મોરબી રોડ પર સીતારામ ડેરીમાંથી શીખંડ-ઘી-માવો, રામેશ્વર બેકરીમાંથી બ્રેડના નમૂના લેવાયા
ખાણીપીણીનું વેચાણ કરતી ૩૩ જગ્યાએ કરાયેલા ચેકિંગમાં ૧૯ પાસે લાયસન્સ ન્હોતું
મહાપાલિકાની ફૂડ શાખા `એક્ટિવ મોડ’માં કામ કરી રહી હોય દરરોજ નામાંકિત ડેરીઓ, બેકરીઓ સહિતને ત્યાં સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં જ મોરબી હાઈ-વે બ્રિજ નીચે રાધીકા પાર્કમાં આવેલી સીતારામ ડેરીમાંથી ૪૫૦૦ કિલો ફૂગયુક્ત મીઠો માવો પકડી લીધા બાદ હવે ત્યાંથી જ ફ્રૂટ શીખંડ (લુઝ), શુદ્ધ ઘી (લુઝ), દસ કિલોના પેકેટ કે જેના ઉપર કોઈ પ્રકારનું લેબલિંગ કરાયું ન્હોતું તેવો મીઠો માવાના નમૂના લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આવી જ રીતે ગુરૂવારે જ્યાંથી ૮૦ કિલો વાસી બ્રેડ, બન, ક્રીમ રોલ, પાંઉ સહિતનો જથ્થો પકડીને નાશ કર્યા બાદ હવે સોરઠીયા વાડી સર્કલ પાસે આવેલી શ્રી રામેશ્વર બેકર્સને ત્યાંથી શ્રી રામેશ્વર સ્લાઈસ બ્રેડ (૬૦૦ ગ્રામ)નો નમૂનો લેવામાં આવ્યો છે. આ ઉપરાંત ફૂડ શાખા દ્વારા આજીડેમ ચોકડીથી ભાવનર રોડ તેમજ ચુનારાવાડ ચોક વિસ્તારમાં ૩૬ ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ કર્યું હતું જેમાંથી ૧૯ પાસે લાયસન્સ ન હોવાનું ધ્યાન પર આવતાં તેમને નોટિસ ફટકારવામાં આવી હતી.