રાજકોટ કલેકટર કચેરીમાં 12 વાગ્યા સુધી અરજદારોને નો એન્ટ્રી
જનસેવા કેન્દ્ર બંધ કરી દેવાયું : સવારે 10.30 વાગ્યાથી ઓળખપત્ર વગરના કર્મચારીઓને પણ પોલીસે પ્રવેશ ન આપતા દેકારો
રાજકોટ : રાજકોટ જિલ્લા કલેકટર કચેરીમાં મંગળવારે ભાજપના ઉમેદવાર પરસોતમભાઇ રૂપાલા ઉમેદવારીપત્ર ભરવા આવવાના હોવાથી ક્ષત્રિય સમાજના વિરોધને જોતા તંત્રએ જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેતા સામાન્ય અરજદારોને કચેરીમાં 12 વાગ્યા બાદ પ્રવેશ મળ્યો હતો તો બીજી તરફ કચેરીના કર્મચારીઓને પણ ઓળખપત્ર વગર પ્રવેશ ન આપવામાં આવતા કર્મચારીઓમાં દેકારો બોલી ગયો હતો.
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમભાઇ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિષે કરેલી ટિપ્પણીને બાદ રાજ્યભરમાં ઉઠેલા વિરોધ વચ્ચે મંગળવારે તેઓ નામાંકનપત્ર ભરે ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કલેકટર કચેરીને પોલીસ છાવણીમાં ફેરવી દઈ તમામ પ્રવેશદ્વાર બંધ કરી ડી અરજદારો તેમજ કચેરીના કર્મચારીઓને પણ ઓળખપત્ર વગર કચેરીમાં પ્રવેશવા દેવામાં ન આવતા રૂટિન કામગીરીને અસર પડી હતી. જો કે, ભાજપ કાફલાની વિદાય બાદ કચેરીના તમામ પ્રવેશદ્વાર ખોલી નાખવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતેથી તમામ સરકારી કચેરીઓને ઓનલાઇન કામગીરી માટે જીસ્વાન સેવા પુરી પાડવામાં આવે છે ત્યારે મંગળવારે કોન્ટ્રાકટ બેઇઝ જી-સ્વાન સ્ટાફને પણ પ્રવેશ આપવામાં ન આવતા સબ રજિસ્ટ્રાર ઝોન -2 કચેરીમાં કલાકો સુધી ઓનલાઇન કામગીરી અટકી પડી હતી સાથે જ જિલ્લા કલેકટર કચેરીના જનસેવા કેન્દ્રને પણ બપોરે 12 વાગ્યાથી વધુ સમય સુધી બંધ રાખવામાં આવ્યું હતું.