રાજકોટમાં દસીયા’થી શરૂ થયેલા ઘૂઘરા આજે૩૫’એ પહોંચ્યા છતાં `ચટાકો’ અણનમ
૬૦ વર્ષ પહેલાં કાંતાબેને ઘૂઘરાની શોધ' ન કરી હોત તો કદાચ હજુ આપણા માટેઅજાણ્યા’ જ હોત !
મુળ જામનગરથી આવેલા ઘૂઘરાનો પહેલો ટેસ્ટ ઈશ્વરભાઈ કાકુએ રાજકોટને કરાવ્યો હતો: રાજકોટમાં અત્યારે ૩૦૦ જેટલા નાના-મોટા વેપારીઓ ઘૂઘરાનું કરે છે વેચાણ: દરરોજ શહેરમાં ૧૦,૦૦૦થી વધુ નંગ ઘૂઘરા ખવાઈ જતાં હોવાનો અંદાજ
દર ૧૦માંથી ૮ લોકોની પસંદ ઘૂઘરા: બાળકોથી લઈ મોટેરા ઘૂઘરાને તળાતાં જુએ એટલે તેમના મોઢામાં પાણી આવ્યા વગર ન જ રહે, ન જ રહે, ન જ રહે: અનેક લોકો ઘૂઘરા વેચીને જ પરિવારનું ચલાવે છે ગુજરાન
અત્યાર સુધી માત્ર સાઈઝમાં જ ફેરફાર થયો, બાકી ઘૂઘરાની બનાવટ સૌ માટે એક જ રહી: રાજકોટમાં કોઈ એવો વિસ્તાર નહીં હોય કે જ્યાં ઘૂઘરાનું વેચાણ ન થતું હોય…!
દર શનિવારે ખાણી-પીણીના શોખીનો માટે મોઢામાં પાણી લાવવાનું કાર્ય કરતું વૉઈસ ઑફ ડે' આજે સૌના પ્રિય એવા ઘૂઘરાનો ઈતિહાસ, રાજકોટમાં તેનો વ્યાપ, તેનું વેચાણ સહિતની તલસ્પર્શી વિગતો લઈને આવ્યું છે. કદાચ વાંચકોને ખ્યાલ નહીં હોય કે ઘૂઘરાની શોધ રાજકોટમાં અંદાજે ૬૦ વર્ષ પહેલાં કાંતાબેન લાલજીભાઈ કાકુ દ્વારા કરવામાં આવી હતી. જો કાંતાબેન દ્વારા આ શોધ કરવામાં ન આવી હોત તો કદાચ હજુ પણ આપણે ઘૂઘરા જેવી કોઈ વાનગી છે તેનાથી અજાણ જ રહ્યા હોત ! રાજકોટમાં ઘૂઘરાની પહેલી પ્લેટદસીયા’ મતલબ કે ૧૦ પૈસામાં વેચાઈ હતી પરંતુ જેમ જેમ મોંઘવારી વધતી ગઈ તેમ તેમ દસીયાની આ પ્લેટ ૩૫ રૂપિયે પહોંચી ગઈ છતાં તેનો ચટાકો' હજુ પણ રાજકોટમાંઅણનમ’ જ જોવા મળી રહ્યો છે.
ઘૂઘરા મુળ તો જામનગરથી આવેલા છે કેમ કે રાજકોટમાં તેને કોઈ જ બનાવતું ન્હોતું અને કદાચ કોઈને ખ્યાલ પણ ન્હોતો. જો કે કાંતાબેન અને ત્યારબાદ ઈશ્વરભાઈ લાલભાઈ કાકુએ ઘૂઘરાને રાજકોટ લાવીને અહીં જ તેને બનાવ્યા બાદ વેચવાનું શરૂ કર્યું હતું. ઈશ્વરભાઈ ઘૂઘરાવાળાએ સૌથી પહેલાં સાઈકલ પર તેનું વેચાણ કર્યું હતું. આ પછી રૈયાનાકા ટાવર પાસે ઘૂઘરા વેચવા માટેનું સ્ટેન્ડ બનાવ્યું હતું. જેમ જેમ લોકોમાં ઘૂઘરા ફેમસ થતાં ગયા તેમ તેમ તેના વેચાણનો ગ્રાફ ઉપર જતો ગયો અને અત્યારે શહેરમાં ઈશ્વર ઘૂઘરા ઉપરાંત અનેક નામી-અનામી ૩૦૦ જેટલી દુકાનો-સાઈકલો આવેલી છે જ્યાંથી દરરોજ ૧૦,૦૦૦ નંગથી વધુ ઘૂઘરાનું વેચાણ થઈ રહ્યું છે અને રાજકોટીયન્સ હોંશે હોંશે ઘૂઘરા દાબી રહ્યા છે.
ઘૂઘરા એવી વાનગી છે જે ૧૦માંથી આઠ લોકોને પસંદ હોય છે. કોઈ દુકાનમાં કે ઘરમાં ઘૂઘરા તળાતાં હોય અને તેને બાળક અથવા મોટેરા જુએ એટલે તેમના મોઢામાં પાણી આવ્યા વગર રહે જ નહીં તેવો `વટ’ રાજકોટમાં ઘૂઘરાનો છે !! મહત્ત્વની વાત એ છે કે અત્યારે ઘણાખરા લોકોનું ઘર ઘૂઘરાના વેચાણ ઉપર ચાલી રહ્યું છે કેમ કે સાયકલ પર ફેરી કરીને ઘૂઘરા વેચાણ કરતા વેપારીઓ પણ રાજકોટમાં એટલા જ છે.
વળી, અત્યાર સુધી ઘૂઘરાની સાઈઝમાં માત્ર ફેરફાર થયો છે કે બાકી તેની બનાવટ તો સૌ માટે એક જ રહી છે. અત્યારે શહેરનો કોઈ એવો વિસ્તાર નહીં હોય કે જ્યાં ઘૂઘરાનું વેચાણ ન થતું હોય…!
માત્ર છ વસ્તુનો ઉપયોગ’ને ઘૂઘરા તૈયાર !
ઘૂઘરા બનાવવા માટે ઢગલામોઢે વસ્તુઓની જરૂર રહેતી નથી. તેના માટે માત્ર તેલ, મેંદો, બટેટા-વટાણા, હળદર-મીઠુંની જ જરૂર પડે છે. આટલી વસ્તુઓને જો યોગ્ય પ્રમાણમાં તૈયાર કરાય એટલે એક સ્વાદિષ્ટ ઘૂઘરું તૈયાર થાય છે. જ્યારે ઘૂઘરા સાથે ઉપયોગમાં લેવાતી ચટણી માટે માત્ર પાંચ જ વસ્તુની જરૂર પડે છે જેમાં ગોળ-ખાંડ, આંબલી, લસણ અને મરચાનો સમાવેશ થાય છે. આમ ૧૧ વસ્તુ હોય એટલે ઘૂઘરા અને ચટણી સરળતાથી તૈયાર થઈ શકે છે.
વેચાણ તો કરીએ જ છીએ, સાથે સાથે થાળીમાં ઘૂઘરા ન હોય તો ચાલતું નથી !
રાજકોટમાં ઘૂઘરા વેચવાની શરૂઆત કરનાર `ઈશ્વર ઘૂઘરા’ના માલિક આશિષભાઈ કાકુએ જણાવ્યું કે અમે છેલ્લા ૬૦ વર્ષથી રાજકોટમાં ઘૂઘરા વેચી રહ્યા છીએ. ભલે અમે વેચાણ કરતા હોય પરંતુ અમે જે ઘૂઘરા બનાવ્યા હોય તેને ખાવાનું ક્યારેય ચૂકતાં નથી. એકંદરે બપોરના ભોજનની થાળીમાં અમે બનાવેલા ઘૂઘરા ન હોય એટલે અમને સૂનું સૂનું લાગે…જો અમારી પાસે ઘૂઘરા ઉપલબ્ધ ન હોય તો અમે અન્ય જગ્યાએથી વેચાતા લઈને પણ ખાઈએ છીએ…
સાંજે ૫થી ૮ સુધીમાં ઘૂઘરાની દુકાન-રેંકડીએ ઉભરાય છે કીડિયારું
રાજકોટમાં ૩૦૦ જેટલા ઘૂઘરાના વેપારીઓ છે જેમને ત્યાં સાંજે ૫થી ૮ વાગ્યા સુધીમાં ઘૂઘરા ખાવા માટે રીતસરનું કીડિયારું ઉભરાય છે. એકંદરે વેપારી ઘેરથી જેટલા પણ ઘૂઘરા બનાવીને લાવ્યો હોય તે તો વેચાય જ જાય છે સાથે સાથે જે લોકો લાઈવ ઘૂઘરા બનાવીને વેચે છે તેનો તમામ કાચો માલ પણ ત્રણ કલાકમાં જ પૂર્ણ થઈ જાય છે કેમ કે તે જેટલા ઘૂઘરા બનાવે તે ચપોચપ ખવાઈ જતા હોય છે.
હવે તો ઘર-ઘરમાં ઘૂઘરા બનવા લાગ્યા
એક સમય એવો હતો જ્યારે ઘૂઘરા કેવી રીતે બનાવવા તેની સમજ ન્હોતી. જો કે જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ લોકો ઘૂઘરા બનાવતા શીખી ગયા હતા અને અત્યારે ઘણા બધા ઘર એવા છે જ્યાં નિયમિત ઘૂઘરા બનાવવામાં આવે છે સાથે સાથે પોતાના ટેસ્ટ પ્રમાણેની ચટણી પણ હાથે જ બનાવવામાં આવે છે.
અમે ચટણીમાં જે કલર વાપરીયે છીએ તે હાનિકારક નથી: આશિષ કાકુ
ઈશ્વર ઘૂઘરાના માલિક આશિષભાઈ કાકુએ જણાવ્યું કે તાજેતરમાં જ અમારે ત્યાં મહાપાલિકા દ્વારા કરાયેલા ચેકિંગમાં ચટણીમાં કલર મીક્સ કરાતો હોવાનું જાહેર કરાયું હતું ત્યારે હું સ્પષ્ટ કરવા માંગું છું કે અમે જે કલર મીક્સ કરીએ છીએ તે આઈએસઆઈ માર્કાવાળો હોય છે અને તેનાથી શરીરને કોઈ પ્રકારનું નુકસાન થતું નથી. આ કલરનો ઉપયોગ માત્ર ચટણીમાં કલર આવે તેના માટે જ કરાય છે.
