ગુજરાતને ‘મોંઘેરી’ સારવાર દિલ્હી-મુંબઈ નહીં રાજકોટમાં જ મળશે
રાજકોટ એઈમ્સમાં ૧૪ વિભાગ કાર્યરત, ટૂંક સમયમાં જ તેમાં કરાશે વધારો
વડાપ્રધાન ટોકનમાં નહીં, ટોટલમાં વિચારી રહ્યા છે: કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાની પત્રકાર પરિષદ
રાજકોટ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે રાજકોટ એઈમ્સનું લોકાર્પણ કરાયું તે પૂર્વે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ એઈમ્સ-રાજકોટની મુલાકાત લઈ તમામ વિભાગોનું નિરીક્ષણ કર્યા બાદ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું કે ગુજરાતને દરેક પ્રકારની
મોંઘેરી’ સારવાર માટે દિલ્હી-મુંબઈ સુધીનો ધક્કો ખાવાની જરૂર રહેશે નહીં અને દરેક સારવાર હવે તેમને ઘરઆંગણે મતલબ કે રાજકોટમાં જ મળી રહેશે.
રાજકોટ એઈમ્સ વિશે તેમણે જણાવ્યું કે અત્યારે અહીં અલગ-અલગ સારવારના ૧૪ વિભાગ કાર્યરત થઈ ચૂક્યા છે અને ટૂંક સમયમાં જ તેમાં વધારો કરવામાં આવશે. બહુ ટૂંકા ગાળાની અંદર એઈમ્સ સંપૂર્ણપણે તૈયાર થઈ જાય અને અન્ય એઈમ્સમાં જેવી સારવાર ઉપલબ્ધ છે તેવી જ સારવાર રાજકોટમાં મળવા લાગે તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે.
તેમણે ઉમેર્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટોકનમાં નહીં બલ્કે ટોટલમાં વિચારી રહ્યા છે એટલા માટે જ તેઓ દેશના લોકોના આરોગ્યની રાત-દિવસ ચિંતા કરી રહ્યા છે. હવે કેન્દ્ર સરકાર દરેક રાજ્યમાં એઈમ્સ હોસ્પિટલ બનાવવાની દિશામાં કામ કરી રહી છે. વડાપ્રધાને રાજકોટ ઉપરાંત આંધ્રપ્રદેશ, ભટિંડા (પંજાબ), રાયબરેલી (ઉત્તરપ્રદેશ) અને કલ્યાણી (બંગાળ) એઈમ્સનું લોકાર્પણ કર્યું છે. સરકાર આરોગ્યને વિકાસ સાથે જોડીને કામ કરી રહી છે.
અત્યારે દેશમાં ૧.૬૦ લાખ આયુષ્યમાન આરોગ્ય મંત્રી કાર્યરત છે જ્યાં દર્દીઓ લાભ લઈ રહ્યા છે. આ ઉપરાંત એમબીબીએસ, પીજી સહિતની સીટ તેમજ મેડિકલ કોલેજમાં બમણો વધારો કરવામાં આવ્યો છે.
મનસુખ માંડવિયાએ રાઘવજી પટેલના ખબર-અંતર પૂછયા
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ બ્રેઈનસ્ટ્રોકને કારણે સીનર્જી હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા ગુજરાતના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલના ખબર-અંતર પૂછવા માટે હોસ્પિટલ દોડી ગયા હતા. અહીં તેમણે ડૉક્ટરો સાથે સઘન વાતચીત કરી સારવારનું અપડેટ પણ મેળવ્યું હતું.