ફાયરબ્રિગેડની લાચારી: નોટિસની બજવણી ‘ચોકીદાર’ને કરવી પડી !
એટલાન્ટીસ એપાર્ટમેન્ટની આગમાં જવાબદારો બેજવાબદાર'
ફાયર એનઓસી રિન્યુઅલ, સેફ્ટીના સાધનો સાત દિવસમાં વસાવી લેવા માટેની નોટિસ આપવા માટે ટીમ પહોંચી તો કોઈએ ફોન જ ન ઉપાડ્યા
ફાયરબ્રિગેડે પ્રમુખ સહિતના જવાબદાર ફ્લેટધારકોને ફોન કર્યા પણ જવાબ નહીં મળતાં ચોકીદારને નોટિસ આપી રવાના
૧૫૦ ફૂટ રોડ ઉપર બિગબજાર સામે આવેલા એટલાન્ટીસ એપાર્ટમેન્ટમાં ધૂળેટીના દિવસે સી' વિંગના છઠ્ઠા માળે ભયાનક આગ લાગી હતી જેમાં ત્રણ નિર્દોષ ડિલિવરી બોય સળગીને ભડથું થઈ જતાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
આ ઘટના બન્યા બાદ ફાયરબ્રિગેડ, પીજીવીસીએલ, પોલીસ સહિતનાએ અલગ-અલગ દિશામાં તપાસ હાથ ધરી હતી. ફાયરબ્રિગેડની તપાસમાં એવો ભાંડાફોડ થયો હતો કે એટલાન્ટીસ એપાર્ટમેન્ટ દ્વારા ૧૧ વર્ષથી ફાયર એનઓસી રિન્યુ કરવામાં આવ્યું ન્હોતું સાથે સાથે ફાયર સેફ્ટીના સાધનો એક્સપાયર થઈ ગયેલા છે. આ મુદ્દો ઉજાગર થતાં જ તંત્રએ નોટિસ તૈયાર કરી ટીમને દોડાવી હતી.
જો કે તંત્ર જાણે કે લાચાર હોય તે રીતે નોટિસની બજવણી કોઈ જવાબદારને નહીં બલ્કે ચોકીદારને કરવી પડી હતી ! આ અંગે ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અશોકસિંહ ઝાલાએ જણાવ્યું કે બિલ્ડિંગનું ફાયર એનઓસી ૧૧ વર્ષથી રિન્યુ કરાવાયું નથી તો ફાયર સેફ્ટીના સાધનો પણ બરાબર કામ કરી રહ્યા નથી. આ સઘળી બાબત સાત દિવસની અંદર ઠીક કરવી ફરજિયાત હોવા સહિતની વિગતો સાથેની નોટિસ આપવા માટે ટીમ એટલાન્ટીસ એપાર્ટમેન્ટ પર પહોંચી હતી. અહીં પહોંચીને ટીમે
સી’ વિંગના પ્રમુખ ડૉ.પ્રફુલ કમાણી ઉપરાંત અલગ-અલગ જવાબદારોનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો પરંતુ કોઈએ ફોન ઉપાડવાની તસ્દી સુદ્ધા લીધી ન્હોતી. બીજી બાજુ આ બિલ્ડિંગ માટે કોઈ જ પ્રકારના એસોસિએશનની રચના કરવામાં આવી ન હોવાનું પણ ધ્યાન પર આવ્યું હતું.
આ પછી ટીમે વળતો ફોન આવશે તેવી ગણતરીએ ત્યાં રાહ પણ જોઈ હતી પરંતુ કોઈ જ પ્રત્યુત્તર નહીં મળતાં આખરે બિલ્ડિંગની સિક્યુરિટી ઓફિસમાં હાજર ચોકીદારને નોટિસ આપી રવાના થવું પડ્યું હતું. હવે સાત દિવસ બાદ ફરી ટીમ બિલ્ડિંગ પર જશે અને જો નોટિસની સમયમર્યાદામાં ફાયર એનઓસી રિન્યુઅલ તેમજ સાધનો નહીં વસાવાયા હોય તો પછી સીલિંગ સહિતની કાર્યવાહી કરવામાં આવશે.
ફાયર બ્રિગેડ કહે છે, આગ શોર્ટસર્કિટથી લાગી પીજીવીસીએલ કહે છે, શોર્ટસર્કિટ થયો જ નથી
એટલાન્ટીસ બિલ્ડિંગમાં આગ કયા કારણોસર લાગી તે બાબતે જેટલા મોઢા એટલી વાતો સામે આવી રહી છે ત્યારે ફાયર બ્રિગેડે કરેલી તપાસ બાદ એવા નિષ્કર્ષ પર પહોંચવામાં આવ્યું છે કે આગ શોર્ટસર્કિટને કારણે લાગી છે. શોર્ટસર્કિટને કારણે તણખાં નીચે પડ્યા અને ત્યાં જ જ્વલનશિલ પદાર્થના કેરબા ભરેલા હોય તેના લીધે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. બીજી બાજુ પીજીવીસીએલ દ્વારા કરાયેલી તપાસમાં શોર્ટસર્કિટ થયો જ ન હોવાનું સામે આવતાં આ મામલે પણ જબરો ગુંચવાડો ઉભો થયો છે.