રાજકોટમાં લોકમેળાના છેલ્લા દિવસે શહેરીજનોએ મન ભરી મેળાની રંગત માણી
મંગળવારથી શરૂ થયેલા રસ રંગ લોકમેળામાં છ દિવસમાં 11 લાખથી વધુ લોકોએ મેળો માણ્યો
આજથી શાળાઓ શરૂ થવાની હોવાથી અમુક પરિવારો સાંજે બાળકો સાથે મેળાની મોજ માણવા ફરી વખત ઉમટી પડ્યા
રાજકોટના રસ રંગ લોક મેળાના છેલ્લા દિવસે સાંજથી લોકોની અવર જવરરેસકોર્સ મેદાન તરફ વધી ગઈ હતી. પાંચ દિવસ દરમિયાન લોકમેળામાં નાના-મોટા ધંધાર્થીઓને સારી આવક થઈ હતી. કઈ-કેટલાય વેપારીઓ કે જેઓપર-પ્રાંતમાંથી રાજકોટ મેળામાં કમાવા માટે આવ્યા હતા તેઓ પોતાની દિવાળી સુધરી ગયા નો આનંદ વ્યક્ત કરતા હતા. રવિવારે લોકમેળાના છેલ્લા દિવસે શહેરીજનો ઉમટી પડ્યા હતા. એક તબક્કે રેસકોસ તરફના બંને જાહેર માર્ગો તંત્ર અને પોલીસને બંધ કરવાની ફરજ પડી હતી. આજથી શાળાઓ શરૂ થવાની હોવાથી અમુક પરિવારો સાંજે બાળકો સાથે મેળાની મોજ માણવા ફરી વખત ઉમટી પડ્યા.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટના લોકમેળાના રવિવારે છેલ્લા દિવસે પણ મેળાની મોજ માણવા દિવસના ભાગમાં ગ્રામ્ય અને રાતે શહેરની પ્રજા ઉમટી પડી હતી. છ દિવસ દરમિયાન રસરંગ લોકમેળામાં 11 લાખથી પણ વધુ માનવ વેદની ઉમટી પડી હતી.લોકમેળામાં સૌથી વધારે યાંત્રિક રાઈડ્સ મેળાનું આકર્ષણ બની ગઈ હતી.
છેલ્લા દિવસે રમકડા સહિતની વસ્તુઓ સસ્તામાં મળી જવાની આશાએ લોકો ઉમટી પડ્યા
રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાયેલા લોકમેળામાં દર વર્ષની જેમ છેલ્લા દિવસે પર-પ્રાંતના લોકો રમકડા ક્રોકરી, લેડીઝ પર્સ, કટલરી બેગ સહિતની વસ્તુઓ પરત લઈ જવાની બદલે નહીં નફો નહીં નુકસાનના ધોરણે વેચી દેતા હોય છે તેની લાલચમાં કંઈ કેટલાય લોકો મેળાની ફરી વખત રવિવારે છેલ્લા દિવસે મોજ માણવા રેસકોર્સના મેદાનમાં દોડી આવ્યા હતા. અમુક સ્ટોલ ઉપર તો શનિવારે જ માલ ખલાસ થવા લાગ્યો હતો. લોકમેળો એક દિવસ લંબાશે તેવી ધંધાર્થીઓને આશા ન હતી જેથી લિમિટેડ જથ્થો લાવ્યા હતા. આમ છતાં થોડો ઘણો સામાન જેમાં કટલરી, રમકડા જેવી વસ્તુઓ પરત લઈને જવી ન પડે એટલે “ભાવ ટુ ભાવ” વેચી દેતા નજરે પડતા હતા.
વહીવટી તંત્ર સતત છ દિવસ લોકમેળામાં વ્યસ્ત રહ્યું
રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શહેરના રેસકોર્સ મેદાનમાં છ દિવસ સુધી યોજવામાં આવેલા લોકમેળા નિર્વિઘ્ને સંપન્ન થતાં વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે,“લોકમેળામાંથી જે કંઈ તંત્રને આવક થશે તે લોકહિતના કામમાં વપરાશે”. લોકમેળા અમલીકરણ સમિતિના અધ્યક્ષ અને સીટી 1ના ડેપ્યુટી કલેક્ટર કે.જી. ચૌધરી, સીટી 2ના સંદીપ વર્મા, રાજકોટ ગ્રામ્યના ડેપ્યુટી કલેક્ટર ટાંક તેમજ મામલતદાર કરમટા, ગઢવી, કલેકટર કચેરીનાકર્મચારીઓમાં બકુલ પરમાર નાયબ મામલતદાર વસીમભાઈ સહિતનાઓની છેલ્લા કેટલાય દિવસની મહેનત લેખે લાગી હતી અને લોકમેળો લોકોએ મન ભરીને માણ્યો હતો તેમજ કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બન્યો અને શાંતિપૂર્વક પૂર્ણ થયો તેનો હાંશકારો અનુભવ્યો હતો.રાજકોટમાં લોકમેળાના છેલ્લા દિવસે શહેરીજનોએ મન ભરી મેળાની રંગત માણી