈ એક એપાર્ટમેન્ટ માટે નથી બલ્કે સામાન્ય જનતા માટે છે એટલા માટે તેમને સરળતાથી પ્રવેશ મળવો જ જોઈએ. મહાપાલિકાના બગીચામાં માત્ર એક જ ગેઈટ હોય તે બિલકુલ ચલાવી લેવાશે નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે કાલાવડ રોડ ઉપર રંગોલી પાર્ક સામેના રોડ ઉપર (મોટામવા) ગ્રીનફિલ્ડ કોર્પોરેશન દ્વારા વિશાળ એપાર્ટમેન્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે જેની સામે જ આવેલી મહાપાલિકાની જાહેર બાગ-બગીચા માટેની અનામત ૧૨૦૦૦ ચોરસ મીટર જમીન જાણે કે પોતાની માલિકીની હોય તે રીતે એક જ ગેઈટ બિલ્ડર દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે જેથી એક નજરે સૌને એમ જ લાગે કે આ બગીચો બિલ્ડરની માલિકીનો જ છે ! જો કે
વોઈસ ઓફ ડે’ દ્વારા આ મામલાની ઉંડાણપૂર્વક તપાસ કર્યા બાદ એવો ખુલાસો થયો કે જે તે સમયે મોટામવા ગામ રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (રૂડા) હસ્તક હતું ત્યારે રૂડા દ્વારા આ બગીચો ત્રણ વર્ષ માટે બિલ્ડરને ડેવલપ કરવા માટે પીપીપી ધોરણે આપવામાં આવ્યો હતો. આ બગીચો ૨૦૧૯માં ડેવલપ કરવા માટે અપાયો હતો જે ૨૦૨૨ સુધીમાં પરત સોંપી દેવાનો હતો. જો કે મોટામવા ગામ મનપામાં ભળ્યા બાદ ૨૦૨૪ સુધીમાં બગીચો પરત લેવામાં આવ્યો ન હોવા સહિતની બાબતનો અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો.
મ્યુનિ.કમિશનર બગીચાની મુલાકાત લઈ સુધારા કરાવશે
મહાપાલિકાનીગાર્ડન શાખાના સુપરવાઈઝર રાકેશ હિરપરાનો સંપર્ક સાધવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે તેમણે આ બગીચાનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું જેમાં માત્ર એક જ ગેઈટ હોવાનું ધ્યાન પર આવ્યું હતું જે વ્યાજબી નથી. હવે મ્યુનિસિપલ કમિશનર અહીં મુલાકાત લેશે અને તમામ પ્રકારના સુધારા કરાવશે. ખાસ કરીને જનતા માટેનો બગીચો હોય એટલે તેમાં એકથી વધુ ગેઈટ હોવા જોઈએ જે મુકાશે. આ ઉપરાંત મહાપાલિકા હસ્તકનો બગીચો છે તેવું બોર્ડ પણ મુકવામાં આવશે. અત્યારે રૂડા સાથે પત્ર વ્યવહાર ચાલી રહ્યો છે જે ઝડપથી પૂર્ણ કરી બગીચો મનપા હસ્તક લેવામાં આવશે. તેમણે એમ પણ જણાવ્યું કે બગીચામાં જે કોઈ ફેરફાર કરવાના થશે તે કરવા માટે બિલ્ડર દ્વારા તૈયારી દર્શાવાઈ છે !