તો… લોકમેળાનો બહિષ્કાર ! ધંધાર્થીઓની ચીમકી
સીસીટીવી, સોગંદનામાની જોગવાઈ કાઢો : લોકમેળાના ધંધાર્થીઓ દ્વારા તંત્રને લેખિતમાં રજુઆત કરાઈ
રાજકોટ : ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ લોકમેળા સમિતિ દ્વારા ફૂંકી ફૂંકીને પગલાં ભરી આકરા નિયમો સાથે લોકમેળો યોજવા નક્કી કરી તમામ ધંધાર્થીઓ પાસે સોગંદનામું, ફાયરસેફટી અને સીસીટીવી ફરજીયાત બનાવતા રમકડા, ખાણી-પીણી સહિતના ધંધાર્થીઓએ તંત્રના નિયમો આકરા હોવાનું જણાવી સીસીટીવી, સોગંદનામાની જોગવાઈ દૂર કરવા માંગ કરી છે સાથે જ તંત્ર જો તંત્ર વ્યવહારુ ઉકેલ નહીં લાવે તો લોકમેળાનો બહિષ્કાર કરવા પણ ચીમકી ઉચ્ચારવામા આવી હતી.
લોકેમેળાના ધંધાર્થીઓ દ્વારા તંત્રને લેખિત રજૂઆત કરતા જણાવ્યું હતું કે, તંત્ર દ્વારા 10થી 12 ટકાને બદલે સ્ટોલની કિંમતોમાં 30 થી 40 ટકા ભાવવધારો કરવામાં આવ્યો છે સાથે જ ફાયરસેફટી, સીસીટીવી કેમેરા અને સોગંદનામા આપવાના નિયમો વેપારીઓ માટે ફરજીયાત કર્યા છે તે યોગ્ય ન હોવાનું જણાવી તંત્ર સ્ટોલના મોટા ભાડા અને ડિપોઝીટ લેતું હોય સીસીટીવી તંત્ર જ લગાવે તેવી માંગ કરવાની સાથે સોગંદનામાના નિયમો હટાવવા માંગ કરી હતી. ઉપરાંત મેળામાં સ્ટોલ અને પ્લોટ ઘટાડી જગ્યા મોટી કરવા આવી છે ત્યારે પાથરણાવાળા મુદ્દે પણ યોગ્ય નિરાકરણ લાવવા માંગ કરવામાં આવી હતી.
લોકમેળા માટે 3 દિવસમાં 190 ફોર્મ ઉપડ્યા
જિલ્લા વહીવટી તંત્ર આયોજીત જન્માષ્ટમી લોકમેળા માટે વિવિધ કેટેગરીના સ્ટોલ અને પ્લોટ બુકીંગ માટે તા.19થી શરૂ થયેલ ફોર્મ વિતરણના ત્રીજા દિવસ સુધીમાં કુલ 190 ફોર્મ ઉપડયા છે, જો કે, હજુ સુધીમાં એક પણ ફોર્મ ભરાઈને પરત આવ્યું ન હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.