રાજકોટ રેલવે પોલીસ સ્ટેશનમાં ચાલુ ફરજે જમાદારનું બેભાન થઈ જતાં મોત
રાજકોટ રેલવે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જમાદારનું ચાલુ ફરજે બેભાન થઈ જતાં મૃત્યુ નીપજ્યું છે. જ્યારે તબીબોએ હાર્ટ એટેક આવી ગયાની આશંકાએ વિશેરા લઈ ફોરેન્સીક લેબમાં મોકલવામાં આવ્યા છે.

વિગત મુજબ મુળ મોરબીના અજનાળી ગામના વતની અને હાલ રાજકોટ રેલવે પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સટેબલ તરીકે ફરજ બજાવતા દશરથસિંહ લાભુભા ગઢવી (ઉ.વ.40) રાત્રે રેલવે પોલીસ સ્ટેશનમાં ઈન્વે/કોર્ટરૂમ ડ્યુટીમાં ફરજ પર હતાં દરમિયાન સવારે ચાલુ ફરજે બેભાન થઈ જતાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે રેલવે પોલીસ મથકના પીએસઆઈ બી.પી.વેગડાએ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડયો હતો. જ્યાં તબીબો દ્વારા જમાદારનું દશરથસિંહનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાની શંકાએ વિશેરા લઈ ફોરેન્સીક લેબમાં મોકલવામાં આવ્યા છે.પ્રાથમિક તપાસમાં મૃતક દશરથસિંહ બેભાઈ બે બહેનમાં વચેટ અને તેમને સંતાનમાં બે પુત્ર છે. તેઓ અગાઉ અમદાવાદ ફરજ બજાવતા હતા અઢી મહિના પહેલા જ અમદાવાદથી રાજકોટ રેલવે પોલીસ સ્ટેશનમાં બદલી થઈ હતી.