રાજકોટમાં મોરારીબાપુની રામકથાની તડામાર તૈયારી: કાર્યાલયનું ઉદ્ઘાટન
પાસ ઈશ્યુ કરવા, સાધુ-સંતોને ક્યાં ઉતારો આપવો, સેવકને સેવા આપવાની ઈચ્છા હોય તો તેના માટેની નોંધણી, દરરોજના પ્રસાદની તૈયારી સહિતની કામગીરી કાર્યાલય ખાતેથી થશે
વિશાળ સંખ્યામાં રામભક્તોની ઉપસ્થિતિ વચ્ચે ઉદ્ઘાટન કરાયું
રાજકોટના આંગણે ૧૨ વર્ષ પછી પ્રખર રામાયણી પૂ.મોરારીબાપુની રામકથાનું આયોજન થઈ રહ્યું છે. આગામી તા.૨૩ નવેમ્બરથી ૧ ડિસેમ્બર સુધી રેસકોર્સ મેદાનમાં ચાલનારી આ રામકથામાં દરરોજ એક લાખથી વધુ લોકો ઉપસ્થિત રહેવાના છે. વૃદ્ધો અને વડિલોના લાભાર્થે ૩૦૦ કરોડના ખર્ચે જામનગર રોડ પર રામપર ખાતે ૧૧ માળના ૭ નવા બિલ્ડિંગ તૈયાર થઈ રહ્યા છે જેને અનુલક્ષીને જ આ કથાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દરમિયાન રામકથાના સુચારું આયોજન માટે અમીન માર્ગ પર આવેલા ટવીન ટાવરમાં રામકથા કાર્યાલયનું ઉદ્ઘાટન વિશાળ રામભક્તોની ઉપસ્થિતિ વચ્ચે કરવામાં આવ્યું હતું.
આ કાર્યાલય કાર્યરત થઈ જતાં હવે રામકથાની તૈયારીની તમામ કામગીરી અત્રેથી જ કરવામાં આવશે. ખાસ કરીને દરરોજ કથામાં આવનારા શ્રાવકોના પાસ ઈશ્યુ કરવા, રામકથા અંતર્ગત મોટી સંખ્યામાં સાધુ-સંતો રાજકોટમાં ઉપસ્થિત રહેશે ત્યારે તેમના માટે ઉતારાની વ્યવસ્થા કરવા, કોઈ સેવકને સેવા આપવાની ઈચ્છા હોય તો તેના માટેની નોંધણી, દરરોજના પ્રસાદની તૈયારી સહિતની કામગીરી ઉપરોક્ત કાર્યાલય ખાતેથી જ કરવામાં આવશે. એકંદરે ૩૬ પ્રકારની અલગ-અલગ તૈયારીને કાર્યાલય ખાતેથી અંતિમ ઓપ આપવામાં આવશે.
કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ ટીલારા, પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ.વલ્લભભાઈ કથિરીયા, મહાપાલિકાની આરોગ્ય સમિતિના ચેરમેન તેમજ વોર્ડ નં.૧૪ના કોર્પોરેટર કેતનભાઈ પટેલ, સદ્ભાવના વૃદ્ધાશ્રમ માટે રાત-દિવસ એક કરી કામગીરી કરતા વિજયભાઈ ડોબરિયા ઉપરાંત મોટી સંખ્યામાં રામભક્તો ઉપસ્થિત રહ્યા હતા.