ગેરકાયદે બાંધકામ સામે આંખમીંચામણાના કારણે જ નિર્દોષ માતા-પુત્ર મૃત્યુ પામ્યા
કોંગ્રેસે વારંવાર રજૂઆત કરી છતાં મનપાએ ઘોર ઉદાસીનતા રાખતા ઘટના બન્યાનો આક્ષેપ
રવિવારે રાત્રે આજી ડેમ વિસ્તારમાં રામવન પાછળ સુરભી ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં દિવાલ પડી જતાં નિર્દોષ માતા-પુત્રના મૃત્યુ નિપજ્યા હતા. આ દિવાલનું બાંધકામ કમ્પલીશન સર્ટિફિકેટ મેળવ્યા પછીનું હતું મતલબ કે ગેરકાયદેસર બાંધકામ ચાલી રહ્યું હોવા છતાં મહાપાલિકા દ્વારા કોઈ જ કાર્યવાહી નહીં કરાયાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો.
શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ મ્યુનિસિપલ કમિશનરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું કે કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા આ વિસ્તારમાં ચાલી રહેલા ગેરકાયદેસર બાંધકામો સામે કાર્યવાહી કરવા વારંવાર લેખિત, મૌખિક અને રૂબરૂ ફરિયાદ કરવા છતાં તંત્રવાહકો દ્વારા કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. મહાપાલિકા દ્વારા ૨૬૦(૨)ની નોટિસ આપ્યા બાદ પણ ગેરકાયદેસર બાંધકામો ઠેરના ઠેર છે. ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં ચાલી રહેલા ગેરકાયદેસર બાંધકામ, ગેરકાયદેસર દિવાલ, આલીશાન શેડમાં ભાજપની મીલીભગત હોય અને શાસકોની સીધી દોરવણી હેઠળ અધિકારીઓ એકબીજા સાથે મળી ગયા હોય ગેરકાયદેસર બાંધકામ બેફામ રીતે ચાલી રહ્યા છે.
દિવાલ તૂટી પડવાની ઘટનાની તટસ્થ તપાસ કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી કોંગ્રેસે માંગ પણ કરી હતી.