‘માલેતુજારો’ને ખટાવી દેવા મહાપાલિકાની ઉતાવળ તો જુઓ !!
મોટામવાથી અવધ સુધીનો રોડ પહોળો કરવાની દરખાસ્ત શનિવારે મંજૂર થઈ’ને સોમવારે પ્રસિદ્ધ થયેલા જનરલ બૉર્ડના એજન્ડામાં સામેલ પણ કરી દેવાઈ
મહાપાલિકા ક્યારે કયા કામમાં ઝડપ અને કયા કામમાં ઢીલી' પડી જાય તે કાળા માથાનો માનવી ક્યારેય સમજી શક્યો નથી અને કદાચ સમજી પણ શકશે નહીં ! આવું જ કંઈક
માલેતુજારો’ મતલબ કે ધનવાનોના કિસ્સામાં જોવા મળ્યું છે. મોટામવાથી અવધ સુધીનો રોડ ૩૦ મીટરમાંથી પહોળો કરી ૪૫ મીટરનો કરવાની દરખાસ્ત છ-છ વખત પેન્ડીંગ રહ્યા બાદ આખરે શનિવારે સ્ટેન્ડિંગ કમિટીએ તેને મંજૂરી આપી દીધી હતી. જો કે આ દરખાસ્ત મંજૂર કરતાં પહેલાં માલેતુજારો'ને કોઈ જ પ્રકારનું નુકસાન ન જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું.
સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત મુકાઈ ગયા બાદ હવે મહાપાલિકાએ તાત્કાલિક આ દરખાસ્તને જનરલ બોર્ડના એજન્ડામાં પણ સામેલ કરી દેતાં તેની
ઉતાવળ’ને લઈને તરેહ તરેહની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
સામાન્ય રીતે સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર થયા બાદ દરખાસ્ત ઘણા સમય બાદ જનરલ બોર્ડના એજન્ડામાં સામેલ થતી હોય છે અથવા તો કરવામાં આવતી હોય છે પરંતુ જે રીતે જમીન સામે જમીન ઉપરાંત આ જમીન વેચવામાં આવે તો ૧૦%ના ફી-માફી તેમજ એનઓસી લેવામાંથી મુક્તિ સહિતની છૂટછાટ આપવામાં આવી તે ઘણું બધું સુચવી જાય છે. શનિવારે દરખાસ્ત મંજૂર થયાના ત્રીજા જ દિવસે મતલબ કે સોમવારે પ્રસિદ્ધ થયેલા જનરલ બોર્ડના એજન્ડામાં પણ દરખાસ્ત મુકી દેવામાં આવી હોય પ્રબુદ્ધ નાગરિકો સ્પષ્ટ કહી રહ્યા છે કે માલેતુજારોને ઝડપથી વૈકલ્પીક જમીન મળી રહે તે માટે કદાચ મનપા દ્વારા આ પ્રકારે ઉતાવળ કરવામાં આવી હશે.
એકંદરે જે રીતે મહાપાલિકા માલેતુજારોનું હિત જાળવી રાખે છે તે જ રીતે સામાન્ય લોકોનું પણ ધ્યાન રાખે તે જરૂરી બની જાય છે.