ગુનેગારો પોલીસના કંટ્રોલ’માં !! સાયબર ક્રાઈમ સૌથી મોટો પડકાર: DGP
રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની હાજરીમાં રાજકોટમાં યોજાઈ ક્રાઈમ કોન્ફરન્સગુજરાતમાં આ વર્ષે હત્યા, હત્યાના પ્રયાસ, મારામારી, લૂંટ, ચોરી, ઘરફોડ ચોરી સહિતના બનાવોમાં ઘટાડો નોંધાયો
ચરસ-ગાંજા-ડ્રગ્સની હેરાફેરીમાં ઉછાળો: ગુનેગારો ખો ભૂલી જાય તેવો સબક શિખવવા પોલીસને આદેશ
વ્યાજખોરો વિરુદ્ધ સઘન ઝુંબેશને પગલે એક મહિનામાં ૩૮ ગુના નોંધી ૬૦ને જેલભેગા કર્યા
તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ થકી ૧૪૭ કરોડનો મુદ્દામાલ પરત અપાવ્યો
પોલીસ-પ્રજા વચ્ચે કાયમી સેતુ જળવાઈ રહે તે માટે અધિકારીથી લઈ કોન્સ્ટેબલે સજ્જ રહેવું પડશે
રાજ્ય પોલીસવડા વિકાસ સહાયના અધ્યક્ષસ્થાને રાજકોટમાં રાજ્યકક્ષાની ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં ટોચના પોલીસ અધિકારીઓએ ભાગ લઈ ગુનાખોરીમાં ઘટાડો કેવી રીતે કરવો તેને લઈને મંથન કર્યું હતું. અંદાજે સાત કલાકથી વધુ સમય સુધી ચાલેલી આ બેઠકમાં અનેક મુદ્દે વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો. આ પછી યોજાયેલી પત્રકાર પરિષદને સંબોધન કરતાં ડીજીપી વિકાસ સહાયે જણાવ્યું હતું કે પાછલા વર્ષની તુલનાએ આ વર્ષે ગુજરાતમાં ગુનાખોરીમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો છે. સાથે સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે પોલીસ માટે અત્યારે સૌથી મોટો કોઈ પડકાર હોય તો તે સાયબર ક્રાઈમ છે.
ગુનાના આંકડા જાહેર કરતાં ડીજીએ કહ્યું કે પાછલા વર્ષની સરખામણીએ આ વર્ષે હત્યાના ગુનામાં ૩૪નો ઘટાડો થયો છે. આ જ રીતે હત્યાના પ્રયાસના ગુનામાં ૧૪૧, સામાન્ય ઈજામાં ૧૯૬, ધાડના ગુનામાં ૩૪, લૂંટના ગુનામાં ૩૬, ચોરીના બનાવોમાં ૩૮૫૩, ઘરફોડ ચોરી (દિવસે)માં ૬૬, ઘરફોડ ચોરી (રાત્રે)માં ૪૧૨, મહિલા-બાળકો સાથેના ગુનામાં ૩૮૯, પોક્સોના ગુનામાં ૫૦, એટ્રોસિટીના ૭૧ ગુના ઓછા નોંધાયા છે. જ્યારે ચરસ-ડ્રગ્સ-ગાંજા સહિતના નશીલા દ્રવ્યોની હેરાફેરીના કેસમાં ૧૨નો વધારો થવા પામ્યો છે.
તેમણે ઉમેર્યું કે વ્યાજખોરો વિરુદ્ધ સઘન ઝુંબેશ ચલાવાઈ રહી છે જેના કારણે એક મહિનાની અંદર રાજ્યમાં ૩૮ ગુના નોંધીને ૬૦ વ્યાજખોરોને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યા હતા.
સાયબર ક્રાઈમ અંગે ડીજીએ જણાવ્યું કે રિફંડ અપાવવામાં ગુજરાત આખા દેશમાં નંબર વન છે. ગત એક મહિનામાં પોલીસે ૧૪.૭૧ કરોડ રૂપિયાની રકમ પરત અપાવી હતી તો ચાલું વર્ષે ૧૦૮ કરોડ રૂપિયા પરત અપાવ્યા છે. જો કે સાયબર જાગૃતિ અત્યંત જરૂરી છે એટલા માટે જ સાયબર માફિયાઓથી લોકોએ બચીને રહેવું પડશે. આ માટે પોલીસ દ્વારા પણ અલગ-અલગ પ્રકારે ઝુંબેશ ચલાવાઈ રહી છે.
પોલીસ અને પ્રજા વચ્ચે વિશ્વાસનો સેતુ જળવાઈ રહે તે માટે ત્રણ વાત તમારી, ત્રણ વાત અમારી, તેરા તુજકો અર્પણ સહિતના કાર્યક્રમ ચલાવાઈ રહ્યા છે જે અંતર્ગત ગુજરાતમાં એક મહિનાની અંદર તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ૧૪૭ કરોડનો મુદ્દામાલ પરત અપાવાયો હતો. આ જ રીતે ત્રણ વાત તમારી, ત્રણ વાત અમારી ઝુંબેશ અંતર્ગત ૧૪૨૮ કાર્યક્રમ કરવામાં આવ્યા હતા.
આ સેતુ જળવાઈ રહે તે માટે કોન્સ્ટેબલથી લઈ અધિકારી સુધીના તમામની જવાબદારી છે અને તે ક્યારેય ન ચૂકાય તેનું ખાસ ધ્યાન રાખવા પણ ડીજીએ ટકોર કરી હતી.
૮૬૪૦ આરોપી ઉપર અત્યારે ૮૬૪૦ પોલીસ રાખે છે બાજનજર' ડીજીપીએ જણાવ્યું કે નાર્કોટિક્સ, પ્રોહિબિશન સહિતના એકથી વધુ ગુના આચરી ચૂકેલા આરોપીઓ ફરી આ ગોરખધંધામાં સામેલ ન થઈ જાય તે માટે પોલીસ દ્વારા
મેન્ટોર’ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. આ અંતર્ગત ૮૬૪૦ લોકો કે જેમના ઉપર અગાઉ ગુના નોંધાઈ ચૂક્યા છે તેમના ઉપર `બાજનજર’ રાખવા માટે ૮૬૪૦ પોલીસ જવાનો મેન્ટોર તરીકે કાર્યરત છે.
અરજીઓ કાયદાના દાયરામાં લઈને જ લેવાય છે, દરેક અરજી પર ગુનો ન નોંધી શકાય
રાજકોટ સહિત ગુજરાતના તમામ પોલીસ મથકોમાં છેલ્લા ઘણા સમયથી અરજીઓ લેવાનું પ્રમાણ વધી ગયું હોવા અંગે ડીજીપીએ જણાવ્યું કે તમામ પ્રકારની અરજીઓ કાયદાના દાયરામાં લઈને જ લેવામાં આવે છે. અરજીની બારીકાઈથી તપાસ કર્યા બાદ ગુના નોંધવા સહિતની કાર્યવાહી કરાય છે. એકંદરે દરેક અરજીના આધારે ગુનો નોંધી શકાતો ન હોવાનું પણ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.
પોલીસ સ્ટેશનને `સુધારવા’ માટે દરેક અધિકારી માટે ચાર દિ’નું ઈન્સપેક્શન ફરજિયાત
ડીજીએ એમ પણ જણાવ્યું હતું કે પોલીસ સ્ટેશનની કામગીરીમાં સુધારો લાવવા માટે દર મહિને ઉચ્ચ અધિકારીઓ દ્વારા ચાર દિવસ સુધી ઈન્સ્પેક્શન કરવાનો નિયમ અમલમાં છે. આ રીતે જિલ્લા પોલીસ વડા દ્વારા ૧૩૦ જેટલા નાઈટ હોલ્ટ મતલબ કે જે તે પોલીસ સ્ટેશનમાં જ રોકાણ કરવામાં આવ્યું હતું અને આ રીતે ૩૫૦૦થી વધુ ગામડા ખૂંદવામાં આવ્યા છે.