રાજકોટમાં રૂ.10 કરોડના રૂ.10ના સિક્કા બેન્કોની કરન્સી ચેસ્ટમાં ધૂળ ખાઈ રહ્યા છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં રૂ.10ના સિક્કા વેપારી કે ગ્રાહક સ્વીકારતા નથી
આર. બી. આઈ. દ્વારા બદલામાં રૂ.10 ની નવી નોટ મોકલવાનું બંધ કરી દીધાનો આક્ષેપ
છેલ્લા કેટલાય વર્ષોથી રૂ. 10ની નવી નોટ દુર્લભ બની ગઈ છે: જૂની નોટનું બંડલ મેળવવાં ગ્રાહકોને થતી રઝળપાટ
ચલણમાં હોય તેવા સિક્કા કે નોટ ગ્રાહક તેમજ વેપારી સ્વીકારવાની ના પાડી ન શકે: અમદાવાદ, વડોદરા, સુરતમાં રૂ.10ના સિક્કાનું ચલણ યથાવત
છેલ્લા કેટલાય સમયથી રાજકોટમાં સહીત સૌરાષ્ટ્રમાં રૂ.10ની નવી નોટ તો ઠીક પરંતુ બેન્કોમાં કેશીયર પાસે ભરણામાં આવતી રૂ.10ની જૂની નોટ પણ ગ્રાહકોને મળવી મુશ્કેલ બની ગઈ છે. બીજી તરફ રાજ્યમાં રૂ.10ના સિક્કા નું ચલણ ફક્ત અમદાવાદ, વડોદરા, સુરત પુરતું જ સીમિત બની ગયું છે ત્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા રૂ.10ના સિક્કા ચલણમાં હોવા છતાં રાજકોટ સહીત સૌરાષ્ટ્રના લોકો તેને સ્વીકારતા નથી પરિણામે છેલ્લા કેટલાય વર્ષોથી રૂ.10ની નવી ચલણી નોટના બંડલ દિવાળીના તહેવારોમાં રાજકોટને મોકલવામાં આવતા ન હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. બીજી તરફ રાજકોટમા જુદી જુદી કરન્સી ચેસ્ટ ધરાવતી બેન્કોમાં રૂ.10 કરોડથી વધારે રકમના સિક્કાઓ ધૂળ ખાઈ રહ્યા છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેંકના આદેશ અનુસાર કોઈ પણ ચલણી નોટ કે સિક્કા જ્યાં સુધી ચલણમાં હોય ત્યાં સુધી કોઈ પણ વેપારી કે ગ્રાહક તેને સ્વીકારવા માટે ઇન્કાર કરી શકે નહિ. દરમ્યાન રાજકોટ સહીત રાજ્યમાં રૂ.10ની નોટ ભરણામાં આવે ત્યારે ક્યારેક ગ્રાહક તરફથી જૂની ફાટેલી નોટ આવતી હોય છે આમ છતાં બેન્કો તરફથી આવી નોટ સ્વીકારવામાં આવે છે ત્યાર બાદ તેનું શોર્ટિંગ કરી ફાટેલી ચલણી નોટ અલગ તારવી તેના બંડલ કરી રિઝર્વ બેંકને મોકલી આપવામાં આવે છે. હાલ પર્યુષણના તહેવારના પગલે પણ રૂ.10ની જૂની નોટની પણ ભારે માંગ ઉઠી છે ત્યારે રાજકોટની બેન્કોના ભરણામાં આવતી રૂ.10ની જૂની નોટ ગ્રાહકોને મળવી મુશ્કેલ બની છે અને તેના માટે બેન્કના ગ્રાહકો દ્વારા અગાઉથી કેશીયરોને જણાવી રૂ.10ની નોટના બંડલનું બુકીંગ કરાવતા હોય છે. તહેવાર હોઈ કે લગ્ન પ્રસંગે રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાય વર્ષોથી ગ્રાહકોને રૂ.10ની નવી તેમજ જૂની નોટ માટે અવારનવાર મુશ્કેલી પડતી હોઈ છે. તેના માટે આર.બી.આઈ. તરફથી કાયમી કોઈ નિરાકરણ લાવવામાં આવતું નથી અને રાજકોટ સહીત સૌરાષ્ટ્રને કાયમ નવી ચલણી નોટ માટે અન્યાય સહન કરવો પડે છે.
રાજકોટમાં 65 ઉપાશ્રયોમાં દરરોજ રૂ.10ના બંડલની જરૂરિયાત
સામાન્ય રીતે ધાર્મિક સ્થળ ઉપર ભક્તોને પ્રસાદ આપવામાં આવે છે આવી જ રીતે પર્યુષણ પર્વ નિમિત્તે ઉપાશ્રય તેમજ દેરાસરોમાં પ્રસાદી સ્વરૂપે રૂપિયા 2, 5 અને 10 ની પ્રભાવના એટલે કે પ્રસાદી સ્વરૂપે આપવામાં આવે છે. તેના માટે પર્યુષણ તહેવારોમાં રૂ.10 તેમજ 5ના સિક્કાની ભારે માંગ રહે છે. રાજકોટમાં જુદા જુદા સ્થળ ઉપર આશરે 65 જેટલા સ્થાનકવાસીઓ અને દેરાસવાસીઓના ઉપાશ્રયો આવેલા છે. જેમાં દરરોજ રૂ.10ના એક બંડલની જરૂરિયાત રહે છે નવી નોટ ન મળે તો પણ જૂની નોટથી ચલાવી લેવામાં આવે છે. પરંતુ રાજકોટ શહેરની બેંકો માંથી હાલ જૂની નોટ અને તેમાં પણ 10ની નોટ મળવી મુશ્કેલ બની ગઈ છે.
આરબીઆઈને ‘મ્યુચ્યુલેટેડ’ નોટ મળે તો બેંકને રૂપિયા 500 નો દંડ ફટકારવામાં આવે છે
રાજ્યની રાષ્ટ્રીયકૃત તેમજ ખાનગી અને કો.ઓપરેટિવ બેંકો તરફથી સમયાંતરે ભરણામાં આવેલી વિવિધ નોટના બંડલ મોકલવામાં આવે ત્યારે તેમાંથી એક પણ નોટ ફાટેલી અથવા પ્લાસ્ટિકની ટેપ લગાવેલી આરબીઆઈને મળે તો જે બેંકમાંથી આવી રકમ આવી હોય તેને પ્રત્યેક નોટ દીઠ રૂ.500નો દંડ કરવામાં આવે છે બેંકો તરફથી આવી મ્યુચ્યુલેટેડ’ નોટ કાઢી તેના બંડલ અલગ મોકલવાના હોય છે. આ ઉપરાંત ગ્રાહકો પાસેથી ફાટેલી નોટ બેંકો સ્વીકારતી હોય છે. આવી ચલણી નોટના બંડલ અલગ રીતે આરબીઆઈને મોકલવાના હોય છે. કોઈપણ રકમની ફાટેલી નોટ ફરીથી સર્ક્યુલેશનમાં આવી ન શકે તે હેતુથી જ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા આવા આકરા નિયમોનો કડક અમલ રાજ્યની તમામ બેંકોને કરાવી રહી છે. આરબીઆઇ આવી સોઇલ એટલે કે ફાટેલી નોટ ગ્રાહકને આપી ન શકે. બેંકના ભરણામાં આવતી કોઈપણ રકમની ચલણી નોટના બંડલમાંથી આવી ‘મ્યુચ્યુલેટેડ’ નોટ એટલે કે ફાટેલી નોટ કેશિયરે કાઢી નાખ્યા બાદ જ આરબીઆઈને મોકલવાની હોય છે. ફાટેલી નોટ બંડલમાંથી નીકળે એટલે આઈબીઆઈ બેન્કને એક નોટ દીઠ રૂ.500નો દંડ કરે છે. ભલે તે ગમે તે ચલણી નોટ હોય રૂ.10, 20 50 કે 100 અથવા 500ની ચલણી નોટ હોય તો પણ એક પણ ફાટેલી નોટ જોવા મળે તો બેન્કોને દંડ ભોગવવો પડે છે. જેમાં મોટાભાગે કેશીયરોની મુશ્કેલી વધે છે. બેન્ક મેનેજર દ્વારા આવી ફાટેલી નોટ માટે કર્મચારીઓને જ જવાબદાર ગણવામાં આવે છે. અને દંડની રકમ તેની પાસેથી વસૂલવામાં આવે છે.
રાજકોટમાં રૂ.10ની નવી નોટના કાળા બજાર: 400 રૂપિયા કમિશન પડાવવામાં આવે છે
સામાન્ય રીતે તહેવારોમાં કે કોઈ પ્રસંગોપાત રૂ.10ની તેમજ રૂ.20ની નવી નોટની માંગ અવારનવાર ઊભી થતી હોય છે. આરબીઆઈ તરફથી છેલ્લા કેટલાય વર્ષોથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રને રૂ.10ની નવી નોટના બંડલ મોકલવામાં આવતા નથી. પરિણામે રાજકોટમાં ફાટેલી નોટ બદલી આપવાના અમુક ચોક્કસ ધંધાથીઓ આવી નવી નોટ ગુજરાતની બેંકોમાંથી મંગાવે છે જેમ કે અમદાવાદ, વડોદરા, સુરતથી રૂ.10ની નવી નોટના બંડલો મંગાવી તેની પાછળ મોટી રકમનું ગ્રાહકો પાસેથી કમિશન મેળવતા હોય છે. એટલે કે આવી નોટોનું કાળા બજાર વધુ થતુ હોય છે. ગ્રાહકોને આપવા માટેની આવી નવી નોટ બેંકો માંથી ક્યારેક આવા ચોક્કસ ધંધાથીઓ પાસે પહોંચી જાય છે. શહેરના પરા બજાર તેમજ ઝ્યુબિલી વિસ્તારમાં અમુક ધંધાર્થીઓ આવી નવી ચલણી નોટનો કાળા બજારમાં વેચવાના ગોરખ ધંધા લાંબા સમયથી કરી રહ્યાની ફરિયાદ આરબીઆઇને અવારનવાર મળતી હોય છે. રાજકોટમાં રૂ.10ની નવી નોટ નું બંડલ આવા ધંધાર્થીઓ પાસેથી કમિશન પેટે રૂ.400 વધુ આપતા મળી જાય છે એટલે કે રૂ.1000ના બંડલમાં ગ્રાહકોને 1400 રૂપિયા આપવા પડે છે. આવા બે રોકટોક કાળા બજાર થતા હોવા છતાં આરબીઆઇ આ બાબતે ક્યારેય પણ ચેકિંગ કરતી નથી ટેવા આક્ષેપો અવારનવાર ગ્રાહકોમાંથી થઈ રહ્યા છે.