૨૫મીએ નરેન્દ્ર મોદી રાજકોટમાં, વાંચો ક્યાં કરશે ઉદઘાટન
- રેસકોર્સ-૨ અને જનાના હોસ્પિટલ સહિતની યોજનાઓનું પણ લોકાર્પણ
- દિલ્હીથી તારીખ આવી જતા તંત્રમાં દોડધામ શરુ : કલેકટરે લીધી એઈમ્સની મુલાકાત
- ભાજપ દ્વારા પણ વડાપ્રધાનના આગમનને લઈને ઉત્સાહ : રોડ શો અને જાહેરસભા યોજવા વિચારણા
રાજકોટમાં નિર્માણ પામેલી એઈમ્સની કામગીરી હવે પૂર્ણતાને આરે છે અને આગામી ૨૫મી ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તેનું ઉદઘાટન કરવામાં આવશે. સુત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી એઈમ્સ ઉપરાંત રેસકોર્સ-૨ અને સૌરાષ્ટ્રની સૌથી મોટી જનાના હોસ્પિટલનું લોકાર્પણ પણ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખુદના ડ્રીમ પ્રોજેક્ટ સમાન એઈમ્સના ઉદઘાટન માટે પી.એમ.ઓ.માંથી તારીખ આવી જતા તંત્રમાં દોડધામ શરુ થઇ ગઈ છે. આજે કલેકટર પ્રભવ જોશી એઈમ્સ દોડી ગયા હતા અને સમીક્ષા કરી હતી. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યાના સમાચારો ભાજપ સુધી પણ પહોચી ગયા છે અને તેમના ભવ્ય સ્વાગત ઉપરાંત રોડ શો અને જાહેરસભા યોજવા સંદર્ભે તૈયારી શરુ કરી દેવામાં આવી છે.
ભાજપના શહેર પ્રમુખ મુકેશ દોશીએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ૨૫મી ફેબ્રુઆરીએ રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે અને તેમના સ્વાગત માટેની તૈયારી શરુ કરી દેવામાં આવી છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર માટે મેડિકલ ક્ષેત્રે આર્શિવાદરૂપ એવી એઇમ્સ હોસ્પિટલમાં 250 જેટલી બેડની ઇન્ડોર હોસ્પિટલની શરૂઆત થશે. જામનગર રોડ પર પરાપીપળીયા નજીક ખંઢેરી ખાતે એઇમ્સ હોસ્પિટલનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. અને ઉદઘાટન બાદ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના દર્દીઓને તેનો સીધો જ લાભ થશે.
હાલમાં ઓપીડી ચાલુ છે પણ ઉદઘાટન પછી આઈ.પી.ડી. શરુ થશે અને હોસ્પિટલમાં જનરલ સર્જરી, માઇનોર ઓટી, સગર્ભા મહિલાઓની પ્રસુતિ, ઓર્થોપેડિક ઓપરેશન, હાર્ટના દર્દીઓની સારવાર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ થઇ શકશે.આ ઉપરાંત દર્દીઓને ડિજીટલ એક્સ રેની સુવિધા પણ ઉપલબ્ઘ થશે. દર્દીઓને માત્ર 150 રૂપિયામાં ડિજીટલ એક્સ રેની સુવિધા મળશે.
દરમિયાન મહાપાલિકાના સુત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન રાજકોટ આવી રહ્યા છે ત્યારે તેમના હસ્તે રેસકોર્સ-૨નું લોકાર્પણ પણ કરવાની તૈયારી છે. સ્માર્ટ સિટી અંતર્ગત રેસકોર્સ-૨ તૈયાર થયું છે અને તેમાં અટલ સરોવર સહિતના આકર્ષણો છે. આ ઉપરાંત ૫૦૦ બેડની સૌરાષ્ટ્રની સૌથી મોટી જનાના હોસ્પિટલનું ઉદ્ઘાટન પણ વડાપ્રધાન કરી શકે છે. રેસકોર્સ-૨ અને જનાના હોસ્પિટલનું ઉદઘાટન વર્ચ્યુઅલી કરવામાં આવશે. જયારે મુખ્ય કાર્યક્રમ એઈમ્સના આંગણે યોજવામાં આવશે.
સિગ્નેચર બ્રિજનું ફેબ્રુઆરી અંતમાં વડા પ્રધાન કરી શકે છે લોકાર્પણ
દ્વારકામાં સ્ટીલ સ્ટ્રક્ચર સાથે બનેલો દેશનો સૌથી લાંબો બ્રિજ અને આઇકોનિક બનેલા સિગ્નેચર બ્રિજનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવી શકે છે. આ બ્રિજ માત્ર ગુજરાત નહીં પણ સમગ્ર દેશમાં એક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ લેન્ડ માર્ક બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે સિગ્નેચર બ્રિજ એક ડ્રીમ પ્રોજેક્ટ હતો. કારણ કે વિશ્ર્વ પ્રસિદ્ધ જગત મંદિર દ્વારકાધીશ સૌ કોઇ માટે આસ્થાનું કેન્દ્ર છે. અહી લાખો ભક્તો દ્વારકા દર્શન માટે આવે છે, પરંતુ ઓખાથી બેટ દ્વારકા જવા માટે ફેરી બોટનો ઉપયોગ કરવો પડે છે. પણ આ બ્રિજ તૈયાર થતા હવે સામાન્ય વ્યક્તિ કાર લઇ અવર જવર કરી શકશે.
