૧ મહિનામાં ૫૧૮૫૬ દર્દીઓના વિનામૂલ્યે લેબ ટેસ્ટ કરી લાખો રૂપિયા બચાવાયા
૨૩ આરોગ્ય કેન્દ્ર ઉપર ૧૦૦થી લઈ ૫૦૦ રૂપિયા સુધીના હિમોગ્લોબીન, બ્લડ કાઉન્ટ, સીફિલીસ, બ્લડ સુગર, મેલેરિયા, ટીબી સહિતના રિપોર્ટ કાઢી અપાયા: સવારે ૯થી ૧ અને સાંજે ૪થી ૫ દરમિયાન લેબોરેટરી ખુલ્લી રહેતી હોય લોકોને વધુમાં વધુ લાભ લેવા ચેરમેન કેતન પટેલની અપીલ
શહેરમાં અત્યારે રોગચાળો માજા મુકી રહ્યો છે અને ઘેર-ઘેર માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે ત્યારે ડેંગ્યુ, મેલેરિયા સહિતના રોગોમાં લેબોરેટરી ટેસ્ટ કરાવવા જરૂરી હોય જે કરાવવા માટે દર્દીઓએ તગડી રકમ ચૂકવવી પડે છે. ઘણી વખત ગરીબ દર્દીઓ આ ખર્ચને પહોંચી શકતા ન હોય તેમની સ્થિતિ કફોડી બની જાય છે. આ બધાની વચ્ચે મહાપાલિકાના વિવિધ ૨૩ આરોગ્ય કેન્દ્રો ઉપર ૧ મહિનામાં ૫૧૮૫૬ દર્દીઓના વિનામૂલ્યે લેબોરેટરી ટેસ્ટ કરી લાખો રૂપિયાની બચત કરાવવામાં આવી હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.
આ અંગે આરોગ્ય સમિતિના ચેરમેન કેતન પટેલે જણાવ્યું કે તેમણે આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે ચાર્જ સંભાળ્યા તા.૧૩-૯-૨૦૨૩થી તા.૧૨-૧૦-૨૦૨૩ સુધીના એક મહિનામાં ૨૩ આરોગ્ય કેન્દ્રો પર મુખ્યમંત્રી નિદાન યોજના અંતર્ગત ૫૧૮૫૬ જેટલા જરૂરિયાતમંદ દર્દીઓને હિમોગ્લોબીન, બ્લડ કાઉન્ટ, એચબીએસએ, સીફીલીસ, આરબીએસ બ્લડ સુગર, બ્લડ ગ્રુપ, મેલેરિયા, ટીબી વગેરે લેબોરેટરી ટેસ્ટ મફતમાં કરી અપાયા હતા. સામાન્ય રીતે આ લેબ ટેસ્ટ ખાનગી અથવા તો ટ્રસ્ટની લેબમાં કરાવવામાં આવે તો દર્દીઓએ ચાર્જ ચૂકવવો પડે છે જે અહીં વિનામૂલ્યે કરાયા છે. આ ઉપરાંત ઓપીડીમાં કુલ ૭૬૯૯૧ જેટલા દર્દીઓને મફત નિદાન સારવાર અને દવાઓનો લાભ આપવામાં આવ્યો હતો. આવી જ રીતે વિઝિટિંગ સ્ત્રી રોગ નિષ્ણાત તબીબ દ્વારા ૨૧૫૧ દર્દીઓ, બાળરોગ નિષ્ણાત તબીબ દ્વારા ૩૦૮૩ દર્દીઓનું નિદાન અને સારવાર કરવામાં આવી છે.