31 ઓક્ટોબરે ડીઇઓ કૈલા નિવૃત થઈ રહ્યા છે ત્યારે શિક્ષક વર્તુળોમાં ચાર્જ માટે શરૂ થઈ અટકળો
રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી 1 નવેમ્બરથી ચાલશે ઇન્ચાર્જ ભરોશે
જસદણના વિપુલ મહેતા અથવા બાઈ સાહેબબા ગર્લ્સ સ્કૂલના નમ્રતાબેનને ચાર્જ સોંપવા કવાયત
ધો.10 અને 12ની પરીક્ષાઓ નજીક છે ત્યારે જ રાજકોટમાં ડીઇઓની કાયમી નિમણૂક માટે પ્રશ્નાર્થ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચથી ધો.10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. શિક્ષણના હબ ગણાતા અને બોર્ડમાં સૌથી વધારે ઝળહળતી રાજકોટની શાળાઓનો સમાવેશ થાય છે ત્યારે આવા સંજોગોમાં જ સંભવિત રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીની તા.1 નવેમ્બરથી ખાલી પડનારી જગ્યા ઇન્ચાર્જ ભરોશે કાર્યરત થાય તેવી શિક્ષણ વર્તુળોમાં અટકળો શરૂ ગઈ છે. તા.31 ઓક્ટોબરના રોજ રાજકોટ જિલ્લાના ડીઇઓ બી.એસ. કૈલા નિવૃત થાય છે ત્યારે તેમની જગ્યાનો ચાર્જ કોને સોંપાસે તેના ઉપર રાજકોટ શિક્ષક સંઘની મીટ મંડાયેલી છે.
દરમિયાન એક ડીઇઓની જગ્યા માટે રાજ્યના શિક્ષણ વિભાગ તરફથી રાજકોટમાં કોઈ નિમણૂક શક્ય નથી ત્યારે હાલ તુરંત જસદણ ખાતે ફરજ બજાવતા વિપુલ મહેતા અથવા બાઈ સાહેબબા ગર્લ્સ હાઇસ્કૂલના નમ્રતા બેનને ચાર્જ સોંપાય તેવી શક્યતા પ્રબળ બની છે. રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી તરીકે પ્રશંસનીય કામગીરી બજાવનાર બી.એસ. કૈલાનો તા.26ના રોજ શિક્ષક સંઘ તરફથી વિદાય સમારંભ યોજવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દિવાળીના તહેવારો બાદ ધો.10 અને 12ના સામાન્ય પ્રવાહ, સાયન્સ પ્રવાહની પરીક્ષા માટેના ફોર્મ ભરવાનું શરૂ થઈ જશે. બીજી તરફ ડિસેમ્બરમાં પ્રિલિમ પરીક્ષા યોજાશે. તેની સાથોસાથ બોર્ડના વિદ્યાર્થી માટે ફોર્મ ભરવાના ધમધમાટના પગલે શાળાઓમાં પણ વિદ્યાર્થીઓમા બાકી રહેલા કોર્સને ઝડપી પૂરો કરવા શાળા તરફથી કવાયત શરૂ થઈ જશે. જેને ધ્યાનમાં રાખી દિવાળી બાદ શાળાઓમાં એકસ્ટ્રા ક્લાસ શરૂ કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે. જેનું ફોકસ ધો.12ના સાયન્સના વિદ્યાર્થીઓ પર વિશેષ રહેશે.