અગ્નિકાંડનું લાખો પાનાનું ચાર્જશીટ કોર્ટમાં રજૂ: તપાસ હજુ ચાલું જ રહેશે
ત્રણ મોટા થેલા ભરીને ચાંપતા બંદોબસ્ત વચ્ચે અદાલત સુધી પહોંચાડાયું
તમામની કોલ ડિટેઈલ, બેન્ક એકાઉન્ટની વિગતો, સાક્ષીના નિવેદન સહિતનું સામેલ
૫૯ દિવસમાં જ ચાર્જશીટ તૈયાર કરી રજૂ કરી દેવાયું જેથી એકને પણ બચવાનો રસ્તો' ન મળે !
રાજકોટ જ નહીં બલ્કે આખા ગુજરાતને હચમચાવી નાખનારા ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડને આજે બે મહિના પૂર્ણ થયા છે આમ છતાં હજુ સુધી આ ગોઝારો દિવસ કોઈ ભૂલી શક્યું નથી. બીજી બાજુ આ કાંડની તપાસ કરી રહેલી રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ (સીટ) દ્વારા ૫૯ દિવસની અંદર જ ચાર્જશીટ તૈયાર કરી ચાંપતા બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં રજૂ કરી દેવામાં આવ્યું હતું. બીજી બાજુ ચાર્જશીટ ભલે ફાઈલ થઈ ગયું પરંતુ આ કાંડની તપાસ હજુ ચાલું જ રહેનાર હોવાનું અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું. અધિકારી સૂત્રોએ ઉમેર્યું કે હાલ તો કોઈ નવો આરોપી હોય તેવું લાગી રહ્યું નથી આમ છતાં કલમ ૧૭૩(૮) પ્રમાણે આ કાંડની તપાસ અવિરતપણે ચાલું રહેશે અને કોઈની ભૂમિકા જણાશે તો તેની ધરપકડ કરીને તેના વિરુદ્ધ પૂરક ચાર્જશીટ રજૂ કરવામાં આવશે.
સીટ’ દ્વારા ત્રણ મોટા થેલા ભરીને અંદાજે બે લાખથી વધુ પાનાનું ચાર્જશીટ ક્રાઈમ બ્રાન્ચ કચેરીથી કોર્ટ સુધી લઈ જવામાં આવ્યું હતું. બીજી બાજુ રસ્તામાં કોઈ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બની જાય તે માટે વિશેષ બંદોબસ્ત પણ તૈનાત રખાયો હતો.
ચાર્જશીટની વાત કરવામાં આવે તો તેમાં ૩૬૫થી વધુ સાહેદોના નિવેદન ઉપરાંત એમ.ડી.સાગઠિયા, ઈલેશ ખેર, ભીખા જીવા ઠેબા, ગૌતમ જોષી, યુવરાજસિંહ હરિસિંહ સોલંકી, નીતિનકુમાર લોઢા (જૈન), રાહુલ રાઠોડ, ધવલ ઠક્કર, કિરીટસિંહ ઉર્ફે કીર્તિભાઈ જગદીશસિંહ જાડેજા, મુકેશ મકવાણા, રોહિત આસમલભાઈ વિગોરા, અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, જયદીપ ચૌધરી, રાજેશ મકવાણા, મહેશ અમૃતભાઈ રાઠોડ સહિતના નિવેદનો ઉપરાંત તમામની કોલ ડિટેઈલ, બેન્ક એકાઉન્ટ સહિતની તપાસના કાગળ, સાક્ષીના નિવેદન સહિતનું સામેલ કરવામાં આવ્યું છે.
ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ૫૯ દિવસની અંદર જ ચાર્જશીટ રજૂ કરી દેવામાં આવ્યું છે. આમ તો ચાર્જશીટ ફાઈલ કરવા માટે ૯૦ દિવસનો સમય મળતો હોય છે પરંતુ આ કેસ અત્યંત સંવેદનશીલ હોવા ઉપરાંત આરોપીઓ ભેજાબાજ' હોવાથી ચાર્જશીટના બહાને કોઈ પ્રકારની છટકબારી શોધી ન લ્યે તે માટે ૫૯ દિવસમાં જ ચાર્જશીટ તૈયાર કરીને કોર્ટને સુપ્રત કરી દેવામાં આવ્યું છે જેથી કોઈને
લાભ’ ન મળી શકે !
આ સમગ્ર ચાર્જશીટને અંતિમ મ્હોર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, એડિશનલ સીપી મહેન્દ્ર બગડીયા દ્વારા લગાવવામાં આવી હતી. જ્યારે `સીટ’ના મુખ્ય અધિકારી એવા ક્રાઈમ બ્રાન્ચ એસીપી બી.બી.બસીયાની સાથે પીઆઈ એસ.એમ.જાડેજા, એમ.એમ.સરવૈયા સહિતની ટીમે રાત-દિવસ એક કરી ચાર્જશીટ તૈયાર કર્યું હતું. જ્યારે ચાર્જશીટના એક એક પાના ઉપર એડિશનલ સીપી તેમજ ડીસીપી (ક્રાઈમ) ડૉ.પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી ઝોન-૨ જગદીશ બાંગરવાનું સતત ઓબ્ઝર્વેશન રહ્યું હતું.
સાત વર્ષથી ઉપરની સજાની કલમો હેઠળ ગુનો નોંધાયો હોવાથી કેસ સેશન્સ કોર્ટમાં ચાલશે
બાર એસોસિએશનના ઉપપ્રમુખ અને એડવોકેટ સુરેશ ફળદુએ જણાવ્યું હતું કે અગ્નિકાંડમાં પકડાયેલા તમામ આરોપીઓ સામે સાત વર્ષથી ઉપરની સજાની જોગવાઈ ધરાવતી કલમો હેઠળ ગુનો નોંધાયો હોવાથી કેસ સેશન્સ કોર્ટમાં જ ચાલશે. આ પછી જેલમાં રહેલા આરોપીઓને કોર્ટમાં હાજર રહેવા નોટિસ મોકલાશે. આ સમગ્ર કેસની સુનાવણી જસ્ટિસ એ.પી.દવેની કોર્ટમાં ચાલશે. ૧૫ આરોપીઓ સામે કલમ ૩૦૪, ૩૦૮, ૩૩૭, ૩૩૮, ૩૬, ૪૬૫, ૪૬૬, ૪૭૧, ૪૭૪, ૨૦૧, ૧૨૦બી અને ૧૧૪ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.