માધાપર ચોકડી પાસે એક્ટીવામાં જતાં પત્રકારના પિતાનું આઇસર ઠોકરે મોત
ગાંધીગ્રામ પોલીસે પુત્ર જીગ્નેશભાઈ જાનીની ફરિયાદ પરથી આઇસરના ચાલક સામે ગુનો નોંધ્યો
શહેરમાં રેલનગર સાધુ વાસવાણી કુંજની પાછળ ઋષીકેષ પાર્ક-૧ બ્લોક નં. ૨૦માં રહેતા નિવૃત રેલ કર્મચારી જયસુખભાઈ રમણીકલાલ જાની (ઉ.વ.૬૮) ત્રણ દિવસ પૂર્વે ચાર વ્હીલવાળુ એક્ટીવા ચલાવીને માધાપર ચોકડીથી બેડી ચોકડી વચ્ચેના રસ્તેથી પસાર થઇ રહ્યા હતાં ત્યારે જીજે૦૧ઈટી-૩૦૪૭ના આઇસરના ચાલકે તેમને ઠોકરે ચડાવયા હતા.જેથી તેમને ગંભીર ઇજા પહોંચતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.અને અહી તેમનું ટુંકી સારવારમાં અવસાન થયું હતું.
બનાવની જાણ કરતાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના હેડ. કોન્સ્ટેબલ મિહીરસિહ બારડ હોસ્પિટલે દોડી આવ્યા હતા.અને આ મામલે મૃતક જયસુખભાઇ જાનીના પુત્ર જીજ્ઞેશભાઈ જાની (ઉ.વ.૩૭-પત્રકાર)ની ફરિયાદ પરથી આઇસરના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. અકસ્માતમાં મૃત્યુ પામનાર જયસુખભાઈ જાની રેલ્વેના નિવૃત કર્મચારી હતાં. અને હાલ તેઓ નિવૃત જીવન ગાળતાં હતાં. બનાવથી પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો