ભારત માતા કી જય…રાજકોટ આજે બનશે ‘તિરંગુ’
બહુમાળી ચોકથી જ્યુબિલી સુધીના રૂટને તિરંગાથી શણગારી દેવાયો: સવારે ૯ વાગ્યાથી યાત્રા થશે શરૂ
મુખ્યમંત્રી, કેન્દ્રીય આરોગ્ય મંત્રી-રાષ્ટ્રીય પ્રમુખ નડ્ડા, કેન્દ્રીય મંત્રી-પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતનાની ઉપસ્થિતિ
એક લાખથી વધુ લોકો તિરંગા સાથે રહેશે હાજર
સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે આજે રાજકોટ મહાપાલિકા દ્વારા ૧.૭ કિલોમીટરની તિરંગા યાત્રા નીકળશે. એકંદરે સવારે ૯થી ૧૧ વાગ્યા સુધીના બે કલાક દરમિયાન આખું રાજકોટ
તિરંગુ’ બની જશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી કેમ કે આ યાત્રામાં એક લાખથી વધુ લોકો હાજર રહેશે.
આ યાત્રા બહુમાળી ચોક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાથી શરૂ થઈ જ્યુબિલી ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમાએ સંપન્ન થશે. સમગ્ર રૂટને તિરંગાથી અનેરો શણગાર આપી દેવામાં આવ્યો છે. આ યાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી-ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડા, કેન્દ્રીય મંત્રી-પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપરાંત રાજકોટના પ્રભારી મંત્રી રાઘવજી પટેલ સહિતના મંત્રીઓ ઉપરાંત શહેરના તમામ ધારાસભ્યો-સાંસદો સહિતના ઉપસ્થિત રહેશે.
આ યાત્રામાં સામેલ થનાર દરેક વ્યક્તિને તિરંગા વિતરણ કરવામાં આવનાર હોવાથી એક લાખ જેટલા લોકો તિરંગો લઈને યાત્રામાં સામેલ થશે. દરમિયાન યાત્રામાં સામેલ લોકોમાં દેશદાઝ જાગે તે માટે રૂટ પર અલગ-અલગ જગ્યાએ દેશભક્તિના ગીતો પણ વાગશે. આ યાત્રાની તૈયારીના ભાગરૂપે મહાપાલિકાના પદાધિકારીઓ-અધિકારીઓ દ્વારા સ્થળ વિઝિટ કરીને તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવ્યો હતો.
૭ જગ્યાએ પાર્કિંગ, ૯ રસ્તા સવારે ૭થી ૧૧:૩૦ સુધી રહેશે બંધ
આજે યોજાનારી તિરંગા યાત્રા અંતર્ગત ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જે પ્રમાણે યાત્રામાં સામેલ થનારા લોકો માટે ૭ સ્થળે પાર્કિંગની વ્યવસ્થા કરાઈ છે તો ૯ રસ્તા સવારે ૭થી ૧૧:૩૦ વાગ્યા સુધી બંધ રહેનાર હોવાનું જણાવાયું છે.
કયા રસ્તા બંધ રહેશે
- પોલીસ હેડ ક્વાર્ટરથી બહુમાળી ભવન ચોક તરફનો રસ્તો
(વૈકલ્પિક રસ્તો: જૂના એનસીસી ચોકથી કિશાનપરા ચોક અને ચિન્નોઈ માર્ગથી ટ્રાફિક શાખા) - ટ્રાફિક પોલીસ કચેરીથી ચાણક્ય બિલ્ડિંગ ચોકથી બહુમાળી ચોક સુધીનો રસ્તો
(વૈકલ્પિક રસ્તો: શ્રોફ રોડથી ટ્રાફિક શાખા અને ત્યાંથી પોલીસ હેડ ક્વાર્ટર સર્કલ) - શારદાબાગ સર્કિટ હાઉસ આઉટ ગેઈટથી ચાણક્ય બિલ્ડિંગ ચોક તરફનો રસ્તો
(વૈકલ્પિક રસ્તો: ગલેક્સી ૧૨ માળ બિલ્ડિંગથી જિલ્લા પંચાયત ચોક) - જામટાવર પીજીવીસીએલ કચેરીથી ધરમ સિનેમા ચોક તરફ જવાનો રસ્તો
(વૈકલ્પિક રસ્તો: ટ્રાફિક શાખાથી પોલીસ હેડ ક્વાર્ટર સર્કલ તેમજ જામટાવર ચોકથી હોસ્પિટલ ચોક, ધરમ સીનેમા જવા માંગતા વાહન સદર બજાર ફૂલછાબ ચોકથી જઈ શકશે) - હોસ્પિટલ ચોકથી ચૌધરી હાઈસ્કૂલ ચોક તરફનો રસ્તો
(વૈકલ્પિક રસ્તો: હોસ્પિટલ ચોકથી કોર્ટ ચોક, લીમડા ચોક અને સદર રોડથી હોસ્પિટલ ચોક જઈ શકાશે) - હોસ્પિટલ ચોકથી લવલી ગેસ્ટ હાઉસ અરવિંદભાઈ મણિયાર હોલ જવાનો રસ્તો
(વૈકલ્પિક રસ્તો: લોટરી બજારથી હોસ્પિટલ ચોક) - ભાભા ગેસ્ટ હાઉસથી જ્યુબિલી ચોક તરફનો રસ્તો
(વૈકલ્પિક રસ્તો: પંચનાથ મેઈન રોડ તરફ તેમજ દીપ રોડવેઈઝથી ઢેબર રોડ વન-વે) - પારેવડક્ષ ચોક તરફથી આવતી તેમજ એસ.ટી.બસપોર્ટ જવા માંગતી તમામ બસ હોસ્પિટલ ઓવર બ્રિજના સર્વિસ રોડથી પસાર થઈ શકશે
યાત્રામાં સામેલ થનારા લોકો માટે પાર્કિંગ ક્યાં થશે
પાર્કિંગ સ્થળ વાહન
નહેરુ ઉદ્યાન, બહુમાળી ભવન સામે પ્રવેશ, કિશાનપરા ચોક વીઆઈપી
બાલભવન ગેઈટથી આર્ટ ગેલેરી સુધીના રસ્તા ઉપર મોટર સાઈકલ-કાર
રેસકોર્સ મેળા ગ્રાઉન્ડ બસ તેમજ મોટર સાઈકલ-કાર
ચૌધરી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ બસ, ટુ-વ્હીલર, ફોર-વ્હીલર
શાસ્ત્રી મેદાન બસ, ટુ-વ્હીલર, ફોર-વ્હીલર
બહુમાળી ભવન પ્રવેશ સરકારી ક્વાર્ટરવાળો ગેઈટ કાર, મોટર સાઈકલ, સાઈકલ
મહાત્મા ગાંધી મ્યુઝિયમ કાર, મોટર સાઈકલ, સાઈકલ