ભાજપનો અહંકાર તોડવા જ રાજકોટ આવ્યો છું: ધાનાણી
લાખો દીકરીઓ એક વ્યક્તિની ટિકિટ રદ્દ કરવા માંગણી કરે છતાં તેને સાચવી' રખાય એ અહંકાર નથી તો શું છે ?
હું બે દીકરીનો પિતા છું એટલે લાગણી સમજી શકું છું પણ ભાજપ નહીં સમજે
આ લડાઈ રૂપાલા-ધાનાણી, કોંગ્રેસ-ભાજપ કે
આપ’ની નહીં બલ્કે સ્વાભિમાનની લડાઈ છે
ભાજપે રાજકોટને રણમેદાન' બનાવ્યું છે જેને હું (કોંગ્રેસ) જીતીને બતાવીશ
રાજકોટ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી
વોઈસ ઓફ ડે’ની મુલાકાતે
ગુજરાત જ નહીં બલ્કે આખા દેશની નજર જેના પર છે જે રાજકોટ લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ વાજતે-ગાજતે ઉમેદવારી નોંધાવ્યા બાદ આવતીકાલે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી ફોર્મ ભરશે. જો કે તે પહેલાં તેમણે રાજકોટ શહેર-જિલ્લામાં તેમણે ઝંઝાવાતી પ્રચાર-પ્રસાર શરૂ કરી દીધો છે. દરમિયાન તેમણે વોઈસ ઓફ ડે' મીડિયા હાઉસની મુલાકાત લઈને રાજકોટમાં તેમની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો સાથે સાથે કહ્યું હતું કે ભાજપે જેમને ટેસ્ટ મેચ રમવા માટે મોકલ્યા તે સ્કોર ન બનાવી શક્યા એટલે હવે હું ટી-૨૦ રમીને તેમના કરતા વધુ સ્કોર બનાવીશ ! હું રાજકોટમાં ભાજપનો અહંકાર તોડવા માટે જ આવ્યો છું. પરેશ ધાનાણીએ આગળ જરાવ્યું કે લાખો દીકરીઓ અત્યારે એક વ્યક્તિની ટિકિટ રદ્દ કરવા માંગણી કરી રહી છે, રડી રહી છે, દુ:ખી થઈ રહી છે છતાં ભાજપ દ્વારા ટિકિટ રદ્દ કરવાની જગ્યાએ એ વ્યક્તિને
સાચવી’ રખાયા છે ત્યારે એ અહંકાર નથી તો બીજું શું છે ? એટલા માટે જ હું દીકરીઓની લાગણીને માન આપીને ભાજપે જેને રણમેદાન બનાવી દીધું છે તે રાજકોટમાં ઉતર્યો છું અને જંગી બહુમતિ સાથે વિજેતા બનીને હું દીકરીઓને સ્વમાન અપાવીશ. વૈચારિક વિભિન્નતા એ લોકશાહીનો પાયો છે. આ લડાઈ પરસોત્તમ રૂપાલા-પરેશ ધાનાણી, કોંગ્રેસ-ભાજપ-આમ આદમી પાર્ટી વચ્ચે નથી બલ્કે સ્વાભિમાનની લડાઈ છે. જો ભાજપના અભિમાનને તોડવામાં નહીં આવે તો આવનારા સમયમાં દેશ બહુ માઠા પરિણામ ભોગવશે તેમાં કોઈ શંકા નથી.
ભાજપે ગુજરાતને તો ગીરવે મુકી જ દીધું છે અને હવે દેશને ગીરવે મુકવાની તૈયારીમાં લાગી ગયો છે. ભાજપ જ્યારે જુઓ ત્યારે વિકાસના ગાણા ગાઈ રહ્યો છે પરંતુ તેના માટે વિકાસની પરિભાષા નળ, ગટર, નાલા, પુલ બનાવવા તે વિકાસ છે જ્યારે કોંગ્રેસ માટે વિકાસની પરિભાષા ગરીબમાં ગરીબ માણસ બે ટંકનું ભોજન પેટ ભરીને મેળવી શકે તેવી છે.
ધાનાણીએ એવી અપીલ પણ કરી કે રાજકોટના લોકો જ્યારે મત નામના શસ્ત્રનું દાન કરવા જાય તે પહેલાં એક વખત અમરેલીમાં રહેતા લોકોને પૂછે કે ત્યાં કેવો વિકાસ થયો છે ? ત્યાંથી જવાબ મળ્યા બાદ જ મતપેટીમાં પોતાનો મત આપે !!
રાજકોટ સૌરાષ્ટ્રનું હૃદય છે પરંતુ તેને ભાજપે રણમેદાનમાં પરિવર્તિત કરી દીધું છે. હું રાજકોટનું હૃદય જીતવામાં જરા પણ કચાશ રાખીશ નહીં.
ભાજપના કાર્યકરો ગાભા મારી રહ્યા છે’ને કોંગ્રેસમાંથી ગયેલા તાજ પહેરીને બેઠા છે !!
અમે તો ખુશ છીએ કે કોંગ્રેસના બધા જ કકળાટે અત્યારે કમલમ્ માથે લીધું છે: ધાનાણીની પત્રકાર પરિષદ
રાજકોટ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ પત્રકાર પરિષદને સંબોધન કરતાં કહ્યું હતું કે વર્ષોથી ભાજપમાં રહેલા કાર્યકરો અત્યારે ખુરશીને ગાભા મારી રહ્યા છે અને કોંગ્રેસમાંથી ગયેલા નેતાઓ તાજ પહેરીને બેસી ગયા છે ! અમે તો અત્યારે એકદમ ખુશ છીએ કેમ કે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા કકળાટે અત્યારે કમલમ્ કાર્યાલય માથે લઈ લીધું છે. વિધાનસભા અત્યારે વિપક્ષવિહોણી બનાવી દેવામાં આવી છે અને રાજકોટને રણમેદાનમાં પરિવર્તિત કરી દેવાયું છે. હું રાજકોટનો સંસદસભ્ય નહીં બલ્કે સારથી બનીને કામ કરીશ. એકંદરે હું રાજકોટના ઉજ્જડ બની ગયેલા ખેતરને હરિયાળું બનાવવા માટે આવ્યો છું.
ડૉ.હેમાંગ વસાવડાના નિવાસસ્થાને પક્ષની સંકલન બેઠક: રણનીતિ ઘડાઈ
પરેશ ધાનાણીએ ઝંઝાવાતી પ્રચાર શરૂ કરી દીધા બાદ બપોરે તેમણે કોંગ્રેસ આગેવાન ડૉ.હેમાંગ વસાવડાના નિવાસસ્થાને પક્ષની સંકલન બેઠકમાં ભાગ લીધો હતો જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી વિભાગના જિલ્લા પ્રમુખ મહેશ રાજપૂત સહિતના નેતાઓએ હાજર રહીને આગળની રણનીતિ ઘડી હતી.