મેન્ટર હોમ લોન નામની નાણાકીય સંસ્થાની રહેણાંક મકાન જપ્તીની કાર્યવાહી અટકાવતી હાઈકોર્ટ
સરફેસી કાયદાનો એક તરફી અને મનસ્વી દૂર ઉપયોગ કરનાર મેન્ટર હોમ લોન નામની નાણાકીય સંસ્થાની રહેણાંક મકાન જપ્તીની કાર્યવાહી ગુજરાત હાઇકોર્ટે અટકાવી દીધી છે.
આ કેસની હકીકત જોતા રાજકોટના ધંધાર્થી શિશાંગીયા પરિવાર દ્વારા મેન્ટોર હોમ લોન નામની નાણાકીય સંસ્થા પાસેથી હાઉસિંગ લોન લેવામાં આવેલ હતી પરંતુ વ્યાજના દર ઉંચા હોવાથી અન્ય નાણાકીય સંસ્થા હીરો હાઉસિંગ ફાઇનાન્સમાં હાઉસિંગ લોન ટ્રાન્સફર કરવામાં આવેલ હતી.
હાઉસિંગ લોન ટ્રાન્સફરની કાર્યવાહી બંને નાણાકીય સંસ્થા વચ્ચે પૂર્ણ કરવામાં આવેલ હતી. તદાનુસાર મેન્ટર હોમ લોન દ્વારા શિસાંગિયા પરિવારને નો ડ્યુ સર્ટિફિકેટ પણ આપી દેવામાં આવેલ હતું સાથો સાથ મકાનના મોર્ગેજ ડીડ કેન્સલ કરી રીલીઝ ડીડ આપી ઓરીજીનલ દસ્તાવેજ પણ હીરો હાઉસિંગ ફાઇનાન્સ ને સોંપી આપવાના થતા હતા. પરંતુ મેન્ટર હોમ લોન નાણાંકીય સંસ્થા દ્વારા શિશાંગીયા પરિવારના મકાનના ઓરીજીનલ દસ્તાવેજ ખોવાઈ ગયા હોવા અંગેનુ જણાવવામા આવતા હીરો હાઉસિંગ ફાઇનાન્સ દ્વારા પોતે આપેલ લોન કેન્સલ કરી લોનની રકમ મેન્ટર હોમ લોન પાસેથી પરત મેળવી લેવામાં આવેલ હતી અને હીરો હાઉસિંગ ફાઇનાન્સ સંસ્થા દ્વારા પણ શિશાંગ્યા પરિવારને એનઓસી આપી દેવામાં આવેલ હતું.
બંને નાણાકીય સંસ્થાઓએ લોનની રકમની પરસ્પર લેતી દેતી લોનધારકની જાણ બહાર કરેલ હતી અને લોનધારકની જાણ બહાર થયેલ આ કાર્યવાહી અંગે મેન્ટર હોમ લોન દ્વારા હપ્તા ચડાવવાનું ચાલુ રાખવામાં આવેલ હતું પરિણામ સ્વરૂપ લોનધારક ની જાણકારી બહાર હપ્તાની રકમ અસામાન્ય હદ સુધી પહોંચી જતા લોનધારક શિશાંગીયા પરિવાર હપ્તા ભરી શકેલ ન હતો જેથી મેન્ટર હોમ લોન દ્વારા સરફેસી કાયદાની કલમ 13(2) તથા 13(4) હેઠળની કાર્યવાહી કરવામાં આવેલ હતી જેનો સમયસર પ્રત્યુતર શિશાંગીયા પરિવાર દ્વારા પાઠવવામાં આવેલ હતો તેમ જ શિશાંગ્યા પરિવાર દ્વારા મેન્ટર હોમ લોન દ્વારા મકાન દસ્તાવેજ ના કાગળો ખોઈ નાખવાને કારણે ઉભી થયેલ પરિસ્થિતિની સામે ગ્રાહક સુરક્ષા અંતર્ગત પણ ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી અને જે ફરિયાદના કામે હાલ કેસ ચાલી રહેલ છે આમ છતાં આ બધી હકીકત લક્ષી વિગતોને અવગણીને મેન્ટર હોમ લોન દ્વારા મકાનની જપ્તી અંગેની કાર્યવાહી શરૂ કરવામાં આવતા ફોજદારી પરચુરણ અરજી દાખલ કરી જપ્તીના હુકમો મેળવવી લેવામાં આવેલ.
મકાનની જપ્તી અર્થે નોટિસ પાઠવવામાં આવતા સદરહું નોટિસમાં સરફેસી કાયદાની કલમ નંબર 14 થી નિયત થયેલ કાયદાકીય પ્રોવિઝનનો સ્પષ્ટ ભંગ થતો હોવાથી શિશાંગીયા પરિવાર દ્વારા નામદાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ પિટિશન દાખલ કરવામાં આવતા નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા સરફેસી કાયદાની જોગવાઈના ભંગ બદલ જપ્તી કાર્યવાહી અટકાવવા અંગેનો કડક હુકમ કરવામાં આવેલ હતો. લોન ધારક સિસંગિયા પરિવાર વતી આ કામમાં એડવોકેટ ગજેન્દ્ર જાની, મોહિત ગુપ્તા, ઋષિ ત્રિવેદી, નિલેશ દવે, રાજેશ જલુ રોકાયેલ હતા