રાજકોટમાં રૂપાલા સામે પડનારા ક્ષત્રિયોમાં ‘ઘર ફૂટે ઘર જાય…’
આંદોલન એક બાજુ રહ્યું, સંકલન સમિતિ સામે આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થતાં ચકચાર
પી.ટી.જાડેજાએ કહ્યું, સંકલન સમિતિમાં એક ગદ્દાર છે, ટૂંક સમયમાં ઉઘાડો પાડીશ
પદ્મીનીબાએ કહ્યું, સમિતિના પાંચ લોકો કોંગ્રેસ સાથે ભળી ગયા છે
ભૂપતસિંહ જાડેજાએ કહ્યું, સંકલન સમિતિ સાચવવામાં નિષ્ફળ ગઈ
રમજૂભા જાડેજાએ કહ્યું, આ વિવાદ પૂરો થઈ ગયો છે
રાજકોટ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી પરસોત્તમ રૂપાલા દ્વારા રાજા-રજવાડાઓ વિશે અપાયેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં જોરદાર રોષ ભભૂકી ઉઠ્યો હતો. એકંદરે રાજકોટ સહિત સમગ્ર દેશમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. આટલી ગંભીર પરિસ્થિતિ વચ્ચે ગુજરાતમાં શાંતિપૂર્ણ મતદાન સંપન્ન થયું છે. જો કે જેવી ચૂંટણી પૂરી થઈ કે રૂપાલા સામે પડનારા ક્ષત્રિયોમાં
ઘર ફૂટે ઘર જાય’ જેવી સ્થિતિ નિર્માણ પામી જતાં આંદોલનના અસ્તિત્વ ઉપર સવાલ ઉપસ્થિત થવા લાગ્યા છે.
તાજેતરમાં જ આંદોલનનો મુખ્ય ચહેરો રહેલા પી.ટી.જાડેજાના નામે એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી જેમાં તેઓ એવું કહી રહ્યા છે કે સંકલન સમિતિમાં એક ગદ્દાર છે જેને હું ઉઘાડો પાડીશ. આ સમિતિથી શેકેલો પાપડ પણ ભાંગી શકે એમ નથી. આ ઉપરાંત તેમણે રાજીનામું આપી દેવાની ચિમકી પણ ઉચ્ચારી હતી. જો કે રવિવારે તેમણે આ અંગે ચોખવટ કરતાં કહ્યું હતું કે હું સંકલન સમિતિમાં જ છું અને રાજીનામું આપવાનો નથી.
આ ઉપરાંત આંદોલનમાં સામેલ ભૂપતસિંહ જાડેજાએ કહ્યું કે ઘણા લોકોને સંકલન સમિતિમાં સ્થાન આપવામાં આવ્યું નથી. હું, પદ્મીનીબા વાળા અને પી.ટી.જાડેજા આંદોલનમાં સામેલ હતા પરંતુ સંકલન સમિતિ આંદોલન સાથે જોડાયેલા લોકોને સાચવી શકી નથી. સમિતિમાં સામેલ લોકોને યોગ્ય બોલતાં પણ આવડતું નથી. જો કરણી સેના આંદોલનને સંભાળી લેશે તો પી.ટી.જાડેજા સહિતનાને કાઢી મુકાશે.
જ્યારે પદ્મીનીબા વાળાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સંકલન સમિતિમાં સામેલ પાંચ લોકો કોંગ્રેસ સાથે મળી ગયા છે. આ આંદોલન ભાજપનો વિરોધ કરવા માટે હતું, કોંગ્રેસને ટેકો આપવા માટે નહીં. પી.ટી.જાડેજા અચાનક પાછા હટી ગયા છે તે પાછળનું કારણ પણ સમજાતું નથી.
જ્યારે કરણી સેના પ્રમુખ રમજૂભા જાડેજાએ સમગ્ર વિવાદ ઉપર ઠંડુ પાણી રેડતાં કહ્યું હતું કે આંદોલનને નબળું પાડવાના પ્રયાસ ચાલી રહ્યા છે. પી.ટી.જાડેજાને ફોન કરીને પરેશાન કરાઈ રહ્યા હોવાથી તેમણે રાજીનામાની વાત કરી હોય તેવું બની શકે છે. જો કે હવે આ વિવાદ પૂરો થઈ ગયો છે અને પી.ટી.જાડેજા રાજીનામું આપવાના નથી.