રાજકોટ સહિત આઠેય મનપાના પદાધિકારીઓ ‘પાટીલના દરબાર’માં
મોદીની ગુજરાતથી વિદાય, ચૂંટણી માટે શરૂ થયેલી સેન્સ પ્રક્રિયા વચ્ચે જ હોદ્દેદારોને તેડાવતાં તરેહ-તરેહની ચર્ચા: પૂર્વ મેયર-સ્ટે.ચેરમેન પણ પહોંચ્યા
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રને અબજો રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપીને દિલ્હી રવાના થયા છે. જો કે તેમના દિલ્હી ગયાના બીજા જ દિવસે મતલબ કે સોમવારે
અચાનક’ જ લોકસભા ચૂંટણી માટેના દાવેદારોની સેન્સ પ્રક્રિયા શરૂ થઈ જતાં રાજકીય ગલિયારામાં અનેકવિધ ચર્ચાઓનું વમળ ફૂંકાયું હતું. આ બધાની વચ્ચે રાજ્યની આઠેય મહાપાલિકાના પદાધિકારીઓ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને મળવા ગાંધીનગર પહોંચતાં વળી તેને લઈને નવી ચર્ચાએ જોર પકડી લીધું હતું.
જો કે આ અંગે રાજકોટ મનપાના એક પદાધિકારીએ `વોઈસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બેઠક અને લોકસભા ચૂંટણીને સ્પષ્ટ રીતે કશું જ લાગતું-વળગતું નથી. આ બેઠક અંગે પાંચ દિવસ પહેલાં જ આઠેય મહાપાલિકાના હાલના તેમજ પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને મેયરને જાણ કરી દેવામાં આવી હતી. આ બેઠકમાં આઠેય મહાપાલિકાની પોલિસી અંગે ચર્ચા કરવામાં આવી હતી. પાટીલ સાથેની બેઠકમાં પોલિસી સંબંધિત જ મુદ્દો ચર્ચાયો હતો અને પોલિસીમાં કોઈ ફેરફાર કરવાની જરૂર છે કે નહીં તે ઉપરાંત આઠેય મહાપાલિકા એક જ પોલિસી પ્રમાણે કામ કરે તે વાત ઉપર ભાર મુકવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે મોદીની ગુજરાત વિદાય, ચૂંટણી માટે શરૂ થયેલી સેન્સ પ્રક્રિયા વચ્ચે જ હોદ્દેદારો ગાંધીનગર પહોંચતાં શું અલગથી સેન્સ લેવામાં આવી હશે કે કેમ તે સહિતના સવાલો ઉઠ્યા હતા પરંતુ આ બેઠક પોલિસી માટે મળી હોવાનું જાણવા મળ્યું છે.