હની ટ્રેપ – ભસ્માસુરથી વિશ્વામિત્ર અને કલેકટર ગઢવી સુધીના
ઈન્દ્ર દેવે હની ટ્રેપ માટે અપ્સરાઓનો છૂટથી ઉપયોગ કર્યો હતો.
આણંદના કલેક્ટર ડી એસ ગઢવી ના પ્રકરણમાં દરરોજ ગરમાગરમ ખુલાસાઓ થઈ રહ્યા છે. ગઢવી સાહેબ હની ટ્રેપ નો શિકાર બન્યા હતા. તાજેતરમાં મહારાષ્ટ્ર ભાજપના મહિલા નેતા સાના ખાનની હત્યાનો મુદ્દો પણ ચર્ચાસ્પદ બન્યો છે. સાના ખાન નો ઉપયોગ તેનો પતિ અમિત શાહુ હની ટ્રેપ માટે કરતો હોવાનો અને હની ટ્રેપના એ રેકેટ દ્વારા અમિત શાહુએ અનેક રાજ્યોના ધનપતિઓ તથા વગદાર લોકો પાસેથી લાખો રૂપિયા ખંખેરી લીધા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. આ અગાઉ ગત વર્ષે કર્ણાટકમાં સન્માનનીય સ્થાન ધરાવતા બાસવાલિંગા નામના સંતે આત્મહત્યા કરી લીધી હતી. તેમને હની ટ્રેકનો શિકાર બનાવી બ્લેકમેલ કરતા હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું.
સ્ત્રીની સુંદરતા એ પુરુષોની પ્રકૃતિગત નબળાઈ છે અને એ નબળાઈનો ગેરલાભ ઉઠાવી હરીફોને ફસાવવાની આ હની ટ્રેપ મોડસ ઓપરેન્ડીનો પ્રાચીન કાળથી ઉપયોગ થતો આવ્યો છે. હિંદુ ધર્મ ગ્રંથો અને પુરાણોમાં એવી અનેક કથાઓ વાચવા મળે છે.વિશ્વામિત્ર મહાન ઋષિ હતા. આકરી તપશ્ચર્યાના જોરે તેઓ સર્વ શક્તિમાન બની જશે એવો ભય લાગ્યા પછી તેમનો તપોભંગ કરવા માટે ઈન્દ્ર રાજાએ અપ્સરા મેનકાને જવાબદારી સોંપી હતી. કથા એવી છે કે વિશ્વામિત્ર જ્યાં તપ કરતા હતા એ સ્થળને મેનકાએ ફૂલોથી ઉભરાતા લીલાછમ બાગમાં પલટી નાખ્યું હતું. આ કારસામાં વાયુદેવ પણ સામેલ હતા. તે જ ગતિથી વાયુ ફુકાતા મેનકાના વસ્ત્રો અસ્તવ્યસ્ત થઈ ગયા. વિશ્વામિત્રની આંખ ખુલી ગઈ અને મેનકા ના રૂપથી ઘાયલ થઈ ગયા. એ પછી શકુંતલા નો જન્મ થયો.
વિશ્વામિત્રજી તો બે વખત હની ટ્રેકનો ભોગ બન્યા હતા. તેમણે 1000 વર્ષની તપાસ કર્યા કરી એ પછી બ્રહ્માજીએ તેમને ભ્રમરશ્રીનું બિરુદ આપ્યું હતું પણ વિશ્વામિત્રજીને સંતોષ નહોતો. તેઓ ઋષિ વશિષ્ઠ ની સમકક્ષ થવા માટે બ્રહ્મર્ષિ બનવા માંગતા હતા અને તે માટે તેમણે બીજા 1000 વર્ષનું તપ આદર્યું ત્યારે ઈન્દ્ર દેવે અપ્સરા રંભાને પૃથ્વી ઉપર મોકલી હતી. રંભાએ ઋષિ વિશ્વામિત્રનો તપોભંગ કરાવ્યો અને તે પછી વિશ્વામિત્રે તેને એક હજાર વર્ષ માટે પથ્થર બનાવી દીધી.
બીજી પણ કેટલીક કથાઓ જોઈએ. સમુદ્ર મંથન સમયે અમૃત કુંભ દેવોના હાથમાં આવ્યો તેનો યશ પણ હની ટ્રેપને જાય છે. સમુદ્રનું વલણો થયું ત્યારે અમૃત કુંભ માટે દેવ અને દાનવો વચ્ચે યુદ્ધ થયું હતું. દેવો પરાજિત થતા અમૃત કુંભ દાનવોના હાથમાં આવી ગયો હતો.અંતે દાનવોને અમરત્વથી વંચિત રાખવા માટે વિષ્ણુ ભગવાને મોહિની નું સ્વરૂપ ધારણ કર્યું હતું. મોહિનીનું કાતિલ રૂપ નિહાળી દાનવો સાન ભાન ગુમાવી બેઠા હતા અને એ બધાને, અખબારી ભાષામાં કહીએ તો લલચાવી ફોસલાવીને મોહિનીએ અમૃત કુંભ હસ્તગત કરી દેવોનેસુપ્રત કરી દીધો હતો. દેવોને અમૃત ભેગા કરવા માટે સ્વયં વિષ્ણુ ભગવાને પણ હની ટ્રેપ નો ઉપયોગ કરવો પડ્યો હતો.
ભસ્માસુરને શિવજીનું વરદાન હતું કે તેને કોઈ મારી શકે નહીં. બીજું એક વરદાન એ પણ હતું કે ભસ્માસુર જેના પણ મસ્તક ઉપર હાથ મૂકે તે બળીને ખાક થઈ જાય. આવા મહામૂલા વરદાનો મળ્યા બાદ ભસ્માસુર છાકટો બની ગયો હતો. માતા પાર્વતી સાથે લગ્ન કરવા માટે તેણે શિવજીના જ માથા ઉપર હાથ મૂકી તેમને બાળી નાખવાનો કારસો રચ્યો હતો. એ નાજુક તબક્કે ફરી એક વખત વિષ્ણુ ભગવાને મોહિની નું રૂપ ધારણ કર્યું હતું. ભસ્માસુર મોહિનીના પ્રેમમાં પડી ગયો અને લગ્ન ની માગણી કરી. મોહિનીએ પોતાની જેમ જ ભસ્માસુર નૃત્ય કરે તો જ લગ્ન કરવાની શરત રાખી.રૂપ ઘેલો બની ગયેલો ભસ્માસુર મોહિનીના ગુલામ બની ગયો હતો.શિવજી જેવા શિવજીને ભસ્મ કરી નાખવાની શક્તિ ધરાવતો ભસ્માસુર મોહિનીના આંખના ઈશારે નાચતો થઈ ગયો. નૃત્ય કરતા કરતા મોહિનીએ પોતાના મસ્તક ઉપર હાથ મૂક્યો. બસમાં સુરે તેનું અનુકરણ કર્યું અને ખૂબ જ બળીને ભસ્મ થઈ ગયો.
આદિકાળથી આ ચાલ્યું આવે છે..શુંદ અને ઉપશુંદ નામના બે અસુર સહોદરો વચ્ચે ગજબનાક પ્રેમ અને સંપ હતો.એ અસુરોએ કઠિન તપશ્ચર્યા દ્વારા બ્રહ્માજી ને પ્રસન્ન કરીને અમરત્વનું વરદાન મેળવ્યું હતું. બ્રહ્માજીએ એ બન્ને ભાઈઓ એક બીજાનો નાશ ન કરે તો બીજું કોઈ તેમને મારી નહી શકે એવું વરદાન આપ્યું હતું. આ વરદાન મળ્યા બાદ આ બન્ને એ સ્વર્ગ લોક ઉપર હુમલો કરી દેવો ને તગેડી મૂક્યા હતા અને આખા બ્રહ્માડનો કબજો લઈ લીધો.બન્ને અસુરો અજેય હતા,અમર હતા. અંતે દેવો બ્રહ્માજીના શરણે ગયા. બ્રહ્માજી ના આદેશથી વિશ્વકર્માએ અદભુત સૌંદર્ય ધરાવતી અપ્સરા તિલોતમાનું સર્જન કર્યું. બાદમાં બન્ને અસુર સહોદરો વિંધ્ય પર્વત ઉપર સુરાપાન કરતા હતા ત્યાં તિલોતમા પ્રગટ થઈ. તેના સૌંદર્યથી મોહિત બનેલા ભાઈઓ વચ્ચે ભાતૃપ્રેમ ભુલાઈ ગયો. તિલોતમા માટે બન્ને ભાઈઓ વચ્ચે જામી પડી અને બન્ને મરી ગયા.
દરેક ધર્મોમાં આવી કથાઓ છે.થયો. હીબ્રુ બાઇબલના સાતમા પુસ્તક ‘ બુક ઓફ જજીસ ‘ માં પણ એક કથા છે.સેમસન નામના ઇઝરાયેલી ન્યાયાધીશને ભગવાને અસામાન્ય સિદ્ધિઓ અને શકિત આપી હતી. તેની એ સિદ્ધિઓનો નાશ કરવાની જવાબદારી ઇઝરાયેલના દુશ્મન ફિલીસ્તીનના દેવોએ દેલિલાહ નામની સુંદરીને સોંપી હતી. દેલિલાહે જજ સેમસનને મોહપાશમાં લપેટી ને તેમની શક્તિનો સ્ત્રોત તેમના માથાના વાળ હોવાનું રહસ્ય જાણી લીધું હતું. બાદમાં સેમસન ગાઢ નિંદ્રા માં હતા ત્યારે દેલિલાહે તેમના વાળ કાપી લેતા સેમસન ની બધી શક્તિઓ છીનવાઈ ગઈ હતી. આ બધા કિસ્સા હની ટ્રેપના જ હતા. દેવો પણ હની ટ્રેપ નો ઉપયોગ કરતા હતા અને વિશ્વામિત્ર જેવા મહાઋષિ પણ અપ્સરાના કામબાણ થી ઘાયલ થઈ ગયાં હતાં તો પછી સામાન્ય માણસ તો શું વિસાતમાં?અને એટલે જ જાસૂસી માટે દાયકાઓથી હની ટ્રેપ ના હથિયારનો છૂટથી ઉપયોગ કરતો રહ્યો છે.
થોડા સમય પહેલા ડીઆરડીઓના વૈજ્ઞાનિક ડોક્ટર પ્રદીપ કુરુલકરની પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈ ની ઝારા દાસગુપ્તા નામધારી મહિલા એજન્ટને અત્યંત ગુપ્ત અને સંવેદનશીલ માહિતી આપવા માટે ધરપકડ કરવામાં આવી હતી. આ મહિલાએ સોશિયલ મીડિયાના માધ્યમથી ડોક્ટર કુરુલકર સાથે સંબંધ બાંધ્યો હતો. કુરુલકર ઝારા પાછળ લટ્ટુ બની ગયા હતા. ઝારા તેમને ‘ બેબ ‘ કહીને સંબોધતી. બંને વચ્ચેના સંબંધો એકબીજાને અશ્લીલ સંદેશાઓ અને વિડિયો મોકલવા સુધીના અંગત અને આત્મીય બની ગયા હતા.તે પછી દાસગુપ્તાએ ડોક્ટર કુરુલકરને મોહજાળમાં ફસાવી ડીઆરડીઓના બ્રહ્મોસ લોન્ચર, ડ્રોન યુસીવી, મિસાઈલ લોન્ચર અને મીલીટરી બ્રિજિંગ સિસ્ટમ સહિતની અનેક માહિતીઓ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
દુનીયાભરના દેશો જાસૂસી માટે મહિલાઓનો એક ખૂબસૂરત પણ ખતરનાક શસ્ત્ર તરીકે ઉપયોગ કરતા આવ્યા છે.એ ક્ષેત્રે માતા હરીના નામે પ્રખ્યાત થયેલી ડચ નૃત્યાંગના અને ગણિકા દંતકથારૂપ બની ગઇ છે. ૧૯૦૩ માં તે પેરિસમાં સ્થાયી થઈ તે પછી તેના ભડકામણા રૂપ અને ઉત્તેજક નૃત્યોએ યુરોપમાં હાહાકાર મચાવ્યો હતો.ટોચના રાજકારણીઓ અને લશ્કરી અધિકારીઓ સાથેના તેના સુવાળા સંબંધોને ધ્યાનમાં લઇ પ્રથમ વિશ્વયુદ્ધ સમયે ફ્રાંસે તેની જાસુસ તરીકે નિમણૂક કરી હતી. બીજી તરફ જર્મન જાસૂસી સંસ્થાએ પણ તેને ફ્રાન્સની જાસૂસી માટે મોટી રકમની ઑફર કરતા માતા હરી ડબલ એજન્ટ બની ગઈ હતી. એ ભાંડો ફૂટ્યા બાદ 1917માં ફ્રેન્ચ સત્તાવાળાઓએ તેની ધરપકડ કરી મૃત્યુદંડની સજા ફરમાવી હતી. ૧૫ ઓકટોબર ૧૯૧૭માં ફ્રાન્સ પોલીસના ફાયરિંગ સ્કવોડ દ્વારા તેને ઠાર મારવામાં આવી હતી. હની ટ્રેપ બાબતે રશિયાના પણ અનેક કારનામાં છે. અન્ના ચાપમાન નામની રશિયન સુંદરીએ કાયાના કામણ થકી અમેરિકાના રાજકારણીઓ તથા ઉચ્ચ વર્ગમાં સબંધો વિકસાવ્યા હતા. છેલ્લે ઓબામા એડમિનિસ્ટ્રેશનના એક ટોચના અધિકારી સાથે તેની નજદીકી નજરે ચડ્યા બાદ એફબીઆઇ એક્શનમાં આવી ગઈ હતી અને જાસૂસીના ગુના બદલ ધરપકડ કરી તેને રશિયા ભેગી કરી દેવામાં આવી હતી. એ પહેલાં ૧૯૭૦ માં કેજિબિની મોના નામની જાસૂસ સુંદરીએ ડચ રાજદૂત હેરમાન કનીપનેબર્ગન ઉપર મોહિની પાથરીનેનાટો અંગેની અનેક ગુપ્ત અને સંવેદનશીલ માહિતીઓ સેરવી લીધી હતી. ચીનની જસુસિ સંસ્થા એમએસએસની મહિલા જાસૂસ કેટરિના લેઉંગે એફબીઆઇની ઇન્ફર્મર બનીને એફબીઆઇ ના આંતરિક વર્તુળોમાં પગપેસારો કર્યો હતો. એફબીઆઈના બે એજન્ટ કેટરીના પાછળ ગાંડાતુર બની ગયા હતા.તેમની પાસેથી અનેક ગુપ્ત માહિતીઓ મેળવવામાં કેટરીના સફળ રહી હતી.ચીન નું હની ટ્રેપ નેટવર્ક તો એવડું મોટું હતું કે 2010માં બ્રિટિશ જાસૂસી સંસ્થાએ એડવાઈઝરી જાહેર કરીને રાજકારણીઓ,નેતાઓ,ઉદ્યોગપતિઓ,અધિકારીઓ તથા સુરક્ષા સાથે સંકળાયેલા લોકોને ‘ ચેતતા રહેવા ‘ ની સલાહ આપવી પડી હતી.
જર્મની પાસે તો મહિલાઓને પ્રેમજાળમાં ફસાવતો પુરુષ હની ટ્રેપ સ્ક્વોડ પણ હતો. વિભાજિત જર્મનીના સમયમાં વેસ્ટ જર્મનીની મહત્વની સરકારી કચેરીઓમાં ફરજ બજાવતી અને એકલતાથી પીડાતી મહિલા કર્મચારીઓને ફસાવવા માટે ઇસ્ટ જર્મનીની જાસૂસી સંસ્થા Stasi એ ખડતલ,આકર્ષક અને દેખાવડા પુરુષ જાસૂસોનો ‘ રોમિયો ‘ નામનો ફોર્સ બનાવ્યો હતો. પીટર નામના એક રોમિયો જાસુસે વેસ્ટ જર્મન સરકારની ટોચની મહિલા સચિવ ગેબ્રિયેલા કલીએમની એકલતા દૂર કરતાં કરતાં અનેક માહિતીઓ મેળવી લીધી હતી.
હની ટ્રેપ હવે માત્ર જાસૂસી પૂરતી મર્યાદિત નથી.ઈન્ટરનેટ ના આ યુગમાં હવે સામાન્ય માણસો પણ તેનો ભોગ બનવા લાગ્યા છે.વિડિયો કોલ કરીને મોહજાળમાં લપેટીને બ્લેક મેઈલ કરતી ટોળકીઓનો દરરોજ અનેક લોકો ભોગ બને છે અને આ સમસ્યાનો કોઈ ઉપાય નજરે નથી પડતો.જો કે એક ઉપાય છે.દિમાગ સાબૂત રાખવું.અજાણ્યા વિડિયો કોલ રિસિવ ન કરવા.કોલ રીસિવ કર્યો હોય તો પણ મન મક્કમ રાખવું.વસ્ત્રો ધારણ કરી રાખવા અને તે પછી પણ ફસાઈ ગયા હોય તો બદનામી ની ચિંતા છોડીને પોલીસ ફરિયાદ કરવામાં સંકોચ ન રાખવો.બાકી કલેકટર ગઢવી સાહેબથી ઋષિ વિશ્વામિત્ર સુધીના ઉદાહરણોનો બોધપાઠ એ જ છે કે હની ત્રેપમાં ફસાયા તો પતન નિશ્ચિત છે.