ધનતેરસથી બેસતાં વર્ષ સુધી લેઝર-શો જોવા અટલ સરોવર નહીં જવું પડે
એક દિવસના ૮ લાખ ચૂકવી બહુમાળી ભવન ચોકમાં જ એક એકથી ચડિયાતી લાઈટસનું પ્રદર્શન બતાવશે મનપા
આતશબાજી માટે ફટાકડા ખરીદીના ટેન્ડર બાદ હવે લેઝર-શોનું ટેન્ડર પણ પ્રસિદ્ધ: ત્રણ દિ’ના ૨૪ લાખથી વધુ ચૂકવાશે
દશેરાનો તહેવાર પૂર્ણ થતાંની સાથે જ દિવાળીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચૂક્યું છે. દર વર્ષે દિવાળી ઉપર કાર્નિવલનું આયોજન કરતી મહાપાલિકા દ્વારા આ વખતે પણ દિવાળી કાર્નિવલ યોજવામાં આવનાર છે. જો કે આ વખતે અધરોઅધર ખર્ચ કરીને રૂપિયાનો ધૂમાડો કરવાની જગ્યાએ ટેન્ડર પદ્ધતિથી જ સઘળા કાર્યક્રમ યોજવાની `ચીવટ’ રાખવામાં આવી રહી છે. તાજેતરમાં જ ધનતેરસે યોજાતી આતશબાજી માટે ફટાકડા ખરીદીનું ટેન્ડર પ્રસિદ્ધ કરાયા બાદ હવે મહાપાલિકા દ્વારા લેઝર-શો માટેનું ટેન્ડર પણ પ્રસિદ્ધ કરાયું છે. ગત વર્ષે આ બન્ને કાર્યક્રમ ટેન્ડરથી નહીં બલ્કે રેઈટ કોન્ટ્રાક્ટથી આપી દેવાયા હોય તેને લઈને ભારે વિરોધ પણ થયો હતો. આ વર્ષે ધનતેરસથી લઈ બેસતાં વર્ષ સુધીના ત્રણ દિવસ માટે બહુમાળી ચોકમાં જ લેઝર-શોનું આયોજન કરાયું હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ માટે પ્રસિદ્ધ કરાયેલા ટેન્ડરમાં ૨૪ લાખ રૂપિયાનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે મતલબ કે એક દિવસના લેઝર-શો બદલ મહાપાલિકા આઠ લાખ રૂપિયા એજન્સીને ચૂકવશે. જો કે ટેન્ડર ભરવાની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ ભાવમાં વધારો પણ થઈ શકે તેવી શક્યતા સેવાઈ રહી છે. બહુમાળી ચોકમાં આ વખતે એક એકથી ચડિયાતી લાઈટસનું પ્રદર્શન મનપા દ્વારા બતાવવામાં આવશે જેને લઈને એજન્સીઓ પાસેથી ભાવ મંગાવવામાં આવ્યા છે સાથે સાથે ઘણી બધી શરતો પણ રાખવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટમાં અત્યારે એકમાત્ર અટલ સરોવર ખાતે જ લેઝર-શો યોજાય છે. જો કે તેને જોવા માટે એન્ટ્રી ટિકિટ પણ ખરીદવી પડતી હોય છે જ્યારે મનપા દ્વારા આયોજિત લેઝર-શો માટે કોઈ પ્રકારની ટિકિટ વસૂલાશે નહીં.