શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલ શિક્ષણ વિભાગમાં સંપૂર્ણપણે નાપાસ
શિક્ષણમંત્રીએ એકપણ યુનિવર્સિટીમાં કુલપતિ ન નીમ્યા હોવાનો પૂર્વ સિન્ડિકેટ મેમ્બર ધરમ કાંબલિયાનો આરોપ
રાજ્યના રાજયના શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલે ગુજરાત રાજયની એકપણ યુનિવર્સિટીમાં કુલપતિ તરીકે નિમણૂંક ન કરીને ગુજરાતના શિક્ષણને ૫૦ વર્ષ પાછળ ધકેલી દીધું હોવાનો આરોપ લગાવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ મેમ્બર ધરમ કાંબલિયાએ જણાવ્યું હતું કે, રાજય સરકારના કર્મચારી માટે જૂની પેન્શન યોજનાની જાહેરાતમાં પણ ઋષિકેશ પટેલ જીતુભાઈ વાઘાણીનું પુનરાવર્તન ન કરે તો કર્મચારીઓ માટે સારું ગણાશે.
પૂર્વ સિન્ડિકેટ મેમ્બર ધરમ કાંબલિયાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજયમાં છેલ્લા ઘણા સમયથી કોઈપણ જાતની શિક્ષણની સૂઝ ન ધરાવનાર શિક્ષણમંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા ઉચ્ચ શિક્ષણમાં તેમજ વિશ્વ વિદ્યાલયમાં અધિકારીઓ તથા કુલપતિઓની નિમણૂંકમાં સંપૂર્ણ નાપાસ જાહેર થયેલ છે. તેમના એકપણ નિર્ણયથી ગુજરાતના વિદ્યાર્થીઓને કે શિક્ષણ જગતને કોઈ ફાયદો આજદિન સુધી થયેલ નથી. ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા નિમ્નકક્ષાએ પહોંચાડી દીધેલ હોવાનું જણાવ્યું હતું.
વધુમાં પારાવાર ભ્રષ્ટાચાર, ભરતી હોય કે ટેન્ડરો તેમજ શિક્ષણ નીતિને નામે લાખો રૂપિયાનો ખર્ચો કરવો તેમજ ઉચ્ચ શિક્ષણમાં વિદ્યાર્થીઓના શિક્ષણ માટે પ્રોફેસરો કેટલું શિક્ષણ કાર્ય કરે છે તેમજ જીએનએમ તેમજ નર્સિંગ તથા પેરા મેડીકલની મંજુરીમાં તથા યુજીસીના અભ્યાસક્રમમાં ઘોર બેદરકારી ચાલટી હોવાનો આરોપ લગાવી ઋષિકેશભાઈ પટેલની નિષ્ફળતાને કારણે શિક્ષણ ઉપર કોઈપણ જાતનો કાબુ રહ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. સાથે જ ભકત કવિ નરસિંહ મહેતાના નામે ચાલતી જુનાગઢની યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે પણ કવોલીફાઈડ ન હોય તેવા ચેતન ત્રિવેદી સાત-સાત વર્ષથી કુલપતિનો હોદો ભોગવે છે. તેમજ અગાઉ કુલપતિ તરીકે ઘણી ખોટી નિમણૂંકો કરેલ હોવાનું જણાવ્યું હતું.
ઉપરાંત યુનિવર્સિટીઓમાં તો અંધેરી નગરી ગંડુ રાજા જેવી હાલત કુલપતિઓ પાસે કોઈપણ જાતનો અનુભવ ન હોય તથા રાજયની વડી અદાલતમાં તેમની વિરૂદ્ધ કેસ ચાલતા હોય તથા ઈન્ચાર્જ કુલપતિઓની ટર્મ આઠ-આઠ વર્ષ સુધી થઈ ગઈ હોવા છતાં આ મહાશય નિમણૂંક હજુ નથી કરી શકતા નથી ત્યારે આવા શિક્ષણમંત્રી પાસે શિક્ષણ જગત શું આશા રાખી શકે? આ સંજોગોમાં મુખ્યમંત્રીને રજુઆત કરી ધરમ કાંબલિયાએ મુખ્યમંત્રીને આવા મંત્રીઓ પાસેથી ચાર્જ લઈને કોઈ શિક્ષણ સાથે અને શિક્ષણની ચિંતા કરવાવાળા સારા ધારાસભ્યને મંત્રી બનાવવા જોઈએ. નહિતર રાજયનું શિક્ષણ કેટલા નંબરે જશે તે કોઈ જાણી શકશે નહીં તેમ અંતમાં જણાવ્યું હતું.