ઝૂલતાપૂલ કેસમાં કોર્ટની પરવાનગી વગર દેશ નહીં છોડવાની શરતે જયસુખ પટેલને જામીન
સુપ્રિમકોર્ટે શરતી જામીન આપ્યા બાદ જયસુખ પટેલ મોરબી કોર્ટ સમક્ષ હાજર થયા : ઓરપેટનો બિઝનેશ 25 ટકા ઘટી ગયો, 400 કર્મચારીઓને છૂટા કરવા પડયા હોવાનો સુનાવણીમાં બચાવપક્ષની દલીલ
મોરબી : મોરબી ઝૂલતાપુલ કેસ મામલે સુપ્રિમકોર્ટે મુખ્ય આરોપી જયસુખભાઈ પટેલને શરતી જામીન આપવા હુકમ કર્યા બાદ સોમવારે રેગ્યુલર જામીન અરજીની શરતો નક્કી કરવા મોરબી ડિસ્ટ્રીકટ કોર્ટમાં ટ્રાયલ ચાલી હતી જેમાં સરકાર અને બચાવપક્ષે ધારદાર દલીલો બાદ કોર્ટે પાસપોર્ટ જમા કરાવી દેવાની સાથે કોર્ટની મંજૂરી વગર દેશ નહીં છોડવા શર્ટ મૂકી એક લાખના જામીન ઉપર મુક્ત કરવા આદેશ કર્યો હોવાનું જયસુખભાઈના વકીલ અનિલભાઈ દેસાઈએ જણાવ્યું હતું. જો કે, દલીલ દરમિયાન બચાવપક્ષે ઝૂલતાપૂલની ઘટના બાદ ઓરેવા અજંતા કંપનીનું ટર્નઓવર 25 ટકા ઘટી ગયુ હોવાનું અને 400 જેટલા કર્મચારીઓને છુટા કરવા પડયા હોવાનું જણાવી વ્યાજબી શરતો મુકવા માંગણી કરી હતી.
સોમવારે ઉઘડતી અદાલતે મોરબી ડિસ્ટ્રીકટ કોર્ટમાં ઝૂલતાપૂલ દુર્ઘટના કેસના મુખ્ય આરોપી જયસુખભાઈ પટેલની રેગ્યુલર જામીન અરજીની શરતો નક્કી કરવા ટ્રાયલ ચાલતા સરકારી વકીલ સંજયભાઈ સી.જાનીએ નામદાર કોર્ટ સમક્ષ સમગ્ર ઘટનાક્રમ વર્ણવી આરોપી ત્રણ મહિના ફરાર રહ્યા હોવાનું અને તેમના વિરુદ્ધ કલમ 70 મુજબનું વોરંટ અને લુકઆઉટ નોટિસ ઇશ્યુ થઈ હોવાનું જણાવી આરોપી મોરબી સીટી વિસ્તારમાં ન પ્રવેશે અને પાસપોર્ટ કોર્ટમાંઆ જમા લેવા અને જરૂરત પડ્યે પાસપોર્ટ આપવા જણાવ્યું હતું.
જ્યારે બચાવપક્ષે જયસુખભાઈ પટેલના એડવોકેટ અનિલભાઈ દેસાઈએ દલીલ કરતા જણાવ્યું હતું કે, અરજદાર આરોપી ઇન્ડસ્ટ્રીયલીસ્ટ છે તેમને કલોક, કેલ્ક્યુલેટર, ઇલેક્ટ્રોનિક ઉપકરણો, ઇ બાઈક અને હાઇડ્રોપાવર પ્રોજેક્ટનો બિઝનેશ છે. વધુમાં દુર્ઘટના બાદ કંપનીનો 25 ટકા બિઝનેશ ઘટી જવાની સાથે મુશ્કેલ સ્થિતિમાં 400 કર્મચારીઓને છુટા કરવા પડયા છે અને અરજદાર આરોપીને કોર્ટ કહે તે શરતો મંજુર હોવાનું જણાવતા મોરબી કોર્ટ જયસુખભાઈને મોરબી જિલ્લામાં નહીં પ્રવેશવું, કોર્ટની પરવાનગી વગર વિદેશ નહીં જવું, પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવવો તેમજ સાક્ષીઓ -પુરાવા સાથે ચેડાં નહીં કરવાની સાથે એક લાખના જામીન ઉપર મુક્ત કરવા હુકમ કર્યાનું તેઓના વકીલ અનિલભાઈ દેસાઈએ જણાવ્યું હતું.