મતગણતરી સ્થળ પાસે સવારે ૫થી સાંજે ૫ સુધી અનેક રસ્તા રહેશે બંધ
સૂર્યમુખી ચોકથી પાટીદાર ચોક તેમજ આદ્યાશક્તિ ટી-સ્ટોલથી પાટીદાર ચોક સુધીના રસ્તે વાહનોને નો-એન્ટ્રી: પોલીસ કમિશનરનું જાહેરનામું
આવતીકાલે લોકસભા ચૂંટણી અંતર્ગત રાજકોટ બેઠક માટેની મત ગણતરી થનાર હોઈ કોઈ પ્રકારની ટ્રાફિક સમસ્યા કે અવ્યવસ્થા ન સર્જાય તે માટે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. કાલે સવારે ૫થી સાંજે ૫ વાગ્યા સુધી સૂર્યમુખી ચોકથી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજથી થઈ પાટીદાર ચોક સુધીના તમામ રસ્તા પર વાહનોને નો-એન્ટ્રી રહેશે. આ જ રીતે આદ્યાશક્તિ ટી-સ્ટોલથી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ અને ત્યાંથી પાટીદાર ચોક સુધી ભારે વાહનો માટે પ્રવેશબંધી રહેશે. આ દરમિયાન વાહન ચાલકો કણકોટ રોડથી કાલાવડ રોડ અને ત્યારબાદ કોસ્મો ચોકડીથી નવા ૧૫૦ ફૂટ રિંગરોડથી પાટીદાર ચોક તરફ જઈ શકશે.
આ ઉપરાંત પાટીદાર ચોક નવા ૧૫૦ ફૂટ રિંગરોડથી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજથી કણકોટ ઘોડાધાર મંદિર તરફ જવા માંગતા વાહનો પાટીદાર ચોકથી નવા ૧૫૦ ફૂટ રિંગરોડ અને ત્યાંથી કોસ્મો ચોકડી થઈ કણકોટ રોડ તરફ જઈ શકશે.
જ્યારે તંત્ર દ્વારા બાલવી ગેરેજની પાછળના ખુલ્લા ગ્રાઉન્ડ તેમજ સામેના ગ્રાઉન્ડ, જે.કે.હોસ્ટેલની આજુબાજું તેમજ પાછળની સાઈડમાં, પાટીદાર ચોકથી આગળ આવતાં ફિલ્ડ માર્શલ વાડીના ગ્રાઉન્ડમાં ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર પાર્ક કરી શકાશે તેમજ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજના મેઈન ગેઈટ સામે ખુલ્લા ગ્રાઉન્ડ અને પ્રિન્સીપાલના બંગલાની બન્ને સાઈડ સરકારી અધિકારી, કર્મચારી અને એજન્ટ પોતાના વાહન રાખી શકશે.