મેઘકૃપા ! રાજકોટના 13 સહીત સૌરાષ્ટ્રના 29 ડેમમાં નવા નીર
ભાદર ડેમ અડધો-અડધ ભરાઈ ગયો, રાજકોટ જિલ્લાના જળાશયોમાં 35.90 ટકા જળસંગ્રહ
રાજકોટ : રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદને કારણે ભાદર, આજી, ન્યારી સહિત સૌરાષ્ટ્રના 29 ડેમમાં નવા નીરની આવક થઈ છે. જેમાં દ્વારકાનો વાંસલ ડેમ તેમજ જામનગરના સસોઈ-2 અને વગડિયા ડેમ 100% ભરાઈ ગયા છે જયારે રાજકોટ જિલ્લાના આજી-2, ન્યારી-2 અને ભાદર-2 ડેમના દરવાજા ખોલી પાણીની સપાટી જાળવવામાં આવી રહી છે.
દક્ષિણ ગુજરાત બાદ ગઈકાલે સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ સટાસટી બોલવતા સૌરાષ્ટ્રના સૌથી મોટા ભાદર ડેમમાં વરસાદી આવક થતા છેલ્લા 24 કલાકમાં 2.20 ફૂટ નવા નીરની આવક થઈ હતી. ભાદર ડેમની સપાટી હાલમાં 17.30 ફૂટ પહોંચી છે. જ્યારે રાજકોટ શહેરના જીવાદોરી સમાન આજી 1 ડેમની સપાટી 20.30 ફૂટ પહોંચી છે અને નવા રાજકોટને પાણી પૂરું પાડતા ન્યારી-1 ડેમમાં નવા નીરની આવક થતા સપાટી 14.60 ફૂટ પહોંચી છે. રાજકોટ જિલ્લાને સિંચાઈ માટે ઉપયોગી આજી-2 ડેમની સપાટી પણ હાલ 73.29% એટલે કે, 25.90 ફૂટ પાણી ભરેલ છે અને તેના 3 દરવાજા 0.15 મીટર ખોલવામાં આવ્યા છે. જ્યારે ઉપલેટા નજીકનો ભાદર-2 ડેમ 81% એટલે કે, 21.50 ફૂટ ભરેલો હોવાથી તેનો પણ એક દરવાજો 0.75 મીટર ખોલવામાં આવ્યો છે.
રાજકોટ સિંચાઈ વિભાગ હસ્તકના કુલ 82 ડેમ આવેલા છે જેમાં રાજકોટ, મોરબી, દ્વારકા, સુરેન્દ્રનગર અને જામનગર જિલ્લાનો સમાવેશ થાય છે. આ કુલ 82 ડેમ પૈકી 18 ડેમની સ્થિતિ 50% કરતા વધુ છે. જ્યારે રાજકોટનો છાપરવાડી-1 ડેમ, દ્વારકાનો સાની ડેમ, સુરેન્દ્રનગરનો સબૂરી અને નિંભણી ડેમની સ્થિતિ 0% એટલે કે ખાલીખમ છે અને દ્વારકાનો વાંસલ ડેમ તેમજ જામનગર જિલ્લાના સસોઈ-2 અને વગડીયા ડેમ 100% ભરાય ગયા છે અને રાજકોટ જિલ્લામાં આવેલા કુલ 27 જળાશયોમાં હાલમાં 35.90 ટકા જળજથ્થો સંગ્રહિત થયો છે.