કાળની ક્રૂર રમત: બે ટ્રક વચ્ચે બે કારનો બુકડો: ૪ મોત
- એક બ્રેકે ૪ પરિવારનો માળો પીંખી નાખ્યો: રાજકોટની ભાગોળે માલિયાસણ હાઇ-વે પર અકસ્માત
- મહારાષ્ટ્ર પાસિંગના કારે અચાનક બ્રેક મારતાં સુરેન્દ્રનગરથી રાજકોટ અપડાઉન કરતા ચાર મિત્રોની બલેનો કાર તેની પાછળ ઘૂસી, ત્યારબાદ ચોટીલાથી બીજ ભરીને આવતાં પિતા-પુત્ર સહિત ચાર લોકોની એસન્ટ કાર બલેનો પાછળ અને તેની પાછળ બીજો મહાકાય ટ્રક અથડાતાં ત્રણના ઘટનાસ્થળે જ મોત: ચાર ઘાયલ: `સેન્ડવિચ’ બની ગયેલી કારને ક્રેઈનની મદદથી બહાર કાઢવી પડી: લોકોના ટોળેટોળાં ઉમટ્યા: મૃત્યુ પામેલામાં કોઈ જીમ ટે્રનર, કોઈ ગેરેજ સંચાલક
અકસ્માત માટે `કુખ્યાત’ બની ગયેલા રાજકોટ-માલિયાસણ હાઈ-વે પર વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાતાં ચાર આશાસ્પદ યુવકોના મોત નિપજ્યા હતા. વહેલી સવારે બનેલી આ ઘટનાને કારણે હાઈ-વે મોતની ચીચીયારીઓથી ગુંજી ઉઠ્યો હતો. બીજી બાજુ આ અકસ્માત પાછળનું મુખ્ય કારણ એક બ્રેક જ બની છે અને તેના લીધે જ ચાર-ચાર પરિવારોમાં અત્યારે કરુણ કલ્પાંત વ્યાપી જવા પામ્યો છે. બીજી બાજુ અકસ્માતમાં ચાર લોકો ઘાયલ થતાં તેમને રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગેની જાણવા મળતી વિગતો પ્રમાણે માલિયાસણ હાઈ-વે પર વહેલી સવારે મહારાષ્ટ્ર પાસિંગનો ટ્રક નં.એમએચ૧૩-ઈએફ-૬૦૪૫ રાજકોટ આવી રહ્યો હતો જેણે અચાનક જ બ્રેક મારતાં તેની પાછળ બલેનો કાર નં.જીજે૧૩એઆર-૭૩૭૩ ઘૂસી ગઈ હતી. બલેનો કારમાં રહેલા હેમેન્દ્રસિંહ કિરીટસિંહ જાડેજા (ઉ.વ.૪૬, રહે.સુરેન્દ્રનગર), રાજુ સનાજી પરમાર (ઉ.વ.૪૦, રહે.જોરાવનગર) મોતને ભેટ્યા હતા જ્યારે અન્ય બે લોકો યુવરાજસિંહ પરમાર અને જીજ્ઞેશ નામની વ્યક્તિ ઘાયલ થઈ હતી. આ ચાર પૈકી હેમેન્દ્રસિંહ જાડેજા ગોંડલ ચોકડી પાસે ગાડીના શો-રૂમમાં, રાજુ પરમાર રાજકોટમાં કડિયાકામ, યુવરાજસિંહ રાજકોટની પી.શૈલેષ આંગડિયા પેઢીમાં નોકરી કરતા હોવાથી દરરોજ સુરેન્દ્રનગરથી રાજકોટ અપડાઉન કરતા હતા.

ટ્રક પાછળ બલેનો કાર ઘૂસી જતાં તેની પાછળ રાજકોટ પાસીંગની જીજે૩બીએ-૨૦૩૨ નંબરની એસેન્ટ કાર ઘૂસી ગઈ હતી જેના કારણે અંદર બેઠેલા હિરેન વશરામભાઈ સગપરિયા (ઉ.વ.૪૫, રહે.મનહરપ્લોટ), પાર્થ ભરતભાઈ સોલંકી (ઉ.વ.૨૦)નું મૃત્યુ નિપજ્યું હતું જ્યારે નીખીલ મોઢા (ઉ.વ.૨૧, રહે.નાનામવા) અને પાર્થના પિતા ભરતભાઈ સોલંકીને ઈજાઓ થતાં તેમને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જાણવા મળ્યા પ્રમાણે ચારેય લોકો ચોટીલાથી બીજ ભરીને રાજકોટ આવી રહ્યા હતા ત્યારે જ આ ઘટના બની હતી.
એકંદરે મહારાષ્ટ્ર પાસીંગના એક ટ્રકે અચાનક જ બ્રેક મારતા તેની પાછળ બલેનો કાર, ત્યારબાદ એસન્ટ કાર અને ત્યારપછી પાછળ આવી રહેલો એક ટ્રકે એસન્ટ કારને ઠોકર મારતાં બે ટ્રકની વચ્ચે બે કાર રીતસરની ચગદાઈ ગઈ હતી જેના કારણે તેને બહાર કાઢવા માટે ક્રેઈનની મદદ લેવી પડી હતી.

હાઇ-વે પર ૩ કિ.મી. ટ્રાફિકજામ
માલિયાસણ હાઈ-વે ઉપર વહેલી સવાર બે ટ્રક વચ્ચે બે કાર ચગદાઈ જવાને કારણે ચાર લોકોના કરુણ મૃત્યુ નિપજ્યા હતા તો ચાર લોકો ઘાયલ થયા હતા. એકંદરે અકસ્માતને લીધે હાઈ-વે ઉપર બેથી ત્રણ કિલોમીટરનો ટ્રાફિકજામ થઈ જતાં પોલીસે મૃતદેહો તેમજ ઘાયલોને બહાર કાઢવાની સાથે સાથે ટ્રાફિક ક્લિયર કરાવવા માટે પણ લાંબી મહેનત મશ્ક્કત કરવી પડી હતી.
ચાર સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી
જાણવા મળ્યા મુજબ બીજ ભરીને રાજકોટ આવી રહેલા હિરેત વશરામભાઈ સગપરીયાને એક પુત્ર તેમજ સુરેન્દ્રનગરથી દરરોજ રાજકોટ અપડાઉન કરતા હેમેન્દ્રસિંહ કિરીટસિંહ જાડેજાને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર હોવાનું ધ્યાન પર આવ્યું છે. આ બન્નેના મૃત્યુ નિપજતાં ચાર બાળકોએ પિતાની છત્રછાંયા ગુમાવી છે. આવી રીજે મૃતક પાર્થ સોલંકી મારવાડી કોલેજમાં અભ્યાસ કરવાની સાથે સાથે નાનામવા રોડ પર આવેલા જીમમાં જીમ ટે્રનર તરીકે નોકરી કરતો હોવાનું ધ્યાન પર આવ્યું છે.