અંધારું થતાં જ દીપડો બહાર આવે છે : હજારો લોકો દહેશતમાં
- વનવિભાગનું સતત પેટ્રોલિંગ છતાં માત્ર દીપડાના ફૂટ માર્ક જ મળ્યા છે
- ત્રણ સ્થળે પિંજરા મુકીને દીપડાની ‘ધરપકડ’નો પ્લાન
- યુનિવર્સિટી વિસ્તારની નોનવેજની લારીઓ બંધ કરાવવા વનવિભાગની કવાયત
રાજકોટની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડાએ ધામા નાખ્યા છે અને વનવિભાગના સતત પેટ્રોલિંગ અને પાંજરા મુકાયા હોવા છતાં દીપડો હાથ આવ્યો નથી તેથી લોકોમાં દહેશત છવાયેલી છે. આ ગ્રામ્ય વિસ્તારમાં અંધારું થતા જ દીપડો બહાર આવે છે અને મારણ કરે છે તેથી લોકો રાત્રે નીકળતા પણ ડરી રહ્યા છે. રાજકોટની ભાગોળે કણકોટના કૃષ્ણનગર વિસ્તારમાં દીપડાએ મારણ કર્યાનું સામે આવ્યું છે. અહી દીપડાએ સ્વાનનું મારણ કરતા વન વિભાગની ટીમ દ્વારા પાંજરું મૂકવામાં આવ્યું છે. તો બીજી બાજુ નોનવેજની દુર્ગંધને કારણે પણ દીપડો આવા વિસ્તારમાં પહોંચી જતો હોય વન વિભાગ યુનિવર્સિટી પાસે ઊભી રહેતી ઈંડાની રેકડીઓ બંધ કરાવવા માટે પોલીસને લેખિતમાં જાણ કરશે તેવુ રાજકોટના મદદનીશ વન સંરક્ષકે જણાવ્યું હતું.
‘વોઇસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં મદદનીશ વન સંરક્ષકે જણાવ્યું હતું કે, લોકોને અપીલ કરવામાં આવી છે કે નૉનવેજનો ખોરાક ખાધા બાદ ખુલ્લામાં ન નાખવો કારણે તેની દુર્ગંધને કારણે પણ દીપડો ત્યાં આવી પહોંચતો હોય છે. જ્યારે મુંજકા-યુનિવર્સિટી વિસ્તારમાં દીપડાના ફૂટમાર્ક દેખાયા હોય યુનિવર્સિટી રોડ પર ઉભી રહેતી ઈંડાની રેકડીઓ બંધ કરાવવા વન વિભાગ દ્વારા પોલીસને લેખિતમાં જાણ કરવામાં આવશે.

રાજકોટ આસપાસના વાગુદડ, કણકોટ અને મુંજકા ગામમાં દીપડાએ દેખાદેતા ગ્રામ્ય વિસ્તારોના લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે. જે અંગે મદદનીશ વન સંરક્ષક એસ.ટી.કોટડીયાએ જણાવ્યું હતું કે, ત્રણ ગામમાં દીપડાના ફૂટમાર્ક દેખાયા છે. જેને લઈને જૂદ-જુદી ત્રણ જગ્યા કણકોટ સ્મશાન, ન્યારી ડેમ અને મુંજકા યુનિવર્સિટી પાસે આવેલા મેલડી માતાજીના મંદિર પાસે દીપડાને પકડવા માટે પાંજરા મૂકવામાં આવ્યા છે. તેમજ વન વિભાગના સ્ટાફ દ્વારા સતત સર્ચ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત હજુ વધુ પાંજરા મૂકવાની કામગીરી ચાલુ છે.
વન વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે કે, ગ્રામ્ય વિસ્તારમાં શક્ય હોય તો સાંજના સમયે નીકળવાનું બંધ કરવું, પશુપાલકોએ પોતાના પશુઓને બંધ વિસ્તારમાં રાખવા તેમજ જો ખુલ્લામાં રાખવામાં આવે તો તેમની આસપાસ ભઠ્ઠો કરીને રાખવો. ઉપરાંત લોકોને કહ્યું હતું કે, ખોટી અફવા ફેલાવવી નહિ અને અફવાઓથી ભરમાવવું નહિ. જો કોઈ વન્ય પ્રાણી દેખાય તો વન વિભાગને જાણ કરવી.
દીપડો પકડાય નહિ ત્યાં સુધી કાલાવાડ રોડ, યુની. રોડ પરની નોનવેજની લારીઓ બંધ કરાવવા કલેકટર સમક્ષ રજૂઆત
છેલ્લા કેટલાક દિવસોથી રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાએ ધામા નાખ્યા હોય અને નોનવેજની દુર્ગંધથી આકર્ષાઈને ત્યાં આવી છડતો હોય છે ત્યારે કાલાવડ રોડ અને યુનિવર્સિટી રોડ પરની નોનવેજની લારીઓ અને હોટેલ બંધ કરાવવા કલેકટર સમક્ષ એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયાના સભ્ય પ્રતિક સંઘાણીએ રજૂઆત કરી છે.
કલેકટર પ્રભવ જોશીને કરેલી રજૂઆતમાં પ્રતિક સંઘાણીએ જણાવ્યું હતું કે, કાલાવાડ રોડ, યુનિવર્સિટી વિસ્તારમાં દીપડો દેખાયો છે અને વન વિભાગે પણ આ પરિસ્થિતિની ગંભીરતા જોઈ ત્યાં નોનવેજનો કચરો ખુલ્લામાં ફેકવાની મનાઈ કરી છે. જેથી દીપડો દુર્ગંધથી આકર્ષાઈને આવે નહિ અને લોકો પર હુમલો ન કરે. યુનિવર્સિટી રોડ પર યુનિવર્સિટીના ગેટ પાસે, કાલાવાડ રોડ રંગોળી પાર્કથી આગળ અને હાઇ-વે પર અનેક નોનવેજ પીરસતી રેકડીઓ, હોટલ મોડી રાત સુધી ખુલ્લી રહે છે, ત્યાં લોકોની અવર-જવર પણ હોય છે. આવા સંજોગોમાં દીપડો નોનવેજ, મચ્છી, ઈંડાની દુર્ગંધથી આકર્ષાઈને હુમલો કરી શકે છે. માટે જ્યાં સુધી દીપડો પકડે નહિ ત્યાં સુધી આ તમામ જગ્યાએ નોનવેજની રેકડીઓ તથા હોટેલ બંધ કરાવવામાં આવે તેવી કલેકટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.