ક્ષત્રિયોનું રૂપાલાને ૧૯મી સુધીનું અલ્ટીમેટમ
રાજકોટની ભાગોળે રતનપરમાં ક્ષત્રિયોએ કહ્યું, શુક્રવાર સુધી રાહ જોશું, નહીતર લડાઈ ભાગ-૨
શરણાગતિ સ્વીકારો નહીતર નવી લડાઈ માટે તૈયાર રહો
સ્વમાનનાં ભોગે સમાધાન તો નહી..નહી અને નહી જ
મતદાન કરશું પણ મત કોને આપશું એ પછી નક્કી કરશું
હવે તો યુધ્ધ એ જ કલ્યાણ
આ અમારી તાકાત, હવે તો સમજો
ભગવાન રામના ઉપસક છો તો રામ પાસેથી શીખો, સુગ્રીવ અને વિભીષણને ગાદી સોંપી દીધી હતી, તમે એક ટીકીટ કાપી નથી શકતા ?
રાજકોટ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની ટીકીટ રદ કરવાની માંગણી આજે વધુ બુલંદ બની છે અને નવી લડાઈ નવેસરથી શરુ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આજે રાજકોટની ભાગોળે રતનપર ખાતે યોજાયેલા અસ્મિતા સંમેલનમાં લાખ્ખોની સંખ્યામાં ક્ષત્રિયો ઉમટી પડ્યા હતા અને જ્યાં સુધી રૂપાલાની ટીકીટ પાછી નહી ખેંચાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે અને તેની અસર રાજકોટ કે ગુજરાત નહી પરંતુ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને હરિયાણા જેવા રાજ્યોમાં પણ જોવા મળશે તેવી ચીમકી પણ આપવામાં આવી હતી. ક્ષત્રિય સંકલન સમિતિએ એવી જાહેરાત કરી હતી કે જુદા જુદા શહેરોમાં સંમેલન યોજાઈ ગયા છે અને રાજકોટનાં આ સંમેલન સાથે આંદોલનનો પહેલો ભાગ પૂરો થાય છે.. હવે ઉમેદવારી પત્ર પાછા ખેંચવાની છેલ્લી તારીખ એટલે કે ૧૯ મીને શુક્રવાર સુધી ક્ષત્રિયો રાહ જોશે અને જો ફોર્મ પાછું નહી ખેંચાય તો આંદોલનનો બીજો ભાગ શરુ થશે. આજના આ સંમેલનમાં મહિપાલસિંહ મકરાણા, રાજ શેખાવત ઉપરાંત જુદા જુદા શહેરોમાંથી ક્ષત્રિય આગેવાનો, રાજવી પરિવારો અને મોટી સંખ્યામાં સમાજના ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
આજના આ સંમેલનમાં તમામ વક્તાઓએ જોશભેર ઉદબોધન કર્યું હતું અને સમાજની એકતાના અદ્ભુત દર્શન કરાવ્યા હતા.
આ સંમેલનને સંબોધતા મહિપાલસિંહ મકરાણાએ કહ્યું હતું કે, રાજકોટથી શરુ થયેલું આ આંદોલન દેશભરમાં પહોંચશે અને તેની આગ સરકારને દઝાડશે. તેમણે જો રૂપાલાની ટીકીટ રદ કરવામાં નહી આવે તો ભાજપના તમામ કાર્યક્રમનો અને આગામી ચૂંટણીમાં ભાજપનો બહિષ્કાર કરવાના શપથ પણ લેવડાવ્યા હતા.
આ સંમેલનમાં ક્ષત્રિય સંકલન સમિતિનાં કરણસિંહ ચાવડાએ કહ્યું હતું કે, જો પુરુષોત્તમ રૂપાલા હવે શરણાગતિ નહી સ્વીકારે તો નવી લડાઈ માટે તેઓએ તૈયાર રહેવું પડશે. આ આંદોલન તો અશ્વમેઘ યજ્ઞ જેવું છે અને અશ્વ બધે ફરતો ફરતો આજે રાજકોટ આવ્યો છે અને જો હવે માંગણી નહી સ્વીકારાય તો ફોર્મ પાછા ખેંચવાના દિવસ પછી નવી લડાઈ શરુ થશે. હવે દડો ભાજપના કોર્ટમાં છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, કોઈ વ્યક્તિ સમાજથી મોટો નથી એ રૂપાલા અને ભાજપે સમજવું જોઈએ.
રમજુભાએ કહ્યું હતું કે, માફામાફીના ઘણા નાટકો થયા પણ ટીકીટ રદ કરવા સિવાય અમારે કાંઇ ન ખપે. આ એક સામાજિક લડત છે અને તેમાં કોઈનો દોરીસંચાર નથી. કોઈ રાજકારણ પણ નથી.
આ સંમેલનને ગોવુભા દાદા, વાસુદેવસિંહ ગોહિલ, ડો. રુદ્ર્દતસિંહ રાણા, ભરતસિંહ ( વાવડી), જીતેન્દ્રસિંહ વાળા, તૃપ્તિબા રાઓલ, વીરભદ્રસિંહ, હરપાલસિંહ, રાજકુમારી કીર્તીબા રાઠોડ, ભગીરથસિંહ, પદ્મિનીબા વાળા, પી.ટી.જાડેજા સહિતના અનેક લોકોએ સંબોધ્યુ હતું. આ આગેવાનોએ કહ્યું હતું કે, ક્ષત્રિય સમાજ મતદાનના દિવસે અવશ્ય મતદાન કરશે પણ કોના તરફી કરશે એ ભાજપના નિર્ણય ઉપર આધારિત રહેશે. બધાએ એકી અવાજે કહ્યું હતું કે, અમે સ્વમાનના ભોગે સમાધાન નહી જ કરીએ. જો રાજકોટમાં નિર્ણય નહી બદલાય તો તેની અસર માત્ર રાજકોટની બેઠક ઉપર કે ગુજરાતની બેઠક ઉપર જ નહી પણ અન્ય રાજ્યોની બેઠક ઉપર પણ પડશે.
આ કાર્યક્રમમાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો . મોરબી રોડ ઉપર કલાકો સુધી ટ્રાફિક પણ જામ રહ્યો હતો અને કિલોમીટરો સુધી વાહનોની લાઈન લાગી હતી.