સીપીઆરની તાલીમ કામ લાગી, જુનાગઢમાં પુનાના વૃદ્ધને જીઆરડી જવાને નવજીવન આપ્યું
એટેક આવ્યા બેભાન થઇ જતા પમ્પિંગ કરી ફરી હૃદય ધબકતું કર્યું
જૂનાગઢ પ્રવાસે આવેલા એક વૃદ્ધ ગિરનાર તળેટી ભવનાથમાં અચાનક હ્રદય રોગનો હુમલો આવ્યો હતો દર્દીની વ્હારે આવેલ ફરજ પર હાજર એક જીઆરડી જવાને બંધ પડેલું હદય ફરી ધબકતું કર્યું હતું. ગિરનાર દર્શને આવેલા ભક્ત માટે આ જીઆરડી જવાન દેવદૂત બન્યો હતો.
મહારાષ્ટ્રના પુણેથી દિલીપભાઈ કોંઢે અને પત્ની નિર્મલાબેન શ્રાવણ માસમાં ભવનાથ ખાતે દર્શનાથે આવ્યા હોય ત્યારે ગિરનાર પર્વત પર દર્શન કરી પરત ફરતા હતા તે સમયે અચાનક જ દિલીપભાઈને હાર્ટ એટેક આવ્યો હતો અને તે ઢળી પડ્યા હતા. લોકોના ટોળા ભેગા થઇ જતા તેમના પત્ની નિર્મલાબેન એકદમ ગભરાઈ ગયા અને આસપાસના લોકો પાસેથી મદદની પોકાર કરી હતી, ત્યાં ફરજ ઉપર હાજર જીઆરડી જવાન મનજીભાઈ મકવાણા દોડી આવ્યા હતા અને તપાસ કરી તો જાણવા મળ્યું કે દિલીપભાઈના શ્વાસોશ્વાસ ધીમા પડી ગયા છે. મનજીભાઈ મકવાણાએ કોઈ વિલંબ વગર વૃદ્ધને સીપીઆર સારવાર આપવાનું શરુ કર્યું હતું. અને થોડી જ વારમાં દિલીપભાઈ ભાનમાં આવ્યા અને તેમને વધુ સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
દિલીપભાઈ કોંઢે અને તેમના પરિવારે જી.આર.ડી જવાન મનજીભાઈ મકવાણાનો આભાર માન્યો હતો ગુજરાતભરના તમામ પોલીસ અને જીઆરડીને તાજેતરમાં જ સીપીઆરની તાલીમ અપાઈ હોય મનજીભાઈએ લીધેલી આ તાલીમ કામ લાગી હતી અને એક પરિવારની એક મહામૂલી જિંદગી બચી હતી. જીઆરડીની આ કામગીરીને પોલીસ અધિકારીઓએ પણ બિરદાવી છે.