રાજકોટના ૭ PIની આંતરિક બદલી: ડીસીબીમાં વધુ એક પીઆઈ મુકાયા
પ્ર.નગર, ગાંધીગ્રામ પીઆઈ બદલાયા, લિવ રિઝર્વમાંથી ત્રણ પીઆઈને પોલીસ મથકમાં મુકાયા
ઝોન-૧ એલસીબી પીએસઆઈ બોરીસાગરને પ્ર.નગર તો પ્ર.નગરના બી.બી.ચુડાસમાની ઝોન-૧ એલસીબીમાં બદલી
રાજકોટમાં ગમે ત્યારે મારામારી, ટપોરીગીરી, લુખ્ખાગીરી સહિતના ગુનામાં ચિંતાજનક હદે વધારો થઈ રહ્યો હોય પોલીસ કમિશનર દ્વારા તાકિદે કાર્યવાહી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે સાત પીઆઈની આંતરિક બદલીના હુકમ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. દરમિયાન ડિટેક્શન ક્રાઈમ બ્રાન્ચ (ડીસીબી)માં વધુ એક પીઆઈની નિમણૂક કરવામાં આવતાં હવે આ બ્રાન્ચમાં ત્રણ પીઆઈ કાર્યરત થશે.
કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટ (એએચટીયુ) પીઆઈ સી.એચ.જાદવને ડીસીબીમાં મુકવાનો હુકમ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઈ કે.જે.કરપડાને આર્થિક ગુન્હા નિવારણ શાખા (ઈઓડબલ્યુ)માં મુકવામાં આવ્યા છે. આ બ્રાન્ચના પીઆઈ જે.એમ.કૈલાની લિવ રીઝર્વમાં બદલી કરાતા જગ્યા ખાલી પડી હતી જેના કારણે એસઓજી પીઆઈ એસ.એમ.જાડેજાને ચાર્જ સોંપવામાં આવ્યો હતો.
જ્યારે પ્ર.નગર પીઆઈ બી.એમ.ઝણકાટને એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટ, એસ.આર.મેઘાણીને લિવ રિઝર્વમાંથી ગાંધીગ્રામ પોલીસ મથક, એસ.ડી.ગીલવાને એમઓબીમાંથી સાયબર ક્રાઈમ પોલીસ મથક, લીવ રિઝર્વ પીઆઈ વી.આર.વસાવાને પ્ર.નગર પોલીસ મથક અને લીવ રિઝર્વ પીઆઈ જી.આર.ચૌહાણને એમઓબીમાં મુકવામાં આવ્યા છે.
આ જ રીતે ઝોન-૧ એલસીબી પીએસઆઈ બી.વી.બોરીસાગરની બદલી પ્ર.નગર પોલીસ મથકમાં કરવામાં આવી છે જ્યારે તેમના સ્થાને પ્ર.નગર પીઆઈ બી.બી.ચુડાસમાને ઝોન-૧ એલસીબીમાં મુકાયા છે.
હવે ગમે ત્યારે પીસીબી પીઆઈ તરીકે એમ.આર.ગોંડલિયાનો થઈ શકે હુકમ
પોલીસ કમિશનર દ્વારા ક્રાઈમ બ્રાન્ચમાં ત્રીજા પીઆઈ તરીકે સી.એચ.જાદવને મુકવામાં આવ્યા છે. બીજી બાજુ પ્રિવેન્શન ક્રાઈમ બ્રાન્ચ (પીસીબી) પાસા કરવા સિવાયની કામગીરીમાં એક્ટિવ થયા બાદ આ બ્રાન્ચમાં કાયમી પીઆઈનો હુકમ ન થયો હોય હુકમ ન થાય ત્યાં સુધી ડીસીબી પીઆઈ એમ.આર.ગોંડલિયાને પીસીબીનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. હવે ડીસીબીમાં ત્રીજા પીઆઈ મુકાઈ ગયા છે ત્યારે પીસીબી પીઆઈ તરીકે ગમે ત્યારે એમ.આર.ગોંડલિયાનો કાયમી પીઆઈ તરીકે હુકમ થઈ શકે તેવી ચર્ચાએ પોલીસ બેડામાં જોર પકડ્યું છે.
વધતી ગુનાખોરીને કારણે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં વધુ એક પીઆઈનો ઉમેરો
રાજકોટમાં સાયબર ક્રાઈમ કુદકે ને ભુસકે વધી રહ્યું હોવાથી કામગીરીને પહોંચી વળવા માટે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ત્રણ પીઆઈ કાર્યરત હતા ત્યારે તેમાં વધુ એકનો ઉમેરો કરવામાં આવ્યો છે. સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં એમ.ઓ.બી. પીઆઈ એસ.ડી.ગીલવાને મુકાતા હવે ચાર પીઆઈ અહીં કાર્યરત રહેશે.