જોખમી મકાન-હોર્ડિંગ બોર્ડ દૂર કરવામાં કોઈની શરમ ન રાખતાં
ચોમાસું બેસે તે પહેલાં જ મનપાના તમામ અધિકારીઓ સાથે બેઠક કરતાં સ્ટેન્ડિંગ ચેરમેન
વરસાદી પાણીનો સુચારું નિકાલ થાય તેવી વ્યવસ્થા અત્યારથી જ કરવા લાગો
દવાનો પૂરતો સ્ટોક રાખવા તેમજ રોગચાળો ફાટી ન નીકળે તે જોવા ખાસ તાકિદ
ચોમાસું એકદમ ઢુકડું આવી ગયું છે અને ગમે ત્યારે વરસાદ પડવાનું શરૂ થઈ જશે ત્યારે તે દરમિયાન કોઈ પ્રકારની દૂર્ઘટના આકાર ન લઈ જાય તે માટે અત્યારથી જ તૈયારી શરૂ કરી દેવામાં આવ્યું છે. દરમિયાન મહાપાલિકાની તમામ શાખાના અધિકારીઓ સાથે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે બેઠક બોલાવી હતી જેમાં જોખમી જણાતાં મકાન અને હોર્ડિંગ બોર્ડ સહિતના માંચડા દૂર કરવામાં કોઈની શેહ-શરમ નહીં રાખવા આદેશ આપવામાં આવ્યો હતો.
આ ઉપરાંત વરસાદી પાણીનો અવરોધ વગર નિકાલ થાય તે માટે વોંકળાઓની પૂરતી સફાઈ રાખવા, સ્ટોર્મ વોટર ડે્રનેજ સ્ક્રીન ચેમ્બર, ડે્રનેજ મેનહોલ સહિતની સફાઈ, જે સ્થળે વરસાદી પાણી ભરાતું હોય તે સ્થળેથી પાણીનો નિકાલ કરવા માટેના પંપ તૈયાર રાખવા, ચોમાસા દરમિયાન આરોગ્ય શાખા દ્વારા લોકોને પ્રાથમિક સારવાર અને દવા મળી રહે તેની ખાસ વ્યવસ્થા, મેલેરિયા અને ડેંગ્યુ સહિતનો રોગચાળો ન ફેલાય તેની ખાસ તકેદારી રાખવા આરોગ્ય શાખાને સુચના આપવામાં આવી હતી.
ખાસ કરીને વરસાદ વખતે નીચાણવાળા વિસ્તારોના અસરગ્રસ્ત લોકોનું સ્થળાંતર કરવા માટેની આગોતરી તૈયારી વહેલી તકે પૂર્ણ કરી લેવા અને શહેરમાં ક્યાંય પણ ભયજનક વૃક્ષો જોવા મળે તો તેને દૂર કરવા આદેશ અપાયો હતો.