બટર-આઈસ્ક્રીમના નમૂનામાં ભેળસેળ ત્રણ મહિને ખૂલી !
ફૂડ શાખાએ વિરાણી ગ્રાઉન્ડમાં ઉભા રહેતા ધ સેન્ડવિચ અડ્ડા, મહાદેવવાડી મેઈન રોડ પર ડિલાઈટ આઈસ્ક્રીમ, નાનામવા રોડ પર ક્રિમઝેન આઈસ્ક્રીમમાંથી લીધા’તા નમૂના
ત્રણ મહિનાની અંદર ત્રણેય જગ્યાએથી ઢગલામોઢે વેચાણ થઈ ગયા બાદ હવે ખબર પડી કે તેમાં તો ભેળસેળ હતી !
રાજકોટ મહાપાલિકાની ફૂડ શાખા સપ્તાહમાં બે વખત ફૂડ ચેકિંગ કરે છે અને દર વખતે ખાણીપીણીમાં કોઈ ભેળસેળ છે કે નહીં તેની ખરાઈ કરવા માટે નમૂના લઈને લેબોરેટરીમાં પરિક્ષણ અર્થે મોકલવામાં આવે છે. જો કે ભેળસેળ છે કે નહીં તેનો ખુલાસો છેક ત્રણ-ત્રણ મહિને થતો હોવાથી ત્યાં સુધીમાં જે વાનગીનો નમૂનો લેવાયો હોય તે વાનગીનું ઢગલામોઢે વેચાણ થઈ ગયું છે ! આવું જ કંઈક બન્યું છે. ફૂડ શાખાએ ત્રણ મહિના પહેલાં વિરાણી ચોક, ઉમાકાંત પંડિત ઉદ્યોનગર તેમજ નાનામવા રોડ પર સિલ્વર હાઈટસ સામે ક્રિમઝેન આઈસ્ક્રીમમાંથી નમૂના લીધા હતા જેમાં ભેળસેળ હોવાનો રિપોર્ટ આવતાં હવે ધંધાર્થી સામે કેસ કરવામાં આવશે.
ફૂડ શાખા દ્વારા વિરાણી સ્કૂલના ગ્રાઉન્ડમાં ઉભા રહેતા ધ સેન્ડવિચ અડ્ડા નામના ફૂડ ટ્રકમાંથી બટર (લુઝ)નો નમૂનો લીધો હતો જેમાં વેજીટેબલ ઓઈલની હાજરી મળી હતી. આ ઉપરાંત ઉમાકાંત પંડિત ઉદ્યોગનગર, મહાદેવવાડી મેઈન રોડ પર ગઢીયા એસ્ટષટમાં આવેલા ડિલાઈટ આઈસ્ક્રીમના પાન મસાલા આઈસ્ક્રીમમાં મિલ્ક ફેટનું પ્રમાણ ઓછું મળ્યું છે. આ જ રીતે નાનામવા રોડ પર ક્રિમઝેન આઈસ્ક્રીમના કેશર પીસ્તા આઈસ્ક્રીમમાં મિલ્ક ફેટનું પ્રમાણ ઓછું તેમજ સ્ટ્રોબ્રેરી આઈસ્ક્રીમમાં પણ મિલ્કફેટનું પ્રમાણ નિયમ કરતા ઓછું મળતાં ચારેય સામે કેસ કરાયો છે.