RMCની ફૂડ શાખાને રેંકડીઓમાં જ રસ ? હોટેલોમાં જતાં ડર લાગે છે ?
શહેરની અનેક પ્રતિષ્ઠિત હોટેલોમાં ચેકિંગ કર્યાને લાંબો સમય વીતી ગયો છતાં પગથીયું નથી ચડ્યા અધિકારીઓ, શા માટે ?
ચેકિંગ નહીં કરવા કોઈનું દબાણ કે પછી બીજું કાંઈ (રાજ)કારણ ? શું ભારે-ભરખમ નામ ધરાવતી હોટેલોમાં બધું ચોખ્ખું જ મળતું હશે ? પ્રબુદ્ધ નાગરિકોના સવાલ
મહાપાલિકાની ફૂડ શાખા દ્વારા સપ્તાહમાં બે વખત ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ, દરોડા, નમૂના લેવા સહિતની `આક્રમક’ કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીને કારણે ભેળસેળ અટકી છે કે નહીં તેનો ખ્યાલ ખુદ અધિકારીઓને કે પદાધિકારીઓને કદાચ નહીં હોય પરંતુ આ કામગીરીના વખાણ થઈ રહ્યા છે સાથે સાથે પ્રબુદ્ધ નાગરિકો એવા સવાલ પણ પૂછી રહ્યા છે કે શા માટે ફૂડ શાખા દ્વારા શહેરની પ્રતિષ્ઠિત હોટેલના રસોડામાં જઈને ચેકિંગ કરવાની તસ્દી લેતી નથી ?
રાજકોટના અલગ-અલગ વિસ્તારોમાં અત્યારે ઘણી મોટી હોટેલ-રેસ્ટોરન્ટ આવેલી છે જ્યાં દરરોજ મોટી સંખ્યામાં લોકો ભોજન લેવા માટે જાય છે ત્યારે ફૂડ શાખા અમુકને બાદ કરતા બાકીની અનેક હોટેલો એવી છે જ્યાં ચેકિંગ કરવાની જરૂરિયાત હોવા છતાં જઈ રહી નથી ત્યારે આવું શા માટે કરવામાં આવી રહ્યું છે તેવો સવાલ અત્યારે નાગરિકો ઉઠાવી રહ્યા છે. પ્રતિષ્ઠિત હોટેલોમાં ચેકિંગ કર્યાને લાંબો સમય વીતી ગયો છતાં હજુ સુધી ફૂડ શાખા એ હોટેલનું પગથીયું ચડવાની પણ તસ્દી લઈ રહી નથી ત્યારે આવું શા માટે બની રહ્યું હશે તે તો અધિકારીઓ જ જાણતા હોવા જોઈએ !
સાથે સાથે લોકો રોષ સાથે એવું પણ કહી રહ્યા છે કે નામાંકિત હોટેલોમાં ચેકિંગ નહીં કરવા જવા માટે ફૂડ શાખાને કોઈનું દબાણ હશે કે પછી બીજું કાંઈ (રાજ)કારણ કામ કરી રહ્યું હશે ? શું ભારે-ભરખમ નામ ધરાવતી અને મોંઘીદાટ વાનગીઓ પીરસતી હોટેલોમાં બધું ચોખ્ખું જ મળતું હશે ? આ સવાલોનો જવાબ ત્યારે જ મળી શકે જ્યારે ફૂડ શાખા અહીં એકાદ વખત ચેકિંગ કરવાની હિંમત કરશે !
આવા સવાલ ઉઠવા સ્વાભાવિક એટલા માટે છે કેમ કે અત્યાર સુધી ફૂડ શાખા દ્વારા મોટાભાગે ખાણીપીણીની રેંકડી-કેબિનો અને નાની-નાની દુકાનો ઉપર જ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
મોરબી રોડ પર સીતારામ ડેરીનું ઘી, કાલાવડ રોડ પર ખોડિયાર ડેરીના દૂધમાં ભેળસેળ
ફૂડ શાખા દ્વારા મોરબી રોડ પર રેલવેના ફાટક પાસે રાધિકા પાર્કમાં આવેલી સીતારામ ડેરી ફાર્મમાંથી થોડા સમય પહેલાં શુદ્ધ ઘી (લૂઝ)નો નમૂનો લેવામાં આવ્યો હતો જેમાં વેજિટેબલ ઓઈલની હાજરી મળી આવતાં નમૂનો ફેઈલ જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કાલાવડ રોડ પર ક્રિષ્ના પાર્ક સોસાયટી બ્લોક નં.૩૩માં શ્રી ખોડિયાર ડેરી ફાર્મ એન્ડ નમકીનમાંથી મીક્સ દૂધ (લુઝ)માં વેજિટેબલ ઓઈલની ભેળસેળ મળી આવતા તેને પણ ફેઈલ જાહેર કરીને બન્ને વેપારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
વધુ પાંચ સ્થળેથી ડ્રાયફ્રૂટના ૧૦ નમૂના લેવાયા
ડ્રાયફ્રૂટમાં ભેળસેળની આશંકાને પગલે ફૂડ શાખા દ્વારા આર્યસમાજ રોડ પર પરિવાર પાર્ક કોર્નર પાસે આવેલા વરુડી ટે્રડર્સમાંથી બદામ (લુઝ), અમીન માર્ગ પર જીઆરવી એન્ટરપ્રાઈઝમાંથી લાયન ડીલિસીયસી ડેટસ, રાજનગર મેઈન રોડ પર ગોલ્ડન સુપર માર્કેટમાંથી અંજીર-પીસ્તા, ચંદન સુપર માર્કેટમાંથી કીસમીસ, કાજુ, બદામ સહિતના નમૂના લેવાયા હતા.